बुधवार, 29 जुलाई 2009

ઉત્ક્રાંતિની માને પૈણે કુતરા

અમુક સદીઓ પહેલા જગતનો વહેવાર ‘બાર્ટર’ પદ્ધતિથી થતો હતો. એક વસ્તુના સાટે બીજી વસ્તુ આપવાની. પરસ્પર વસ્તુઓના આદાનપ્રદાનથી સંસાર રથનું ગાડું ગબડતું હતું. ત્યારે પૈસાનું મહત્વ નહોતું એટલે સંઘરાખોરી શક્ય નહોતી. (જોકે અત્યારે તો રૂપિયાના નોટસિક્કા પણ મહત્વ ગુમાવી રહ્યા છે, પ્લાસ્ટિક મની આવતા) આ જુની ‘બાર્ટર’ પદ્ધતિ હું નાનો હતો ત્યારે અમારા ગામમાં ઘણે અંશે પ્રચલનમાં હતી એને દેશી ભાષામાં ‘વાટકી વહેવાર’ કહેવાતો. ઘઉંનો લોટ ન હોય અને બાજરાનો લોટ ઘરમાં હોય અને આગંતુક મહેમાનોને લાપસી જમાડવાની હોય તો પાડોશમાંથી તપેલી ઘઉંનો લોટ લઈ આવવાનો. બદલામાં તેને તપેલી ભરીને બાજરાનો લોટ આપી દેવાનો.

ખેતર ખેડવા નિંદવામાં જરૂર પડ્યે બીજાના બળદ બેચાર દિ લઈ આવવાના અને કામ થઈ ગયા પછી ગણતરી પ્રમાણે આપણા બળદ બેચાર દિ તેમનું ખેતર ખેડવા આપવાના. નિંદામણ માટે સગા ખેડુતના ચાર માણસો ચાર દિ લઈ આવ્યા અને હવે તમારે ઢાલ (ઋણ) ચુકવવાનો વારો આવ્યો અને તમે બે માણસ જ છો તો? કશો વાંધો નહી, આઠ દિવસ તેના ખેતરે મહેનત કરી આવવાની.

‘બાર્ટર’ પદ્ધતિને પુળો મેલવા કોઈ હરામખોર માણસે ચલણને અમલમાં મુક્યું. બસ ત્યારથી મારૂ-તારૂની બોલબાલા છે. ત્યારથી સંઘરાખોર સંપત્તિવાનોનો આતંક ચારે કોર ફરી વળ્યો અને ઉત્ક્રાંતિનો ગધો ખિણમાં ગયો.

गुरुवार, 23 जुलाई 2009

હોમો સેપિયન્સની પ્રજાતિ ‘હોમો’ કેમ?

‘ઝાલરટાણુ’ બ્લૉગની શરૂઆત ‘હોમો સેપિટન્સની પ્રજાતિ ‘હોમો’ કેમ?’ નામની પોસ્ટથી કરી હતી. આજે ફરજ પડતા ફરી એ જુની પોસ્ટમાં ૪૫ લીટી નવી ઉમેરીને રજુ કરૂ છું.

માનસશાસ્ત્રના નિષ્ણાત મિત્ર સાથે હોમોસેક્સના વધતા ચલણ વિશે વાત થઈ. તેમણે ૨૦ હજાર જેટલી વસતિ ધરાવતા ગામની વાત કરી. આ ગામમાં 1૦૦ કરતા વધારે હોમોસેક્સમાં રાચતા લોકો અસ્તિત્વ ધરાવે છે. આ આંકડો પ્રગટ લોકોનો છે. પ્રચ્છન્ન રીતે સજાતીય સંબંધ ધરાવતા લોકોનો આમાં સમાવેશ નથી. સજાતીય સંબંધોમાં માનતી જાતિના ‘ઍક્ટિવ’ અને ‘પૅસિવ’ એમ બે પ્રકાર હોય છે તેનાથી વાચક વિદિત હશે જ. ઉપલક રીતે ફોડ પાડીએ તો સજાતીય સમાગમમાં સક્રિય રોલ અદા કરે (ઉપર) તેને ઍક્ટિવ અને નિષ્ક્રિય અર્થાત્ નીચેનો રોલ અદા કરે તે પૅસિવ. ટૂંકમાં દાતા તે ઍક્ટિવ અને સ્વીકારતા તે પૅસિવ. મિત્રના ગામે એક સજાતીય સંબંધોનું પ્રચારક જાણીતું પાત્ર છે, એને આપણે ‘ફલાણો’નામ આપીએ. આ ફલાણાનો ગામમાં હોમો સમુદાય વિકસાવવામાં મોટો ફાળો છે. તે હજામતનો વ્યવસાય કરે છે અને ગામમાં તેની દુકાન એવી મોકાની છે કે ગામમાં આવતા જતા દરેક છોકરા ઉપર તેની નજર સામેથી પસાર થાય. ફલાણો ઍક્ટિવ અને પેસિવ એમ બંને રોલ અદા કરી જાણે છે. આ ત્રીજા પ્રકારનો હોમો સમુદાય છે તે તો જણાવવાનું રહી જ ગયું. ફલાણો કુમળી વયના છોકરાઓને તેની આગવી ટ્રિકથી પકડી લે છે અને તેની સાથે સજાતીય સંબંધ બાંધે છે. જો છોકરો દુર્બળ હોય તો તેને ‘પૅસિવ’ બનાવીને પોતે ‘ઍક્ટિવ’ બની જાય છે અથવા છોકરો સબળ હોય તો ફલાણો પૅસિવ રોલમાં આવી જાય છે. સજાતીય સંબંધોને કાયદા તરફથી છૂટ મળી ગયા પછી ફલાણો હવે ૧૦ ગણા વેગથી નવા ‘હોમો’નું સર્જન કરવા માંડશે એમાં બેમત નથી. ‘હોમો’ની હિસ્ટ્રી મેળવવામાં આવે તો મોટા ભાગના કેસમાં તેમણે કિશોરકાળમાં સજાતીય સંબંધ બાંધ્યો હોવાનું જાણવા મળશે. સેક્સના આવેગો કુદરતી છે, સહજ છે તેથી તેને ખાળી શકાતા નથી કે સેક્સને ગાળો ભાંડી શકાતી નથી.


આટલું મથાળું બાંધ્યા પછી મારે અહીં સમાજ જેને ખતરનાક ગણે છે એવી વાત મૂકવી છે. સજાતીય સંબંધોમાં અસ્પૃશ્ય રહી ગયેલા મુદ્દા ઉપર મારા વિચારો રજૂ કરવા છે. મારે કહેવું છે કે આપણા પૂર્વજોના ૧૪૧૫ વર્ષની ઉંમરે સંતાનને પરણાવી દેવાના નિર્ણયમાં ડહાપણ હતું.


આપણે અને આપણા કાયદાએ આપણા પૂર્વજોના કિશોરવયે લગ્ન કરવાની પ્રથાની અવગણના કરીને હોમોસેક્સને ફૂલવાફાલવાનો અવસર આપ્યો છે. સમાંતરે લેસ્બિયન સંબંધને પણ, પરિણામે આજે સમાજમાં ‘ગે સોસાયટી’ બંધાઈ રહી છે. કોઈકોઈ દલીલ કરશે કે સજાતીય સંબંધો તો પરાપૂર્વથી ચાલ્યા આવે છે, આજકાલના નથી. સજ્જનો અને સન્નારીઓ આ દલીલને હું વજૂદ વગરની બનાવીશ.


પૂર્વે કિશોરવયે લગ્ન થઈ જતાં હતાં તેના બેચાર મોટા ફાયદા ગણાવીને પછી મુખ્ય વિષય પર પાછા ફરીએ. એકંદરે ગ્રહો, નક્ષત્રો અને ગૅલેક્સીઓ કોઈ અજ્ઞાત આકર્ષણ બળને લીધે એકબીજા ફરતે ફરે છે. જરા ધારીને જોશો તો જણાશે કે આખી પૃથ્વીના લોકો સેક્સ ફરતે ફરે છે. દરેક પ્રવૃત્તિમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે સેક્સ જ ઝળકે છે; અર્થાત્ સંસારી જીવો માટે જીવનઆનંદની સૌથી મોટી ચીજ સેક્સ છે. આ વાતને કોઈ સંસારી નકારે તો એને દંભી ગણજો. આ વાસ્તવિકતા વચ્ચે આપણે છોકરાઓને ૩૦૩૫ વર્ષના થાય ત્યાં સુધી વાંઢા રાખવાને વાજબી ઠરાવીએ તે ક્યાંનો ન્યાય? જરા વધુ ઊંડે ઊતરીએ, તમે ત્રીશી વટાવી ચૂક્યા હો તો જરા અંદર ઝાંખીને જવાબ આપજો કે તમારી અંદરનું રોમાન્સનું, પ્રેમનું તત્ત્વ કઈ ઉંમરે સૌથી વધુ ઊછળતું હતું તે કહેશો? ઉતાવળે જવાબ નથી જોતો, જરા એકાગ્ર થઈને ફ્લેશ બૅકમાં જાવ અને પછી પ્રામાણિક જવાબ શોધો. એ ઉંમર હશે ૧૬૧૭ વર્ષની. તમને ૩૦૩૫ વર્ષે પરણાવ્યા ત્યારે તમે કિશોરકાળનો જીવનરસ જાળવી શક્યા હતા? તમને પરણ્યા પછી જીવનસાથીના એક સ્પર્શથી ૩૩ કરોડ રોમરાઈ જાગી ઊઠી હોય એવું થતું હતું? રોમેરોમે શરણાઈઓના સૂરો સંભળાતા હતા? હાલ તો રોમાન્સના આ વાક્યો પણ તમને ચોખલિયાવેડા લાગતા હશે.


કારકિર્દી ઘડવાની મથામણમાં એથી અનેકગણા કીમતી એવા પ્રેમ, રોમાંસને ધરાઈને માણવાનું થાળે પડી ગયું. તમે અફલાતૂન કારકિર્દી ઘડી પછી પૂછવાનું કે તમને જે કિશોરકાળે પ્રેમ રોમાંસમાંથી મળતો હતો તેટલો જીવનરસ કારકિર્દીમાંથી મળે છે ખરો? ખેર! પ્રેમરોમાંસને ધરાઈને માણ્યો જ નથી એ સંજોગોમાં સરખામણીય તમે કેમ કરશો? અહીં મુદ્દાની વાત આટલી હતી કે લગ્ન પછી કારકિર્દીનો વિકલ્પ હોવો જોઈતો હતો તેની જગ્યાએ આપણે તેને પહેલાં ઘુસાડી દીધો. મારા પિતા ૨૦ વર્ષની ઉંમરે નદીના તટે કબડ્ડી રમતા હતા, કારકિર્દીની ખેવના રાખ્યા વગર. તેમને આજે જીવનની ઢળતી સંધ્યાએ જીવન પ્રત્યે કે કારકિર્દી પ્રત્યે કંઈ ફરિયાદ નથી.


ત્રીશી પછી લગ્ન થાય તેવામાં કેટલીક અનિચ્છનીય માનસિક ગ્રંથિઓ બંધાઈ જાય છે. માઇન્ડની મેમેરીનો મોટો હિસ્સો સેક્સ અને રોમાન્સ અંગેના ખ્યાલોથી ભરાઈ જાય છે. પછી બહુ થોડી ખાલી મેમરીથી ચલાવવાનું રહે છે. આપણે કારકિર્દી બનાવવા લગ્નથી તો દૂર રહ્યા પણ મગજમાં વિજાતીય પાત્રો અને તે સંબંધેના વિચારોનો જમેલો તો કાયમ વધતો જાય એનું શું? નાની ઉંમરે લગ્ન કરી લીધાં હોય તો જિજ્ઞાસા અને એષણાઓથી તૃપ્ત મગજ વ્યવસાયલક્ષી વિચારવાને વધુ ફ્રી થાય. આવેગોને અટકાવીને કારકિર્દી પ્રતિ મન પરોવો તો આવેગો એમ અટકવાના છે કંઈ? એ તો સરળતાથી ઉપલબ્ધ સજાતીય માર્ગે વળી જશે.


પૂર્વે ગણિકાઓ, વેશ્યાઓનાં આલખો નગર મધ્યે હતાં. આજે આપણા બંધારણે દેહવ્યાપારને ગેરકાનૂની ઘોષિત કર્યો છે. તેવામાં મફતનું અને સરળતાથી ઉપલબ્ધ સજાતીય શરીર હાજર સો હથિયાર બની જાય છે. જોકે પૂર્વે જે ગણિકાની કોઠીએ થતો હતો તે દેહવ્યાપાર આજે કૉર્પોરેટ ઑફિસોમાં પણ થાય જ છે. પણ આ મુદ્દે આપણે અહીં ચૂપ રહીશું; નહીંતર તમે વળી મુદ્દાથી ભટકી જવાનું આળ ચડાવશો.

ઇક તરફ મંદિર, ઇક તરફ મયકદા


દારૂબંધી અને દારૂમુક્તિ બંને વિષયના લોકો પોતાના મતને વાજબી ઠરાવવા વિવિધ દલીલો કરતા રહે છે.
બંને પક્ષની દલીલો પ્રસ્તુત છે. તમારે કોને મત આપવો તે તમે નક્કી કરો.



દારૂમુક્તિની તરફેણમાં...


આખંુ જગત દારૂ પીએ છે અને પશ્ચિમમાં વિશેષ દારૂ પિવાય છે છતાં બધા ત્યાં અનુશાસનમાં વર્તે છે. ત્યાં કોઈ વાતે ઊણપ નથી.


આપણે દંભી છીએ તેથી આપણે છડેચોક નહીં પણ છાને ખૂણે દારૂ પીવામાં માનીએ છીએ. એટલે આપણે દંભનો અંચળો ફગાવીને રાજ્યની દારૂબંધી ફગાવી દેવી જોેઈએ.


ગુજરાતમાં દારૂની રેલમછેલ છે, માગો ત્યારે અને માગો તેટલો દારૂ મળે છે તો પછી ખોખલી દારૂબંધી શા કામની? આનાથી ગુજરાત સરકારની તિજોરીને વર્ષેદહાડે અમુક કરોડ રૂપિયાનું નુકસાન જાય છે. પોલીસ અને બુટલેગરો અબજોમાં આળોટે છે. દારૂબંધીથી માફિયાગીરી ઘટવાને બદલે પોલીસ અને બુટલેગરોની ગઠજોડના કારણે માફિયાગીરી વધે છે. દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો સરકારને કરોડો રૂપિયાનો ટૅક્સ બૅનિફિટ મળે, પોલીસબુટલેગર્સ વચ્ચેની સાઠગાંઠ ખતમ થાય તો સુરક્ષાતંત્ર વધુ મજબૂત થાય.


દુનિયા આખી મનફાવે ત્યારે દારૂ પી શકતી હોય અને અહીં લોકતંત્રમાં માનતા દેશનો હું નાગરિક મને પીવાનું મન થાય તો પણ ગુજરાતમાં દારૂ પી ન શકું તેમાં મારા મૂળભૂત માનવીય અધિકારોનું હનન થાય છે તેનું શું? તેમ છતાં સરકારને દારૂબંધી જ મંજૂર હોય અને મારી વાત નામંજૂર હોય તો મને મારા અધિકારોના હનન બદલ તેનું કમ્પેન્શેસન મળવું જોઈએ.


આપણે ઉદ્યોગસાહસિક પ્રજા ભલે રહી પણ મૂલતઃ આપણે ડરપોક પ્રજા છીએ એટલે નવા પરિવર્તનને ઝટ આવકારી શકતા નથી અને પરિવર્તનને લઈને જાતજાતની અશુભ શંકાઓ વ્યક્ત કરવા માંડીએ છીએ. એટલે આગુસે ચલી આતી દારૂબંધીને આપણે બિનજરૂરી રીતે આગળ ખેંચ્યે જઈએ છીએ.


સેંકડોહજારો દારૂ પીનારા સજ્જન લોકો ગુજરાતમાં વસે છે એટલે દારૂને દૂષણમાં ખપાવી દેવું ઠીક નથી. ‘અતિ સર્વત્ર વર્જ્યતે’ કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે એમ દારૂ નહીં પણ દારૂનો અતિરેક નુકસાનકારક છે.


દારૂબંધીને કારણે ઘણી બહારની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવતા અચકાય છે. દારૂબંધી હટાવવામાં આવે તો ગુજરાતનો અૌદ્યોગિક વિકાસ વધુ થશે.


દારૂબંધીની તરફેણમાં...



દારૂમુક્તિ માણસને પરિવારકેન્દ્રી ઓછો અને સ્વકેન્દ્રી વધુ બનાવે છે. કેમકે દારૂ પીનારો મજૂરવર્ગ કમાણીનો મોટોભાગ દારૂ પીવામાં વેડફી નાખે છે. ક્યારેક તો પત્નીની મજૂરીના પૈસાનું પણ ઢીંચી જવામાં અચકાતો નથી.


વાતે વાતે પશ્ચિમી દેશોમાં દારૂમુક્તિનો હવાલો આપીને અહીં પણ એવું વાતાવરણ ઝંખતા લોકોને માલૂમ થાય કે પૂર્વ અને પશ્ચિમનો કોઈ વાતે સંગમ કરી શકાય તેમ નથી, કેમ કે એક તો એ બરફીલો પ્રદેશ છે, ત્યાંની પ્રજાની તબિયત માટે દારૂ નુકસાનકારક કરતાં લાભદાયક વધુ છે. આપણે ગરમ પ્રદેશમાં રહીએ છીએ અને એમાંય પેટમાં લાય પેદા કરતો દારૂ પધરાવશું તો ફેફસાં ફાટી જવા સિવાય શું ભલું થશે? બીજંુ કે એ પશ્ચિમી દેશોને દારૂ પીવો આર્થિક રીતે પોસાય તેમ છે, ત્યાં ડ્રિન્ક ભર્યા પેટના ચાળા છે. જ્યારે આપણે ત્યાં દેશની ૫૦ ટકા વસ્તી ગરીબીરેખા નીચે જીવતી હોય, બે ટંકના રોટલા માટે નસીબ સાથે માથા પછાડતી હોય ત્યારે આપણે કયા મોઢે દારૂમુક્તિની અને તેમાંથી રાજ્યની કરકમાણીની વાતો કરીશું?


હિન્દુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ... આ બધા ધર્મો ઘણી બાબતે જુદા પડે છે, પણ એક વાતે સંમત છે, બધા ધર્મોમાં દારૂબંધી ફરમાવવામાં આવી છે. મંદિરની દીવાલોએ ‘કામસૂત્ર’નાં નગ્ન શિલ્પો કોતરાવવાની ઉદારતા દાખવી શકતો ધર્મ મદ્યપાનની છૂટ નથી આપતો તે કંઈ સાવ અમસ્તંુ જ!

મૂળભૂત માનવીય અધિકારના હનનની વાત કરનારા એ વાત સમજે કે દારૂબંધીના પ્રતાપે બહેનદીકરીઓ હજુય ગુજરાતમાં મોડી રાત્રે એકલી બહાર નીકળી શકે છે. એ તમારા અધિકારહનનનું વળતર ગણશો.


ગુજરાતના કોઈ પણ શહેરમાં મોડી રાત્રે સ્ત્રીઓ ડર વગર બજારમાં નીકળી શકે છે. મદ્રાસમાં રાત્રે સાત વાગ્યા પછી કોઈ મહિલા રસ્તા ઉપર જોવા નહીં મળે. ત્યાં રાતે કામવશાત્ પણ એકલી નીકળેલી મહિલા સાથે ‘ક્યાંક દારૂડિયાઓ છેડતી કરી બેસશે’ એવા ભયથી આ પ્રથા પડી છે.


દારૂ મુક્તિવાળાં રાજ્યોમાં શેરીના નાકે આવેલી દારૂની દુકાનેથી વડીલોની ફરમાશથી દારૂ લેવા જવું પડતું હોવાથી ટીનેજ અવસ્થા સુધીમાં મોટા ભાગના છોકરાઓએ દારૂનો ટેસ્ટ કરી લીધો હોય છે અને ઘણાને દારૂનું વ્યસન પણ થઈ જાય છે જે એના ચારિત્ર ઘડતરમાં બાધક બને છે.


દારૂબંધી છતા ગુજરાતમાં છડેચોક બેફામ દારૂ પિવાય છે એવી દલીલ કરનારાઓને કહેવાનું કે દારૂબંધી ઉઠી જાય પછી હાલ પિવાય છે એના કરતા સેંકડો ગણો વધારે પિવાશેે.


નાની રકમની બચત કરીને વેપારી બનવાનું સપનું જોતા અનેક ગુજરાતી યુવકો છે. તેમનું મન એક જ દિશામાં કેન્દ્રિત હોય છે. દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો નાની બચત પણ નહી થાય અને એક લક્ષ્ય પ્રતિ મન કેન્દ્રિત પણ નહી થાય. ગુજરાત દાયકાઓથી વેપારવણજમાં દેશદુનિયામાં પંકાતું રહ્યંુ છે તેમાં અહીંની દારૂબંધીનો પણ ઘણો ફાળો છે.

गुरुवार, 26 मार्च 2009

આ લોકો સમાજસર્જકો કે સમાજ વિધ્વંસકો?




ખબર નહીં કેમ ઉત્સવો આવે એટલે ચળવળવાદીઓ અતિગંભીર થઈ જાય છે. ગઈ ઉત્તરાયણમાં રાબેતા મુજબની ખિટખિટ પિટપિટ સંભળાતી હતી, પતંગ ચગાવવાથી પંખીની પાંખો કપાઈ જાય છે, રાહદારીઓનાં ગળાં કપાઈ જાય છે.’ હમણાં હોળી ગઈ ત્યારે પણ પર્યાવરણવાદીઓ અને ચળવળવાદીઓ સળવળ્યા અને અનુરોધ કરવા લાગ્યા કે માત્ર ગુલાલનું તિલક કરીને હોળી ઊજવો. રંગોથી હોળી રમવામાં રંગો દૂર કરવા વધુ પાણીનો વપરાશ થશે. લાખો ગૅલન પાણીનો બગાડ અટકાવવા રંગોથી હોળી રમવાનું છોડી દેવું જોઈએ. હોલિકાદહન વિશે કહે છે કે હાલના સમયમાં હોલિકાદહનનું પ્રમાણ ઘટ્યંુ હોવા છતાં એકલા અમદાવાદમાં આ વર્ષે હોલિકાદહનમાં ૧૦ હજાર ટન લાકડું બળી જશે. આટલો વસવસો કર્યા પછી હોલિકાદહનમાં વધુ લાકડા ન બાળવાની સલાહ આપી જ દીધી. આ લોકો દિવાળીના તહેવાર વખતે પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે માટે ફટાકડાઓ ફોડવાની ના પાડે છે.

પોતાને સમાજના હિતૈષી અને સમાજ માટે ચિંતિત ગણાવતા આ ચળવળકારો હજારો વર્ષોથી ચાલી આવતી અને ખાસ ઉદ્દેશો સાથે બનાવવામાં આવેલી આપણી ઉત્સવપ્રણાલી ઉપર ઘા કરે છે અને સમાજને ગંભીર આંતરિક નુકસાન કરે છે. તેથી આવા લોકોનાં મોંએ તાળાં મારવાં જરૂરી બને છે.

આવો આપણે આપણી એ મૂલ્યવાન અને દૂરંદેશીવાળી પરંપરાઓને એકબે દાખલા સાથે સમજીએ.
ઉતરાયણમાં આખો દિવસ અગાશીએ પતંગ ચગાવવાના બે મોટા ફાયદા છે, બીજાનો પતંગ કાપીને આપણી અંદર પડેલાં ક્રોધ, ઈર્ષા જેવા તમસ તત્ત્વોનું કૅથાર્સિસ થઈ જાય છે. બીજાને કે જાતને નુકસાન પહોંચાડ્યા સિવાય આનંદિત રહીને. બીજો ફાયદો એ કે વર્ષમાં એક આખો દિવસ સૂર્યની રૂબરૂ રહેવાનું થાય છે. સૂર્ય ઊર્જાનો ભંડાર છે અરે, જગતની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. બીજો કશો આહાર લીધા સિવાય માત્ર સૂર્યઊર્જાના સહારે જીવનઊર્જા મેળવી શકાય છે એના જીવંત દાખલાઓ આપણી આસપાસ મોજૂદ છે. એવામાં ઉત્તરાયણમાં સૂર્યઊર્જામાં આખો દિવસ નહાવા મળતાં ચામડીના ઘણા રોગો નાશ પામે છે અને સૂર્ય પાસેથી સકારાત્મક ઊર્જા મળે છે. કહોને કે ઉત્તરાયણના દિવસે આખો સમાજ શરીરશુદ્ધિ કરે છે. પતંગબાજોને વારંવાર ટપારીને ચળવળકારો આ હેતુને મારવા ઊભા થયા છે. 

હોલિકાદહનના કિસ્સામાં હું મહાત્મા ગુર્જિયેફે દુનિયાભરના પરિભ્રમણ, પ્રયોગો અને અભ્યાસના નિચોડરૂપે લખેલા પુસ્તક ‘મિટિંગ વિથ રિમાર્કેબલ મૅન’માં તેમણે લખેલો એક અનુભવ ટાંકીશ.
ગુર્જિયેફ દર્વિશ જાતિના ગંદા લાગતા અને ભિખારીનું જીવન જીવતા નાનકડા સમૂહના સંપર્કમાં આવ્યા હતા. આ લોકો કદી પાણીથી સ્નાન કરતા નહોતા. તેમના શરીરે મેલના થર જામ્યા હોય અને માથામાં જીવાતો રમતી હોય. આ લોકોમાં ગુર્જિયેફે અસાધારણ તત્વ એ જોયું કે તેઓ આટલા ગંદાગોબરા હોવા છતા ક્યારેય બીમાર નહોતા પડતા. ગુર્જિયેફે તેઓના બિમાર ન પડવા પાછળની તપાસ આદરી તો ખબર પડી કે તેમના દરેકના ઘરે એક મોટા ચુલા ઉપર થોડી ઉંચાઈએ એક બેઠક બનાવી હોય. ચુલામાં તાપ કરીને દર્વિશ બેઠક ઉપર બેસી જતો. તેમાં અમુક અૌષધિઓલાકડાઓ નાખતા હતા. તાપ અને ધુમાડાથી તેના શરીરનાં છિદ્રો ખૂલી જતાં અને ગુર્જિયેફે તેમના માથામાંથી જીવાતો કૂદીને ભાગી જતી જોઈ. ગુર્જિયેફને આ અગ્નિસ્નાનમાં રહસ્ય જણાતાં તેમણે પણ સ્નાન લીધંુ અને લખ્યંુ કે, ‘એ સ્નાન લીધા પછી મારા શરીરમાં શક્તિનો ધોધ વહેવા લાગ્યો. મેં ઘણા દિવસ સુધી શરીરમાં એ શક્તિધોધને વહેતો અનુભવ્યો.’ મારા ગામમાં હોલિકાદહન વખતે મેં પણ આવું જ કંઈક જોયું છે. ૭૮ માળના મકાનને આંબે એવડી ઊંચી હોલિકાની જ્વાળા અને એના ફરતે સમસ્ત ગામના લોકો ૭, ૧૧, ૫૧ કે ૧૦૧ આંટા ફરતા. બને એટલા આગની જ્વાળાઓની નજીક આંટા ફરવાના. શરીર ધગેલા ત્રાંબા જેવું થઈ જાય. નાના બાળકો તાપથી દાઝવાના કારણે રડારડ કરતાં હોય તો પણ માતાઓ કે વડીલો બાળકોને પરાણે હોળી ફરતે સાત ફેરા ફેરવતા અને બાળકના આખા શરીરને ફેરવીફેરવીને તપાવે. પછી બાળકને છાનાં રાખતાં કહે કે, ‘હવે, તને આખંુ વર્ષ બીમારી નહીં અડે.’ મેં હોળી ફરતે ફરતાં મારા શરીરમાં શક્તિસંચારને અનુભવ્યો છે. એટલે અનુભવે કહું છંુ કે આ શરીર શુદ્ધિની એક પારંપરિક પ્રક્રિયા હોવી જોઈએ. હવે આપણે ધુળેટીનો એક પ્રસંગ ટાંકીને વાત કરીએ.

વર્ષભરમાં ધુળેટીમાં લોકો શારીરિક રીતે પરસ્પર વધુ નજીક આવે છે. રંગવા જતાં એકબીજાને ચોળીચીમળી નાખે છે. આમાં ઊર્જાનું આદાનપ્રદાન થતું હોય છે. જિસસને શૂળીએ લટકાવ્યા હતા ત્યારે તેમના છ શિષ્યોએ પરસ્પર એકબીજાના શરીરનું માંસ તોડીને ખાધંુ હતું. આપણને એ ક્રૂરતા લાગે છે, પણ એ વાસ્તવમાં એકબીજામાં ભળી જવાની વિધિ હતી. અસ્તુ.

એમ તો કૅમિકલની ફૅક્ટરીઓમાંથી રોજનો કરોડો ગૅલન રાસાયણિક કચરો પર્યાવરણમાં ઠલવાય છે. એનું કંઈ નહીં? ધુળેટીના રંગોથી અને દિવાળીના ફટાકડાઓથી પર્યાવરણને નુકસાન જાય તે આ લોકોને દેખાય છે, નિર્દોષ આનંદ અને બીજા જીવનોપયોગી તત્ત્વોની પુરવણી થાય છે તે નથી દેખાતું. એ તેમનું અને તેમના માર્ગે જતા સમાજનું દુર્ભાગ્ય છે. બીજંુ શું.

તમે લોકતંત્ર સાથે છો કે લોકજુવાળ સાથે?



આઈપીએલની આગામી બીજી સિઝનમાં સિક્યૉરિટીના મુદ્દે મામલો ઘોંચમાં પડ્યો છે. દેશ માટે ચૂંટણી અને ચૂંટણી વખતની સુરક્ષા સૌથી વધુ અગત્યની બાબત છે તો બીસીસીઆઈ માટે દૂઝણી ગાય સમાન આઈપીએલની બીજી સિઝન રમાડવી અને તેય પાછી સમયસર રમાડવી એ પૈસા અને પ્રતિષ્ઠાનો જંગ છે.

વાતના મૂળમાં જતાં પહેલાં જરા આઈપીએલની બીજી સિઝનની તૈયારીથી થોડા વાકેફ થઈ જઈએ તો આ વખતે પ્રથમ સિઝન કરતાં વધુ ૭૩ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કુલ ૨૬૩ ખેલાડીઓને લીધા છે. એટલે આ વર્ષે ફ્રેન્ચાઇઝી પાસે ખેલાડીઓની પસંદગીનો અવકાશ વધ્યો છે. દરેક ટીમ પાસે એવરેજ ૨૫ ખેલાડીઓ છે. ૫૬ ખેલાડીઓ કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે છે અને તે સૌથી વધુ છે. અને સૌથી ઓછા દિલ્હીની ટીમમાં (૨૪) છે. બીજી સિઝનમાં કૉન્ટ્રાક્ટની આવક ૧૦,૦૦૦ કરોડ કરતાં વધારે રહેશે. જે ગયા વર્ષની સરખામણીએ ૧,૭૨૫ કરોડ રૂપિયાનો વધારો સૂચવે છે. આખી દુનિયા મંદી સામે ઝઝૂમી રહી છે ત્યારે આને કહેવાય મંદીમાં જૅકપૉટ. ગયા વરસે ૫૯ વિદેશી ખેલાડીઓ હતા તેમાં વધારો થઈને આ વર્ષે ૧૨૪ થયા છે. 

પણ એક મહિનાની રકઝક પછીય ટૂર્નામૅન્ટ અંગે સ્થિતિ સ્પષ્ટ નહીં થતાં અકળાયેલા ક્રિકેટ અધિકારીઓએ ૨૨ માર્ચે મુંબઈમાં આપાતકાલીન બેઠક બોલાવીને નિર્ણય લઈ લીધો કે ટૂર્નામૅન્ટ ભારત બહાર ઈંગ્લૅન્ડ કે આફ્રિકામાં રમાડવામાં આવશે. વિદેશમાં ટૂર્નામૅન્ટ રમાવાથી ભારતીય ક્રિકેટ બૉર્ડની કમાણીમાં ૭૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડશે એ વાતનો અફસોસ પણ લલિત મોદીએ વ્યક્ત કર્યો. બીસીસીઆઈના પ્રમુખ શશાંક મનોહરે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે ટૂર્નામૅન્ટ માટે સુરક્ષા પૂરી પાડવાની અક્ષમતા દાખવનાર સરકારોની શું આલોચના કરવી તે માટેના શબ્દો મળતા નથી. લો, કર લો બાત!

એકાદ વરસ પહેલાંથી લોકસભાની ચૂંટણીઓ એપ્રિલ-મે, ૨૦૦૯માં આવશે એવી બીસીબીઆઈને ખબર હતી. અરે, આ વાતની લોકોને સુધ્ધાં ખબર હતી, તેમ છતાં બીસીસીઆઈ એપ્રિલ-મે, ૨૦૦૯ના સમયગાળામાં જ આઈપીએલની બીજી સિઝન રમાડવાનું આયોજન કરે? માની લઈએ કે બીસીસીઆઈને પૈસા સિવાય બીજી કોઈ વાતની તમા હોતી નથી અને બીસીસીઆઈ વેળાસર ૧૦,૦૦૦ કરોડ રૂપિયા અંકે કરી લેવા માગતી હોય જેથી ૨૦૧૦ના વર્ષમાં ત્રીજી સિઝન પણ વેળાસર રમાડી શકાય. એમ પણ માની લઈએ કે આઈપીએલની ટૂર્નામૅન્ટમાં એક મહિનાનો વિલંબ કરવાથી ઉપરોક્ત ગણતરીએ ૮૦૦-૧,૦૦૦ કરોડ રૂપિયાનું નફામાં નુકસાન જતું કરવાનું શરદ પવાર આણિ મંડળીને ન પરવડતું હોય તો તેમણે સરકાર સમક્ષ આઈપીએલ ટૂર્નામૅન્ટના મૂળ શિડ્યૂલની સાથે ચૂંટણી બાદની તારીખોનું બીજંુ વૈકલ્પિક શિડ્યૂલ મંજૂરી માટે મૂકવાની સમજદારી દાખવવાની જરૂર હતી. વાત માત્ર પૈસા પૂરતી ન રહેતાં પ્રતિષ્ઠાની પણ હોત તો આમ થયું હોત, પણ બીસીસીઆઈના આકાઓએ પહેલેથી નક્કી જ કરી રાખ્યંુ હશે કે સરકારનું નાક દબાવીને કે ગમે તેમ કરીને શિડ્યૂલ મંજૂર કરાવી લેવામાં આવશે અને જો શિડ્યૂલ મંજૂર નહીં કરવામાં આવે તો સરકાર સામે કાદવ ઉછાળવામાં આવશે. બાકી પ્રથમ વખત ભારત સરકારના ગૃહમંત્રાલયે બીસીસીઆઈને શિડ્યૂલ બદલવાનું સૂચન કર્યું ત્યારે બીસીસીઆઈએ આઈપીએલ ટૂર્નામૅન્ટનું નવું શિડ્યૂલ લોકસભાની ચૂંટણી પછીનું બનાવવું એવો શિડ્યૂલ નામંજૂર કરવા પાછળનો સરકારનો કળી શકાય તેવો છૂપો નિર્દેશ હતો. છતાંય ફરીફરીને બીસીસીઆઈએ ટૂર્નામૅન્ટની પૂર્વનિર્ધારિત તારીખ (૧૦ એપ્રિલથી ૧૪ મે)નું શિડ્યૂલ ફરીફરીને પાઠવ્યા કર્યું.

૭ માર્ચ, ૨૦૦૯ના રોજ બીસીસીઆઈએ કેન્દ્રીય ગૃહમંત્રાલય સમક્ષ આઈપીએલની ટૂર્નામૅન્ટના આયોજનની મંજૂરી માટે ટૂર્નામૅન્ટનું શિડ્યૂલ મોકલ્યું હતું જેમાં તારીખ ૧૦ એપ્રિલથી ૨૪ મે દરમિયાન ૫૯ મૅચો રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈપીએલની ગત સિઝનની જ્યાં ફાઇનલ મૅચ રમાઈ હતી તે મુંબઈના ડીવાય પાટીલ સ્પૉર્ટ્સ એકૅડેમી સ્ટેડિયમમાં બીજી સિઝનની ઉદ્ઘાટન અને સમાપન વિધિ યોજાશે એવી પણ મોદીએ અગાઉ જાહેરાત કરી દીધી હતી. કેટલું બાલિશ! બીસીસીઆઈને એટલી તો ખબર હોવી જોઈએ કે અત્યારે ક્રિકેટ રમવાનો સમય નથી. મૅચો કરતાં ચૂંટણીઓ ઘણી મહત્ત્વની છે. ખુદાન ખાસ્તા આઈપીએલમાં એકાદ વિદેશી ખેલાડી હુમલામાં હણાઈ જાય તો ન પૂરી શકાય એવી ખોટ સર્જાશે. ગયા વર્ષે કોઈ ચૂંટણી નહોતી ત્યારે પણ જયપુરમાં બાઁબબ્લાસ્ટ થયા હતા, જ્યારે આ વખતે સિક્યૉરિટી ફોર્સનું ધ્યાન ચૂંટણી ઉપર કેન્દ્રિત રહેશે. એવામાં ભારત સરકાર ખુદ પણ જડબેસલાક સુરક્ષાની ખાતરી આપી શકે તેમ નથી. વળી વર્લ્ડ કપ માથા ઉપર છે અને આપણે તેમાં સહઆયોજક છીએ ત્યારે આઈપીએલની નાની સરખી દુર્ઘટના મોટી હેરાનગતિ ઊભી કરે.

એક સાદી સમજની વાત કરીએ. આ દેશમાં ક્રિકેટને લોકો ધર્મ ગણે છે. ક્રિકેટને દિલોજાનથી ચાહે છે. ત્યારે બીસીસીઆઈ ચૂંટણી વખતે દેશહિતને ઠેબે ચડાવીને ‘ક્રિકેટ ક્રેઝ’ની રોકડી કરી લેવા તત્પરતા દાખવતું જોવા મળ્યું છે. બીસીસીઆઈની આ હરકતથી તે ‘રોકડી’ કરી લેવા માટે કેટલી નીચી કક્ષાએ જઈ શકે તેનો અંદાજ મળે છે. આઈપીએલ ટૂર્નામૅન્ટના આયોજનના સમગ્ર વિવાદની સ્ટોરીમાં આપણને દેખાય છે તે લલિત મોદી કે શશાંક મનોહર તેના પટકથાલેખક નથી. આઈપીએલ વિવાદ કથાના પટકથાલેખક મરાઠી માનુસને વડા પ્રધાન બનાવવાની જીદે ચડેલા, કૃષિમંત્રી કમ અને ક્રિકેટમંત્રી વધારે એવા શરદ પવાર છે. આ માણસમાં કૃષિ કરતાં ક્રિકેટનું કલ્યાણ કરવાની ભાવના વધારે હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે તે ખેતીવાડીવિષયક બાબતે પ્રકાશમાં આવે છે તેના કરતાં વધારે ક્રિકેટને લઈને મીડિયામાં છવાયેલો રહે છે. તેની ‘નેકસ્ટ વડા પ્રધાનપદે તો મરાઠીમાનુસ જ’ની જીદને લઈને તેઓ સરકારને નીચાજોણું કરાવવા તત્પર બન્યા જણાય છે. આ બંદો એવો તો ખંધો રાજકારણી છે કે પોતે પ્રકાશમાં નથી આવતો અને તેના ઇરાદાઓ આઈપીએલ ચૅરમૅન લલિતચંદ્ર મોદીની પછવાડે ધરી રાખે છે. જુઓને ખૈરનારે આ માણસ વિશે જ સરાજાહેર કહ્યંુ હતું કે તેને દાઉદ ઇબ્રાહીમ સાથે સંબંધ છે. છતાં આજે ખૈરનારને કોણ પૂંછે છે? અને આ માણસ? એ તો વિદ્વાન રાજનેતાઓની પંગતમાં જઈ બેઠો. વડા પ્રધાન બનવાનાં સપનાંઓ જોઈ રહ્યો છે.

ખેર! આપણે ખૈરનાર પ્રકરણ ઉપર ન ભટકતાં આઈપીએલ વિવાદ ઉપર જ કેન્દ્રિત થઈએ. લલિત મોદી અને ચિદમ્બરમ્ની સરખામણી કઈ રીતે કરીશું? લલિત મોદી અને મનોહર જેવા લોકોને સુરક્ષાની અને નીતિરીતિની સરકાર કરતાં વધારે ખબર પડે છે કે તેઓ કહે છે કે ટૂર્નામૅન્ટ માટે સુરક્ષા પૂરી પાડવાની અક્ષમતા દાખવનાર સરકારોની શું આલોચના કરવી તે માટેના શબ્દો મળતા નથી. આ લોકો દેશની સુરક્ષામાં લાગેલા જવાનોને પોતે આયોજિત કરેલા ખેલ પાછળ ફાળવવા માગતા હતા જેમાં એને ‘ના’ સાંભળવા મળતાં હવે તેમની પાસે આલોચના કરવાના શબ્દો મળતા નથી. બીસીસીઆઈ અધિકારીઓના આ ગુસ્સામાં ટૂર્નામૅન્ટના આયોજક ઉદ્યોગજગતની ઊર્જા ભળી છે, કારણ કે આઈપીએલમાં ફ્રેન્ચાઇઝી, પ્રસારણથી માંડીને સ્પોન્સરશિપ પાછળ ઉદ્યોગજગતે ઘણો પૈસો રોક્યો છે. એટલે તેમણેે ટૂર્નામૅન્ટ નિર્ધારિત સમયમાં ભારતમાં જ રમાય એ માટે બીસીસીઆઈ ઉપર ઘણું દબાણ ઊભંુ કર્યું હોઈ શકે.

આપીએલ ટૂર્નામૅન્ટ સુરક્ષાના મુદ્દે વિદેશમાં ખસેડવી પડી તેથી ભારતનું નાક કપાયંુ છે એવું માનનારાને વિદિત થાય કે ક્રિકેટ કરતાં ચૂંટણીનું મહત્ત્વ દેશ માટે અનેકગણું વધારે છે. ટૂર્નામૅન્ટ રદ થાય તો થાય પણ ચૂંટણીમાં ગેરરીતિ કે તોફાનોને અવકાશ ન રહે તે માટે સમગ્ર ધ્યાન લોકસભાની ચૂંટણી ઉપર કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે આખરે ક્રિકેટ એ રમત છે અને ચૂંટણી એ દેશના શાસકો નક્કી કરવાની પ્રક્રિયા છે. ટૂર્નામૅન્ટ વિદેશમાં ભલે રમાય પણ અહીં દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણી ઉપર ૧૦૦ ટકા ધ્યાન આપવું જરૂરી બની જાય છે, ચીટિંગ અને બોગસ વોટિંગના વર્તમાન સમયમાં તો ખાસ.

વળી ચેન્નાઈમાં ઈંગ્લૅન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ દરમિયાન ગત વર્ષે નવેમ્બરમાં મુંબઈ ટૅરરઍટેકની ઘટના બની હતી. એ પછી લાહોર ઍટેકમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ આતંકવાદીઓની બંદૂકોનું નિશાન બની તેથી સુરક્ષાના મુદ્દે સરકારે વધુ સાવચેતી દાખવીને ચૂંટણી વખતે ટૂર્નામૅન્ટના આયોજનની ના કહેવી તેમાં ખોટું શું છે?


ધારો કે ટૂર્નામૅન્ટના આયોજનને અહીં મંજૂરી આપી દેવામાં આવે અને આતંકવાદી હુમલો થાય તો? તો વિશ્વ આખાને એ સંદેશો જાય કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા સવા કરોડની આબાદીના દેશમાં ચૂંટણી ચાલી રહી હતી ત્યારે જ સરકાર એક ખેલ ટૂર્નામૅન્ટને મંજૂરી આપે? બેદરકારીનો બીજો આનાથી મોટો નમૂનો કયો હોઈ શકે? તો ભારતનું નાક ચોક્કસ કપાય. ચૂંટણી વખતે સુરક્ષાના મુદ્દાને લઈને રમતના આયોજનને વિદેશમાં ખસેડવું પડે એ ઘટનાને અને ભારતનું નાક કપાય એ ઘટના વચ્ચે કોઈ વાતે મેળ નથી બેસતો. જો બીસીસીઆઈને ૧૦ હજાર કરોડ રૂપિયા કરતાં ભારતના નાકની વધારે કિંમત હોય તો તે આઈપીએલ ટૂર્નામૅન્ટ વિદેશમાં ખસેડવાને બદલે ટૂર્નામૅન્ટ રદ કેમ નથી કરતું? ચિદમ્બરમે લોકો સમક્ષ આવીને કહેવું પડે કે રમતને રમતની રીતે જોવાવી જોઈએ, પણ આઈપીએલ રમતથી કંઈક વિશેષ છે. રમતમાં રાજકારણ ઘૂસ્યંુ છે. આ વાત બીસીસીઆઈની અંદરબહાર રજૂ કરે છે.

गुरुवार, 19 मार्च 2009

રત્નકલાકાર, ચિંથરે વિંટ્યુ રતન



એમને ‘રત્નકલાકાર’ના નામે શિક્ષિતોએ નવાજ્યા પણ એમને એ રાજ ન આવ્યું અને એમણે ‘હિરાઘસુ’ના નામે ઓળખાવવાનું વધુ પસંદ કર્યુ. આજે ગુજરાતમાં હિરાઘસુઓ હડેહડે થયા છે ત્યારે...
 

એક વર્ષ સુધી સુરતમાં હિરાઘસુઓનો રૂમપાર્ટનર હતો. ઘણી વખત હિરાઘસુ મિત્રો સાથે કારખાને ઘંટી નીચે પગ ભરાવીને સુઈ જતો હતો, પગે પ્લાસ્ટિકની કોથળી વિંટાળીને. કારણ કે ઉઘાડા પગ ઉંદર ફોલીને ખાઈ જતા હતા. જો કે આટલી તકેદારી વચ્ચે પણ બેએક વાર ઉંદરોએ મારા પગની પાનીઓ કરડી ખાધી હતી. સવારમાં મિત્રો સાથે કારખાનાના ખુણાની ખુલ્લી કંુડીમાં હરહર મહાદેવ કર્યુ છે. હિરાઘસુઓના મુડને પારખ્યો છે, તેમની ચિંતા, દર્દ અને બેફિકરાઈ, રઘવાટ અને રખાવટ, વરિયાળી ભાગોળની વિઝીટ અને પરિવાર સાથેનું આત્મિક સંધાન, ગંડસ્થલના ઘા અને જીંદાદીલી...ને મેં ઝીલ્યા છે.

દમ હતો ત્યા સુધી એમણે પંડ્યના પાથરણા કર્યા છે. જાત સામુ કદી જોયું નથી. રોજ ૧૧ કલાક એક લાકડાના ફુટ બાટ ફુટના ટેબલ ઉપર તશરિફ રાખીને ઘંટીએ હીરા ઘસવાના અને રાત પડ્યે એજ ઘંટી નીચે પગ ભરાવીને સુઈ જવાનું. હું હજારો હિરાઘસુઓને મળ્યો, આટલી આકરી મહેનત છતા એકપણના ચહેરા ઉપર જીવનને વેંઢારતા હોય એવો ભાવ ન જોયો. ૧૫ વર્ષ પહેલા હિરાની મજુરીનો ભાવ હતો એટલો જ આજે છે, હિરા ઘસવામાં એને ભલે ઘરના બે છેડા ભેગા ન થતા હોય, કારખાનેદારએ મોટી હવેલીઓ બાંધી લીધી, પ્રાઈવેટ વિમાનો ખરીદી લીધા અને મુશ્કેલ કાળમાં પોતાને રસ્તે રઝળતા મેલી દીધા છતા એને સરકાર કે માલિકો પ્રત્યે મનમાં રત્તિભારની નફરત નથી. પોતે હજુ એની એજ પટ્ટાવાળી લુંગી પહેરીને ઘંટીએ બેસે અને એની નજર સામે ‘માલિકો’ મહાલયો બંધાવી રહ્યા હતા છતા એમને એની ઈર્ષા નહોતી. શાકબકાલાવાળી મોબાઈલ લઈને ફરતી હોય પણ ‘માલિકો’ એમની પાસે હજુ હમણા સુધી બાઈક, ફોન હોય તો તેમને કારખાનેથી છુટ્ટા કરતા. એવુ માનીને કે નક્કી તેમણે હીરા ચોર્યા હશે (કે બદલાવ્યા હશે) નહીતર મોબાઈલ, બાઈક ખરીદવાનું સામ્યર્થ ક્યાંથી આવે?!

ચપટીભર શેઠિયાઓએ લાખો હિરાઘસુઓ ઉપર જોહુકમી કરી અને તેમણે ચલાવ્યે રાખી. નાના ગુનામાં કે ગુનાના શક બદલ તેમની ચામડી ઉતરડી લેવાઈ, કોઈ કિસ્સામાં તો ઉંચા માળની અટારીએથી નીચે ફેંકી દેવાયા. ના, તેઓ કંઈ ગભરૂ પ્રજા નથી. શેઠિયાને નહી મારવાનું એના એથિક્સમાં નહી આવતું હોય એટલે બાકી તાપીના પુર સુરતમાં ઘસી આવ્યા ત્યારે સુવાવડી બાઈને વેણ ઉપડતા માથાડુબ પાણીમાં ખાટલા સોતી દવાખાને લઈ ગયા હતા ત્યારે સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટરે એડવાન્સમાં મોટી રકમ માંગી અને પછી જ દર્દીને હાથમાં લેવાનું કહ્યું હતું. એની ૧૦ મિનિટમાં હિરાઘસુઓનું વિરાટ ટોળુ ઘસી આવ્યું અને ત્રણ ફોર વ્હિલર સહિત આખેઆખા દવાખાનાને આગ ચાંપી દીધી. દવાખાના સાથે જોડાયેલું ડોક્ટરનું ઘર પણ બળીને ખાખ થઈ ગયું હતું. ડોક્ટરને અગાઉ ઘટનાનો અંદાજ આવતા ભાગી છુટ્યો હતો, નહિતર કદાચ એમનેય બળતામાં પધરાવી દીધો હોત.

બીજો દાખલો વરાછાની પ્રસિદ્ધ ક્રિષ્ના ડેરીનો, એક બાજુ તાપીનો કેર અને બીજી બાજુ કિષ્ના ડેરીના મારવાડી માલિકનો. દુધની ભારે અછત. બાળકોને પાવા માટેનું દુધ કિષ્ના ડેરીમાં લેવા આવે ત્યારે અછતનો ફાયદો ઉઠાવીને દુધમાં એજ તાપીનું ગંદુ પાણી મેળવીને કાળાબજારે વેચવા માંડ્યું. દુધનો રંગ સફેદ ન રહ્યો. હિરાઘસુઓએ આખેઆખી ડેરી ફુંકી મારી હતી. 

હિરાઘસુઓના મહોલ્લામાં એ આખા મહોલ્લાને ઓળખે અને આખો મહોલ્લો એને. તેઓ પરસ્પરના મદદગાર. ગાંઠે બે પૈસા હોય તો ભાંગ્યાનો ભેરૂ થવામાંય એ વાર ન લગાડે.  

તેમના જીવનના કાયદાઓ અને રસમો સાવ નોખા. આમ સાવ દરિદ્ર પણ લાખોનો વહિવટ ચિઠ્ઠિની લેવડદેવડ ઉપર થાય તોય ઈરાદનો પાક્કો. વહેવાર તોડવા કરતા જીવ આપી દેવાનું વધુ પસંદ કરે. ખાવાનું ભલે પ્રાઈમસે ચડતું પણ મહેમાનગતિમાં એને કોઈ ન પુંગે. મહેમાનગતિમાં અટ્ટારીઓવાળાને એ ટપી જાય. એમાંય ઉંચુ ભણેલો કોઈ એનો મહેમાન બને ત્યારે તો પાણીપાણી. દુનિયા જંકફુડ અને ફાસ્ટફુડને રંગે રંગાતી હતી ત્યારે તેઓ ફ્રુટની લારીએ ટોળે વળતા હતા. ફ્રુટ ખાવામાં અને ખરીદવામાં હિરાઘસુઓને કોઈ ન પોગે. વરાછા વિસ્તારમાં રોજના ૧૦ હજારના કેરી, તરબુચ વેચી નાખનારા લારીવાળાના દાખલા તમે એક માંગો હજાર મળે. હિરાઘસુઓની સાથે આજે એય નવરા થઈ ગયા. એમને મહેનતથી વધુ કંઈ ખપતું નથી. એટલે ઘર ચલાવવામાં મહેનત ઓછી પડે તો દિવાળી વેકેશનમાં ખેતીકામે લાગી જતા. ચોક્ખાચણાક અને ફુલફટાક બનીને મહાલવું એમને ગમે પણ સમય આવ્યે ધુળમાં ધુળ બની જતાય વાર ન લાગે. એકલપંડ્યે આખા પરિવારનો ભાર ખેંચતો હતો છતાય એના વર્તનમાં જરીકેય અભિમાન ન મળે. 

પંદરવીસ ચોપડીના ભણતર પછીય નોકરીની સલામતિનો પ્રશ્ન લોકોને સતાવતો હોય પણ અભણ હિરાઘસુઓ જાણે કે કમ્મરતોડ મજુરી અને શ્વાસનળીમાં ઘસાયેલા હિરાની રજકણ ભરાઈ જતા અકાળે વૃદ્ધત્વ આવી જશે, ૪૫ વર્ષની ઉંમર પછી અંગુર કટોરાને હાથ અને આંખો સપોર્ટ નહી આપે છતા બેફિકરાઈ એના બાપની.

આ સ્થિતિમાં આમતો એને પાઈપાઈની બચત કરીને જીવવું જોઈતું હતું પણ એણે પાઈનીય બચત કરવાનું મુનાસિબ ન ગણ્યું. જે વખતે જેટલી કમાણી થઈ તેનું તુરત દાન અને મહા પુણ્ય. આજે જે સ્થિતિ આવી છે તેનો અણસાર તેને વર્ષોથી હતો. પણ હતો જરા અલગ અંદાજમાં. તેઓ માનતા કે નજીકના ભવિષ્યમાં જ એક સમય એવો આવશે કે હિરાની ખાણો ખુટી પડશે કે હિરાની ‘ડિમાન્ડ’ તુટી પડશે ત્યારે આપણે બધા ‘નવરા’ થઈ જવાના. ભલે અલગ કારણોથી પણ એમનો ભય સાચો ઠર્યો. 

હિરા ઉદ્યોગને ગ્રહણ લાગવાથી હિરાઘસુઓના ગણિત ખોરવાઈ ગયા, વહેવારો અટકી ગયા. કરોડો કમાઈ બેઠેલા શેઠિયાઓને એની કોઈ બળતરા નથી?!

અને આમાં દિલને રાહત આપે એવી વાત એ છે કે હિરાઘસુઓએ આજની તારીખે કોઈની કને મદદની ઘા નથી નાખી. એના માલિકોને મદદની જરૂર હોય તો હોય, હિરાઘસુઓને પડી નથી. ‘દેવાવાળો હજાર હાથવાળો છે એ કીડીને કણ અને હાથીને મણ દઈ રે છે’ એવી એમની મુળ માનસિકતા. હિરાના કારખાનામાં મજુરી કરતા હતા તે હવે ખેતરવાડીએ કરશે. વર્તમાનમાં જીવવાવાળી આ પ્રજા અપરિગ્રહમાં માનતી. ખાવુંપિવું અને પરિવારને ખુશ રાખવો એ એની પ્રાથમિકતા. અને વળી એકલો માણસ આખા પરિવારની ધુંસરી કાંધે ઉપાડીને ચાલતો હોય ત્યારે એની પાસે પૈસો ક્યાંથી હોય. ચારેકોર દંભપાખંડકૃત્રિમતાની બોલબાલાની વચ્ચે હિરાઘસું આટલો સરળ કેમ રહી શક્યો હશે? 

બે કારણો હશે એની પાછળના. એને ભણતર બહુ ચડ્યુ નહી અને મુળે એ ગામડાની મિટ્ટીનો માણસ, ધરતીપુત્ર.

सोमवार, 9 मार्च 2009

ડગલું ચાલતા ગોઠીંમડું ખાઈ જનારા રાજકારભાર ચલાવે છે





૫૩ વર્ષના તેલુગુ અભિનેતા ચિરંજીવીએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યુ છે. ગયા વર્ષના અંત ભાગે તેણે ‘પ્રજા રાજ્યમ્ પાર્ટી’ના નામે આંન્ધ્રપ્રદેશમાં નવો સ્થાનિક પક્ષ રચ્યો હતો. લોકસભાની ચુંટણીઓ નજીક આવી ચિરંજીવ ઉપરાછાપરી રેલીઓ કાઢી રહ્યો છે અને તેલુગુ ફિલ્મોનો સુપરસ્ટાર છે એ નાતે તેની સભાઓમાં સૈલાબની જેમ લોકો ઉમટી પડે છે. કારણ કે દક્ષિણમાં સુપરસ્ટાર અભિનેતાને લોકો ભગવાનના ઠેકાણે બેસાડે છે.

ના, મારે ચિરંજીવીની લોકપ્રિયતા વિશે, ઉપલબ્ધિઓ વિશે કે તેના નવા પક્ષની ખાસિયતો વિશે કંઈ કહેવું નથી. 

મારે કહેવું છે તેના ૫૩ વર્ષે રાજકારણમાં પ્રવેશ વિશે. 
રાજકારણ સમાજને સૌથી વધુ અસર કરતું પરિબળ છે. ફિલ્મ, મિડિયા, બ્યુરોક્રસી, બિઝનેસ...આ બધા ક્ષેત્રનવિશો સમાજ ઉપર પ્રભાવ પાડી શકે છે એ કરતા સમાજ ઉપર અનેક ગણો વધારે પ્રભાવ રાજનેતાનો પડે છે. છતાય, તમારે આઈઆઈએમ, નિફ્ટ જેવી સંસ્થાઓમાં એડમિશન લેવું હોય તો આકરી કસોટીઓમાંથી પસાર થવાનું અને એય પાછુ ૩૦૩૨ વર્ષની નીચેને ઉંમર સુધીમાં, પણ રાજકારણમાં પ્રવેશ માટેની કોઈ નિશ્ચિત વયમર્યાદા નહી? રાજકારણમાં તમે ૫૦ વર્ષે પ્રવેશ મેળવી શકો અને ૮૨ વર્ષે પ્રધાન (વડાપ્રધાન ઓલ્સો) પણ થઈ શકો. અન્ય કોઈ ક્ષેત્રમાં જોઈએ એ કરતા રાજ ચલાવવામાં વધારે આવડતની જરૂર પડે છે એ વાતની આપણને બધાને ખબર હોવા છતા વનપ્રવેશ કરી ચુકેલાને આઈઆઈએમમાં નહી ને રાજકારણમાં એન્ટ્રી કેમ આપવામાં આવે છે? કહું છુ કે મોટી ઉંમરનાઓને રાજકારણમાં પ્રવેશનિશેધ ફરમાવશો અને આઈઆઈએમ જેવી પ્રિમિયર શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ આપશો ચાલશે. કારણકે એક પ્રધાનનું બળ હજાર અધિકારી જેટલું જાણજો. 

આપણે સંસ્કારી સમાજ હોવાની ડિંગ હાંકીએ છીએ તે વનપ્રવેશ કરી ગયેલાને રાજકારણમાં પ્રવેશ આપીએ છીએ એમાં આપણુ સંસ્કારીપણુ ઝળકે છે? શરીરમાં ગેસ અને બદહજમીએ કબજો જમાવી લીધો હોય એનામાં રાજ્યનું કલ્યાણકારી વિચારો સ્ફુરે એવી આશા ઠગારી નહી નિવડે? ૨૦૨૫ વર્ષે જીવનમાં કંઈક કરી દેખાડવાનો જે જુસ્સો હોય છે તે ૫૦ વર્ષે નથી રહેતો, આદર્શોને વળગીને ચાલવાની ધખના હોય છે તે મોટેભાગે ખતમ થઈ ગઈ હોય છે. વંડીઓ ઠેકી જતો હતો તેને ચાર ડગલા ચાલવામાં હાંફ ચડી જાય છે. કરમદા, બોર કાચાપાકા ઝાપટી જતો હતો તેને કાયમ ચુર્ણ અને મધુપ્રમેહને અંકુશમાં રાખવાની ગોળીઓ ખાવી પડે છે. જીવનની અડધી સદી ઓળંગ્યા પછી માણસ સેટિંગો પાડતા શિખી જાય છે. જીવનમાં આદર્શો જેવું કશું હોતું નથી એવી તેને ખબર પડી જાય છે. ટુંકમાં, માણસ રીઢો બની જાય છે. એક ગરીબડા પ્રજાજનની ઘા એના ડઠ્ઠર જેવા થઈ ગયેલા હદય સુધી પહોંચતી નથી એટલો રીઢો. એને તમે પરિપક્વ પણ કહી શકો. આ ઉંમરે આપણે તેને નેતા બનાવીએ છીએ. અને પછી રાજકારણમાં નિચ, ગંદા, ગલીચ લોકો ભરાયા છે એવી ફરીયાદ કરીએ છીએ. પચાસ વર્ષે રાજકારણમાં પ્રવેશીને લોકપ્રિયતાની રોકડી કરી મુખ્યપ્રધાન બની જતા નેતાઓને અને પછી ૮૦ વર્ષે જરા જોરથી ડગલું ચાલવામાં ગોઠીંમડું ખાઈ જવાય એવી સ્થિતિએ પણ રાજકારભાર નહી છોડતા સત્તાલાલચુઓ આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે?

આ સ્થિતિનું નિર્માણ આપણે જ કર્યુ છે. તેથી નેતાઓ સામે એક આંગળી ચિંધીશું તો ચાર આંગળી આપણી તરફ તકાયેલી રહેશે. 

(તા.ક. આમાં બાજપેયી, અડવાણી જેવા વૃદ્ધોને વાચકો ન સમાવે. કારણ કે તેઓ યુવાવસ્થાથી જ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા.)

शनिवार, 7 मार्च 2009

કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના


મહાત્મા ગાંધીજીએ વાપરેલી વસ્તુઓ ન્યુયોર્કમાં હરાજીમાં મુકવા જઈ રહી છે અને એ વસ્તુઓ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હોવાના નાતે તેની હરરાજી થતી અટકાવવી જોઈએ એવી વાતો આખા અઠવાડિયા સુધી આપણી આસપાસના વાતાવરણમાં આમતેમ ફંગોળાતી હતી. આખરે વિજ્ય માલ્યા ઈંગ્લાંન્ડમાંથી ગાંધીજીના જુતા, લોટો, ચશ્મા ૧૦ કરોડ રૂપિયા ખર્ચીને ભારત લઈ આવ્યો. ગાંધીજીના પૌત્ર તુષાર ગાંધીએ પણ માલ્યાએ લાજ રાખી એવી મતલબના વિધાનો કર્યા. 


ગાંધીજીએ વાપરેલી વસ્તુઓની હરાજી વખતે રોકકળ કરી મુકનારા મોટાભાગના ‘જીવન ક્ષણભંગુર છે’ અને ’નામ તેનો નાશ છે’ એવી પણ કબુલાત કરતા ફરતા હશે. આ વખતે મને મહુવામાં મોરારીબાપુએ યોજેલી ‘વિશ્વધર્મ સંવાદ’ પરિષદમાં ધર્મશાલાના બૌધવડા પ્રોફેસર સામ ધોંગ રિમ્પોચેએ કહેલી વાત યાદ આવે છે. રિમ્પોચેએ કહ્યુ હતું, ‘બુદ્ધ મુર્તિઓ તોડવાથી બૌદ્ધ ધર્મ નષ્ટ નથી થઈ જતો, બુદ્ધે પ્રયોજેલા મૈત્રી, કરૂણા, મુદિતા.. વગેરે વ્રતને તોડવાથી નષ્ટ થાય છે.’

ગાંધીજીના જૂતા, ચશ્મામાં અટવાયેલા લોકોને જોતા રિમ્પોચે અને તેમના વિચારો સાથે સંમત લોકોને કરૂણા ઉપજી હશે. આ થોડુ યુરોપ અમેરિકા છે કે અહી મુદ્દાઓ અને સમસ્યાઓ નહી મળતા લોકોએ ‘સમથિંગ ફોર અ ચેન્જ’ માટે આવા મુદ્દાઓ પકડવા પડે?

ગાંધી જણસ વિશે ચિવટથી હાથ ઉછાળી ઉછાળીને વાતો કરતા લોકોને જોતા થતું, ‘કહેતા ભી દિવાના અૌર સુનતા ભી દિવાના.’
માલ્યાએ પૈસા ફેંકીને ગાંધીજીનો મુદ્દામાલ તો ઠીક, વાતવાયડાઓનો વાતનો મુદ્દો ઝુંટવી લીધો.

गुरुवार, 26 फ़रवरी 2009

રહેમાનને વખોડનારાને અલ્લાહ અકલ બક્ષે


‘રહેમાન ‘ઑસ્કાર’ ઍવૉર્ડર્ને લાયક નથી. રહેમાનનું સંગીત સાધારણ કક્ષાનું છે, રહેમાનની સંગીતકલા કરતાં આંતરરાષ્ટ્રીય દબાવના કૌશલ્યને કારણે રહેમાન ઑસ્કાર જીતી ગયા...’ ઑસ્કાર ઍવૉર્ડર્ જીત્યા પછીય રહેમાન વિરોધીઓ મોળા પડશે નહીં. ચિત્રવિચિત્ર દાખલાદલીલો રજૂ કરીને રહેમાનને હીણો ચીતરવાના પ્રયત્નો કર્યે રાખશે. પણ ભારતને પ્રથમ ઑસ્કાર અપાવનાર રહેમાનને પોંખવો છે. પછી ભલે આરોપો લાગતા રહે.

રહેમાન ઉપર આરોપ છે કે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને સંગીત નિપજાવે છે. ડ્રમર શિવમણી અને વાંસળીવાદક સિવાય તેના સંગીતકાફલામાં ઝાઝા જણ હોતા નથી. મોટા ભાગનું સંગીત રહેમાન સિન્થેસાઇઝરમાંથી ગતકડાં કરીને ઉત્પન્ન કરે છે. સંગીતકારો પાસે હોય છે તેવડંુ ૫૦૧૦૦ વાદકોનું બૅન્ડ રહેમાન પાસે હોતું નથી. તે તો બસ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને ઑરિજિનલ ન કહી શકાય તેવું સંગીત સર્જે છે.

ઘણી ખમ્મા જનાબ. આપણે તંતુવાદ્યો અને ચર્મવાદ્યો સિવાયનાં ઉપકરણોમાંથી નીકળતા સંગીતને શુદ્ધ સંગીત જ ન ગણવા માગતા હોઈએ તો પવન, પક્ષી, નદી, ઝરણાં, સમુદ્રનાં મોજાંઓ વગેરેમાંથી ઉત્પન્ન થતા સંગીતને શુદ્ધ સંગીત નહીં ગણીએ? મનોમસ્તિષ્કને ભાવતું સંગીત એક બાબત છે અને સૂતેલી લાગણીઓને વીજળિક ગતિએ જગાવી દેતું સંગીત સાવ નોખી જ બાબત છે. બેચાર વાદ્યોમાં લપેટાઈ રહેલો સંગીતકાર સમર્થ શાનો ગણાય. સિન્થેસાઇઝરમાંથી તો પછી નીકળે છે એ પહેલાં એ સૂરો રહેમાનના દિલમાંથી નીકળતા હશે ને? સંગીતમાં કોઈ નવા અવાજને ઉમેરવા પાછળનો રહેમાનનો ચોક્કસ હેતુ હોય છે. એ ઉમેરણ તેના સંગીતને નવી ઊંચાઈ બક્ષી દે છે. સંગીતની ભાષામાં વાત કરીએ તો પરફેક્ટ માત્રામેળવાળું ક્લાસિકલ સંગીત તેનું સ્થાન ભલે શોભવતું પણ લાગણીઓના સમદરમાં નવડાવતું સંગીત એથીય કીમતી છે એ વાત ન ભુલાવી જોઈએ.

‘ઇક સૂરજ નિકલા થા....આંધી આઈ થી... આહ ફિર નિકલી થી...’માં છાતી ચીરીને શબ્દો બહાર ફેંકાતા હોય, દિલની તડપની એ ચિચિયારી ઠેઠ શ્રોતાના હૃદય સોંસરવી નીકળી જાય એવી ધારદાર હોય અને એ પછી બધી ભડાશ નીકળી ગઈ હોય અને છેલ્લે થોડી વરાળ બચી હોય એમ સાવ નીચા પણ પહેલાંના જેટલા જ અસરકારક થ્રો સાથે ‘દિલ સે રે...’ નીકળે. સાથે નળમાંથી પાણીની બુંદો ટપકતી હોય એવું પશ્ચાદ્ભુ સંગીત. પણ ના, ત્યાં સુધીમાં એ પાણીની બુંદોનો નહીં પણ જિગરમાંથી ટપકતા લોહીની બુંદોનો અવાજ ધારવો પડે એટલો સશક્ત માહોલ ગીત બાંધી દે છે. આ માત્ર એક ગીત પૂરતી વાત નથી. રહેમાનનાં મોટા ભાગનાં ગીતોમાં આવો સમો બંધાય છે. ‘આજા સાંવરિયા આ... આ... આ... તાલ સે તાલ મિલા’ માં તમારંુ દિલ બેચાર ફુદરડી ન ફરી જાય તો દિલનો ઇલાજ કરાવજો કોઈ દિલદાર પાસેે. ‘ઓ હમદમ બિન તેરે ક્યા જીના’માં તમને બે ઘડી મૂર્ચ્છિત થઈ જવાનો અહેસાસ ન થાય તો ગીતનો વાંક ન કાઢશો, તમે પ્રેમ માટે પૂરતા પક્વ નથી થયા એમ જાણજો. ‘એ હૈરતે આશિકી જગા મત’માં તમે શુન્યમાં તાકતા ન થઈ જાવ તો બળી તમારી વિચારશીલતા. ‘દિલ હૈ છોટા સા છોટી સી આશા’ સાંભળતાં ડઠ્ઠર દિલ પણ રૂ જેવું નરમ ન થાય એવું બને કે? 

ફિલ્મ ‘બૉમ્બે’નું હિન્દુમુસ્લિમની સામસામી કાપાકાપી પછીનાં દ્રશ્યો. લોહી... આંસુ... આક્રંદ... અને રહેમાનનું એક પણ શબ્દ વગરનું ‘બૉમ્બે થીમ’ સંગીત. તમારી તેત્રીસ કરોડ રોમરાઈ અવળી થઈ જાય છે, રહેમાન તમને પીડાની પરાકાષ્ઠાએ લઈ જાય છે અને તમારાં રૂંવેરૂંવે રુદન ફૂટે છે. એ વખતે લોહી... આંસુ... આક્રંદ... રહેમાનના સંગીતની પછવાડે સરકી જાય છે. લાખ કોશિશ છતાં મણિરત્નમ્ એ દ્રશ્યમાં રહેમાનની ઊંચાઈને આંબી શકતા નથી. શ્રાવ્યની આગળ આખરે દ્દશ્યનો પનો ટૂંકો પડે છે. ઇન્ટેલૅક્ટ (બુદ્ધિમત્તા)ની હદ જ્યાં પૂરી થાય છે ત્યાંથી ઇમૉશન્સ (લાગણીશીલતા)ની હદ શરૂ થાય છે. કોઈ વસ્તુ તમે તાર્કિક રીતે તપાસ્યા વગર સીધી તમારા હૃદય ઉપર કબજો જમાવી દે તો જાણજો કે તેણે તમારા ઇમૉશનલ સેન્ટરને હીટ કર્યું છે. અને તેથી તે વધુ કીમતી ઠરે છે. રહેમાનનું સંગીત તમારા ઇન્ટેલૅક્ચ્યુઅલ સેન્ટર કરતાં ઇમૉશનલ સેન્ટરને વધુ સ્પર્શે છે. 

‘તૂં હી રે... તેરે બિના મેં કૈસે જીઉ’ ને અને ‘યે જો દેશ હૈ તેરા સ્વદેશ હૈ તેરા’ ને ગીત ગણવા કે બંદગી? ‘કહના હી ક્યા યે નૈન ઇક અનજાન સે જો મિલે’ સાંભળતાં નવોદિત પ્રેમીની વાચા જ હણાઈ જાય એવંુય બને. ફિલ્મ ‘રંગ દે બસંતી’માં લતા પાસે ગવડાવેલા સ્લો ટ્રેક ‘લુક્કા ચુપ્પી બહુત હૈ’ અને ઝુબૈદામાં અલકા યાજ્ઞિક પાસે ગવડાવેલા ‘મેંહદી હૈ રચનેવાલી’ને તમે કયા શબ્દોમાં નવાજશો? રહેમાનનું કયંુ સર્જન શ્રેષ્ઠ એ નક્કી કરવાનું ઘણું મુશ્કેલ છે એ જ સાબિત કરે છે કે તે સલામીને હકદાર છે. રહેમાનના સંગીતને મસ્તિષ્કના જોરે માપનારાઓએ તેમનાં પરિમાણો બદલવાં પડશે. કારણ કે એ સતત પંચતારક હોટલના મેળવડાઓ અને મીડિયાના કૅમેરાની રોશનીમાં ઝળાંહળાં રહેવા માગતો કલાકાર નથી. રહેમાન રાતવરત દરિયાકાંઠે ઘૂમે છે. પ્રકૃતિનો ખોળો ખૂંદતો ફરે છે. તેથી તેના સંગીતમાં નિસર્ગ ઝળકે છે. પ્રેમ અને ઉષ્મા ઝળકે છે. એટલે જ ઑસ્કાર ઍવૉર્ડર્ સ્વીકારતી વખતે રહેમાન કહે છે, ‘જીવનમાં જ્યારે જ્યારે મારે પ્રેમ અને ધિક્કાર વચ્ચે વરણી કરવાની આવી ત્યારે મેં હંમેશાં પ્રેમની જ વરણી કરી છે અને તેથી હું અહીં છું.’ 

આપણે રહેમાનના સંગીતની શાસ્ત્રીય સમીક્ષા કરીને સંગીતના સૌન્દર્યને પીંખી નથી નાખવું. સરળ બાનીમાં એના વજૂદને રજૂ કરવું છે. રહેમાનના કોઈ પણ ગીત સંગીતને તમે સાંભળો, તમે બૅકગ્રાઉન્ડમાં વાગતા દરેક વાદ્યના સૂરને નોખા તારવી શકશો. અને દરેક વાદ્યની એક ખાસ અસર ઊપજતી જાણશો. આવું બીજે જવલ્લે જ જોવા મળશે. અન્યોના સંગીતમાં સામાન્ય રીતે તમને બૅકગ્રાઉન્ડમાં એકસાથે અનેક વાદ્યોની ભેળસેળ સંભળાશે. 

રહેમાનની પ્રયોગશીલતા પણ ધરાતલની છે. ગાયક સુખવિંદરસિંહ રહેમાનનેે એમ કહીને નવાજે છે કે બધા સંગીતકાર પ્રયોગશીલ હોય છે અને પ્રયોગો કરે છે. રહેમાનની વાત એ છે કે તેના પ્રયોગો જટિલ નથી હોતા. એટલે શ્રોતા સરળતાથી રહેમાનના સંગીતવિશ્વમાં પ્રવેશ મેળવી લે છે. તેના સંગીતને સમજી જાય છે અને આ જ તો સંગીતકારની સફળતા છે. 

સાદગીમાં માનતા આ સંગીતકારને છવાયેલા રહેવાની ધખના નથી. એટલે જ એ એની મુનસફી પ્રમાણે ધૂનો બનાવે છે અને તેમાં બાંધછોડ ચલાવી લેતો નથી. બોલિવૂડમાં ખિટખિટ પિટપિટ વધી ગઈ તો રહેમાને બોલિવૂડને એમ કહીને રામ રામ કહી દીધંુ કે તે બોલિવૂડમાં તેમના મિત્રો સિવાયના લોકોની ફિલ્મોમાં સંગીત નહીં આપે. ધનના ઢગલા કરવાના હોય અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર રાજ કરવું હોય તો કોઈ આવું પગલું ભરે ખરંુ? જે લોકો કામ મેળવવા માટે હંમેશાં કુરનિશ બજાવતા જોવા મળે છે તેઓ રહેમાનના સંગીતની સમીક્ષા કરતા જોવા મળે છે. અલ્લાહ ઉસે અકલ દે.

વળી જગજિતસિંહ જેવા ગઝલગાયક આરોપ લગાવે છે કે રહેમાન ધૂનની તફડંચી કરે છે. જગજિતસિંહને માલુમ થાય કે આજકાલ જગતમાં જ્ઞાન એટલું બધું પ્રસરી ચૂક્યું છે કે મૌલિક જેવું ખાસ કંઈ બચતું નથી.

કોઈ સંગીતકારે સમગ્ર ભારતમાં ચાહના મેળવી હોય એવું રહેમાન સિવાયનું ઉદાહરણ નજરે ચડતું નથી. કોઈ બોલિવૂડમાં ચાલે તો દક્ષિણ ભારતમાં ન ચાલે અને દક્ષિણ ભારતમાં ચાલે તો બોલિવૂડમાં ન ચાલે. લોકચાહનામાં ઇલિયારાજા કે આર.ડી. બર્મન નહીં, રહેમાન ભાષાનો સીમાડો કુદાવી શક્યા છે. વિશ્વને ભારતીય સંગીતનું ઘેલંુ લગાડવાનું શ્રેય તેમને ફાળે જાય છે. વળી ઉત્તમ સંગીતમાં સાતત્ય રહેમાન જેટલું બીજે ક્યાં મળશે?  

સાદગી અને સંગીત સિક્કાની બે બાજુ છે પણ સંગીતને અને સાદગીને ખાસ લેવાદેવા નથી એવુંય આજના પ્રૉફેશનલયુગમાં ઘણા માને છે. અલ્લાહ એમનેય અકલ બક્ષે!

सोमवार, 16 फ़रवरी 2009

ભાર જરૂરી છે નહીતર ઉડી જવાશે


ગોખણપટ્ટીનો છેદ ઉડાડવાના અને ભાર વગરનું ભણતર પિરસવાના આશયથી પાઠયપુસ્તક સાથે રાખીને પરિક્ષા આપવાની જાહેરાત થઈ અને પછીથી જાહેરાત પાછી પણ ખેંચી લેવાઈ. ભાર સાથેનું ભણતર અને ગોખણપટ્ટીવાળુ ભણતર જરૂરી છે કારણ કે,...
સમજવા માટે પ્રથમ વસ્તુના બંધારણનો આલેખ મગજમાં હોવો જરૂરી છે. એટલે સમજણશક્તિ વિકસાવવા માટે યાદદાસ્ત વિકસાવવી જરૂરી છે. સ્મરણની ક્રિયાને આપણે નકારાત્મક અર્થમાં ‘ગોખણપટ્ટી’ નામ આપીએ છીએ. પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપીને ગોખણપટ્ટી અટકાવવાની કવાયતમાં સમજણશક્તિનો ગ્રોથ પણ ઘટી જશે. આનું ઉદાહરણ જોઈએ તો વિજ્ઞાનના અભ્યાસુએ પોતાના સંશોધનમાં આગળ વધવા માટે વિવિધ તબક્કે અનેક સમીકરણો યાદ હોવા(ગોખેલા હોવા) જરૂરી છે. આજે વિશ્વભરમાં ભારતીય પ્રોફેશનલ્સની બોલબાલા છે તેની પાછળનું એક કારણ તેમની તેજ સ્મરણશક્તિ છે.

બાળવયથી યુવાવસ્થા સુધીનો ગાળામાં જીવનઉર્જા છલોછલ હોય છે. જો આ ઉર્જા કશામાં રોકેલી રાખવામાં ન આવે કે તેનો યોગ્ય ઉપયોગ ન થાય તો તે નકારાત્મક માર્ગે ફંટાઈને પતન તરફ લઈ જાય છે. આપણે ભાર વગરના ભણતરની વાત કરીએ ત્યારે આ વાત કેમ વિસરી જઈએ? યુરોપ અને અમેરીકાના દેશોમાં બાળગુનાખોરીનું પ્રમાણ ઘણુ વધારે છે. બાળક કે કિશોર દ્રારા આડેધડ ગોળીબાર જેવા ગુનાનાં કિસ્સાઓના સમાચારો સમયાંતરે પ્રગટ થતા રહે છે તેની પાછળના ઘણા કારણો પૈકીનું એક પ્રમુખ કારણ ત્યાંનું ભાર વગરનું ભણતર છે.

એક નિયમ છે કે મગજને સતત પ્રવૃત રાખવાથી મગજની ક્ષમતા ઘટતી નથી પણ ઉલટાની વધે છે. આ નિયમ હેઠળ ભણતરને આવરી લઈએ તો ગોખણપટ્ટીના ભારવાળુ ભણતર સરવાળે મગજનો વિકાસ કરનારૂ સાબિત થાય છે. ભારવગરનું ભણતર લાવીને મગજને આળસુ ન બનવા દેવું જોઈએ.

પુસ્તકના પાઠને મગજમાં બેસાડવા માટે( ગોખવા માટે) તમારી સમગ્ર ચેતના તમારા પઠન પ્રત્યે કેન્દ્રિત હોવી જરૂરી છે. આ વાતને એકાગ્રતાના સંદર્ભમાં લઈએ તો ગોખણપટ્ટી વખતે આપણુ ધ્યાન દરેક બાબતોમાંથી હટીને માત્ર પઠન પ્રત્યે જ એકાગ્ર થયુ હોય છે. જો આ એકાગ્રતામાં રતિભારની પણ ખોટ હોય તો વાંચેલુ યાદ રહેતુ નથી. માટે ગોખણપટ્ટી ૧૦૦ ટકાની એકાગ્રતા માંગે છે. એકાગ્રતા સૌથી વધુ જીવનઉપયોગી ચીજ છે એમાં બેમત નથી અને ગોખણપટ્ટીથી એકાગ્રતામાં વિકસે છે.

પાકા ઘડે કાંઠા ન ચડે એમ મગજને કસવા માટે બાળપણથી જ તેવી કસરતો કરવી જરૂરી છે. ગોખણપટ્ટી આ પ્રકારની કસરત છે. પાઠ્યપુસ્તકમાંથી ગોખણપટ્ટી કરવા માત્રથી તે વિષયો લાંબા સમય સુધી યાદ રહી જતા નથી. વાંચેલું લાંબા સમય સુધી યાદ રાખવા માટે પ્રથમ જે તે વિષય પ્રત્યેનો અણગમો દુર કરવો પડે. પછી અનેક વિષયોમાં રત રહેતા વેરવિખેર મનને અનેક ઠેકાણેથી હટાવીને જરૂરીયાતના વિષયો ઉપર જ કેન્દ્રિત કરવું પડે. એકાગ્રતા કશેથી સીધી મળતી નથી. રસ પરિપક્વ થાય અને ધ્યાન વેધક થાય એ પછી જ વાંચેલું બધું છબી રૂપે કે શબ્દ રૂપે મનમાં અંકિત થાય છે. ગુરૂ દ્રોણની પરિક્ષામાં અર્જુનને શરુઆતમાં ડાળ સહિતની ચકલી દેખાતી હતી અને પછી માત્ર ચકલીની આંખ જ દેખાતી હતી તેમ ક્રમશઃ એકાગ્રતા પ્રગટે છે. યાદ રાખવાની વારંવારની મથામણથી શ્રમનો ગુણ વિકસે છે. આમ ગોખણપટ્ટી શક્તિનું એકેન્દ્રિકરણ છે અને તેના પરિણામે શિસ્ત અને શ્રમના ગુણો વિકસે છે.

વર્તમાન પરિક્ષા પદ્ધતિના વિરોધમાં એવી દલીલ કરવામાં આવે છે કે વર્ષ દરમિયાન ગોખેલુ પરિક્ષાના ડરને કારણે પરિક્ષા હોલમાં યાદ ન આવે ત્યારે વિદ્યાર્થીએ નુકશાન ભોગવવું પડે છે. આ દલીલ વ્યાજબી નથી કારણ કે મુશ્કેલ સંજોગોમાં સ્વસ્થતા રહે એ જ તો મોટી કસોટી છે. ભણી લીધા પછી જીવનમાં ઘણીવાર અતિસંકટની ઘડીઓ આવે તે સમયે તમારે સ્વસ્થતાપુર્વક માર્ગ કાઢવાનો હોય છે. જો સ્વસ્થતાનો ગુણ તમારામાં ન હોય તો મુશ્કેલ સમયે તમારી હોશિયારી કામ નહી લાગે અને ડગલેને પગલે તમારે નુકશાન ભોગવવું પડશે.

પુસ્તક સાથે પરિક્ષાની છુટ આપવાથી યાદ રાખવાની મથામણ અને ‘હોમવર્ક’ કરવાનું બંધ થઈ જશે. પરિણામે વિદ્યાર્થી આળસુ પ્રકૃતિનો થી જવાની સંભાવના રહે છે.

ઓપન બુક એક્ઝામમાં તમારી પાસે તૈયાર માહિતિ છે અને તમારે માત્ર તેની ‘કોપી’જ કરવાની રહે છે ત્યારે તેમાં વિદ્યાર્થીઓની હોંશિયારીનું આકલન કઈ રીતે કરવું? અભ્યાસમાં નબળા અને તેજસ્વી વિદ્યાર્થીની તારવણી કઈ રીતે કરશો?

બૌદ્ધ ધર્મના વડા દલાઈ લામાએ એક મુલાકાતમાં કહ્યુ હતુ કે બાળપણમાં મારા પર લાદવામાં આવેલા અંકુશો મને ત્રાસદાયક અને અન્યાયી લાગતા હતા પણ આજે હું કબુલુ છુ કે મારા વિકાસમાં બાળપણના મારા પર લદાયેલા વ્રત અને અનુશાસનનો મોટો ફાળો છે. તત્વચિંતક જી.આઈ. ગુર્જીએફે વ્યક્તિનિતિ ઉપર બે બોલ કહ્યા તેમાં યુવાવસ્થા સુધી શિસ્ત અને અનુશાસનમાં રહેવા ઉપર ભાર મુક્યો છે. માટે બાળક ઉપરથી પુસ્તકો યાદ રાખવાનો ભાર હટાવી દેવાથી તેની એકાગ્રતા, શિસ્ત, અનુશાસન, શક્તિ સંચયને ફટકો પડશે.

અભ્યાસનો ભાર હળવો થઈ જવાથી નિરંકુશ અને દિશાહિન બાળકનું ઘડતર કરવા માટે માવતર પાસે પોતે પોતાની જ પળોજણમાં હોઈ પુરતો સમય નથી. ત્યારે બાળક કુછંદે, કુટેવે ચડી જવાની સંભાવનાઓ વધી જાય છે.

गुरुवार, 15 जनवरी 2009

મહુવા મઘ્યે વિશ્વધર્મસંવાદ





મારૂ ગામ(ભાદ્રોડ) મોરારીબાપુના ગામ તલગાજરડાથી માત્ર ૪ કિલોમીટર દુર છે. નાનપણથી અત્યાર લગી મોરારીબાપુની કથાવાર્તામાં ડઝન કરતા વધારે વખત ઉપસ્થિત રહ્યો છું. અહી બદલાતા કાલચક્ર સાથે ભિંત, ખોરડા, માણસો... બધુ બદલાતું જોયું છે. મોરારીબાપુ છેલ્લા કેટલાક વર્ષોથી રામકથાના ગાનની સાથે સાથે સ્વાન્તઃ સુખાય ઘણી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ગોપીગીત પઠન, અસ્મિતા પર્વ, સંસ્કૃત પર્વ, વગેરે દ્રારા. એમાં તારિખ ૬થી ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ દરમિયાન વિશ્વધર્મ સંગોષ્ઠિનું આયોજન કરીને પ્રવૃતિઓના ઝુમખામાં વધુ એક છોગુ ઉમેર્યુ હતું. મહુવાની માલણ નદીના તટે આવેલા કૈલાશ ગુરૂકુળમાં ‘વર્લ્ડ રિલિજિયન્સ ડાયલોગ એન્ડ સિમ્ફની ઃ ઘર્મસંવાદ’ના બેનર નીચે બૌધ્ધ, સુફી, ખ્રિસ્તિ, ઝેન, જૈન, મુસ્લિમ, હિન્દુ, શિખ, પારસી ધર્મના વડાઓને ભેગા કરીને પરસ્પર ધર્મસંવાદ રચવાનો કાર્યક્રમ હતો. અહી તારિખ ૬થી ૮ જાન્યુઆરી સુધી ત્રણ દિવસની મારી હાજરીમાં મેં અહી જે જોયુ, જાણ્યુ તેનાથી વાચકોને અવગત કરવાનો પ્રયત્ન કરૂ છું.

...અને કૈલાસ ગુરૂકુળ તિબેટિયન છાવણીમાં ફેરવાયું 



‘વિશ્વ ધર્મસંગોષ્ઠિ’નું ઉદ્દઘાટન દલાઈ લામાના હસ્તે તુલસીના છોડને ગંગાજળ પાઈને કરવાનું હતું. દલાઈ લામા સાથે સેંકડો તિબેટીયનોનો કાફલો પધાર્યો હતો. વાતાવરણ એવું હતું કે જાણે તમે તિબેટ કે ધર્મશાલા મધ્યે વિહરી રહ્યા છો. ઉદ્દઘાટન વક્તવ્યમાં દલાઈ લામાએ કરેલી ત્રણ વાતો ટાંકુ છું ‘સાયન્સ અને અૌધોગિક વિકાસ ચરમસીમાએ છે પણ અધ્યાત્મિક વિકાસ નથી થતો તેનું કારણ એ છે કે અધ્યાત્મિક વિકાસ પાંચ ઈન્દ્રિયોની પરે છે. પશુંના સુખદુખ ભૌતિક વિકાસથી શક્ય છે કારણ કે તેમની પાસે મન નથી. મનુષ્ય મનોભુમિમાં વિચરણ કરે છે તેથી તેના સુખદુખનો ઈલાજ ભૌતિક વિકાસથી શક્ય નથી.’ ‘ભૌતિક વિકાસથી ક્યારેક ઉંધો પ્રભાવ પડે, અતિ ભૌતિક વિકાસથી માનવીની તૃષ્ણા અને લોભ વધે છે. અને તેની પુર્તિ માટે તે મન, શરીર, વચનથી વધુ ભૌતિક ક્રિયાઓમાં વધુ મચી પડે છે અને સરવાળે દુખી જ રહે છે.’ ‘મન સ્થિર હોય તે સુખી રહે છે એમ આજનું દાક્તરી વિજ્ઞાન પણ કહે છે અને મનની સ્થિરતા અને એકાગ્રતાનું નિયમન ભૌતિક વસ્તુઓથી થઈ શકતું નથી. જે કુટુંબમા મૈત્રી, કરૂણા, સંતોષ હોય તે કુંટુંબ, પરિવારમાં વધુ શાંતિ રહે છે તે વાત સ્પષ્ટ છે. મૈત્રી, કરૂણા એ ચિત્તની દેણ છે, તેને કારખાનામાં ઉત્પાદિત કરી શકાતી નથી, સ્વયં ઉત્પાદિત કરવી પડે છે.’ દાર્શનિક મતભેદો ઉદ્દભવવા અંગે લામાએ લાજવાબ વાત કરી હતી. તેઓ કહે છે કે મનુષ્યની ચિત્તવૃત્તિ, ક્ષમતા, વાસના ભિન્નભિન્ન હોય છે. તેથી રૂચિ અનુસાર દર્શન સંભળાવીને મૈત્રી કરૂણા ઉત્પન્ન કરવાનો બુદ્ધનો ઉદ્દેશ રહ્યો છે. ધર્મ અને રાજનિતિના ગઠબંધનની પણ લામાએ ખબર લઈ નાખી, રાજનિતિક અને આર્થિક અસંતુલન સર્જાય ત્યારે રાજનિતિ ધર્મને સાથે લઈને હેતું અંકે કરે છે. અંતમા લામાએ ધર્મસભાને ચુંટલી ખણતા સંભળાવી દીધુ કે આ સભા ભાષણબાજી અને ડોક્યુમેન્ટનું સ્વરૂપ બનીને અટકી ન જાય. લામાની ભિતિ સાચી ઠરી એમ કહી શકાય? ખેર, દલાઈ લામાના ગમન સાથે તિબેટિયનો પણ અદ્દષ્ય થઈ ગયા. બે નેતાઓની વાત પુરી થઈ અને ધર્મચર્ચાનો પહેલો દિવસ સમાપ્ત થયો. હવે દેશી શ્રોતાઓ વધ્યા હતા. નગીનદાસ સંઘવીએ ‘ધર્મસંવાદનું મથાળું બાંધતી વખતે કહ્યુ કે વ્યક્તિ અને સમાજને યોગ્ય આકાર આપવામાં મુખ્ય ફાળો ધર્મનો રહ્યો છે અને ધર્મ બધા રિવોલ્યુશનનો મુખ્ય પાયો રહ્યો છે. નગીનદાસે આ સાથે કાંચીપીઠના શંકરાચાર્ય ધર્મસભામાં નાદુરસ્ત તબિયતને કારણે હાજરી આપી શકે તેમ નથી એમ કહીને સભામધ્યે શંકરાચાર્યનો સંદેશ વાંચી સંભળાવ્યો. મોરારીબાપુએ પ્રાસંગિક પ્રવચનમાં સંવાદ માટે વિવેક, વૈરાગ્ય અને વિચારની આવશ્યકતા ગણાવી. બાપુને દલાઈ લામાની ભાષણબાજી અને ડોક્યુમેન્ટના નામે લીધેલી ચુંટણી જરા અકારી લાગી હશે કે મુઠ્ઠી પછાડીને કહી દીધુ કે અમે તો બીજ ફેંકી રહ્યા છીએ પછી તો વાદળ જાણેને જાણે વસુંધરા. પહેલા દિવસે સાંજે ૬ વાગ્યે ધર્મસભા વિખેરાઈ એ પહેલા જાહેરાત કરવામાં આવી કે આવતીકાલથી દરરોજ સવારે ૧૧થી ૧૨.૩૦ કલાક સુધી પ્રશ્નોતરીકાળ રહેશે. એમાં એક શ્રોતાએ બાપુ ઉપર પસ્તાળ પાડી અને બીજા દિવસે પ્રશ્નોતરીકાળમાં પ્રશ્ન ઉઠાવ્યો કે બાપુને માલુમ થાય કે વિવેક, વૈરાગ્ય અને વિચાર માનવમાં જે માનવમાં હોય તેને સંવાદની જરૂર જ ક્યાં છે?
 
બાપુ કુટીરે મહેફિલ મંડાણી 


રાત્રીભોજ લઈને ઉતારે ગયો ત્યા સંદેશ મળ્યો કે બાપુની કુટિરમાં ડાયરો જામ્યો છે. સાંકડ મુકડ ગોઠવાયેલા શ્રોતાગણમાં હું પણ જઈ બેઠો. બાપુ હિંડોળા ખાટે મંદ ગતિએ ઝુલતા હતા. કવિગણો બાપુના સાનિધ્યે કવિતમાં ઝુલતા હતા. બાપુભક્તો બાપુ તરફે ટકટકી લગાવીને સમીપસુખ માણ્યાની ધન્યતા અનુભવતા હતા. કવિત રસિક શ્રોતાગણ વાહ, વાહ કરીને કવિઓને પાનો ચડાવતું સાહિત્ય મસ્તીમાં ઝુમતું હતું. એવામાં આઈસક્રિમના કટોરાઓ ફરતા થયા, જાણે સોનામાં સુગંધ ભળી. ઘણી ઉંમરે ઝાઝું લખતા કાન્તિ ભટ્ટ બાપુની જમણી પા બેઠા ભિખુદાન ગઢવીને થાવા દ્યો કરતાકને ચારણી સાહિત્યને બે બોલમાં નવાજતા હતા. કશીક ઉતાવળમાં હોઈ ભટ્ટ બાપાએ ડાયરાને વચ્ચેથી રામ રામ કરીને કુટિર છોડી. ભિખુદાનભાઈને પહાડી ગળાને ચારણી ઢાળમાં દદડતું મુક્યું. કવિ માધવ રામાનુજે ગોપીભાવને પ્રગટ કરતા કવિત લલકાર્યા એવામાં જલન માતરી પધાર્યા એટલે રામાનુજે ખુરસી ખાલી કરીને માતરીને ધરી અને પોતે પછવાડે બેઠા. રામાનુજે ખુરસીએથી ઉભા થઈને જલન માતરીનો ટુંક પરિચય આપ્યો. બાપુની અને બાપુની આસપાસ બિરાજેલા અન્યોની ફરમાયેશના આધારે જલન માતરીએ ખિસ્સામાંથી ડાયરી કાઢીને ‘હું એટલા માટે નાસ્તિક નથી થયો જલન કે અલ્લાહ હશે તો કોક દિ કામ આવશે’...એક પછી એક ગઝલ છેડી. છેવટ કવિત અને આઈસ્ક્રિમનો બેવડો સ્વાદ માણતા સુવા માટે સૌ છુટા પડ્યા.


સવાલ જવાબોની છુટ્ટી મારામારી 


પશ્નકાળ દરમિયાન મુમુક્ષુઓ પ્રશ્નો પુંછવા માટે અને મહાનુભવોમાં લાંબા જવાબો આપવા માટે તલપાપડ જોયા. નગીનદાસજીએ સંચાલક તરીકેના અધિકારનો ઉપયોગ કરીને ધર્મગુરૂઓને ‘પ્રશ્નનો ટુંકમાં જવાબ આપવા જેથી વધુમાં વધુ સવાલો સમાવી શકાય’ એવી વારંવાર અપીલ કરવી પડી. પણ એનું પરિણામ અમે કાંઈ જોયુ નહી. અમુક ધર્મગુરૂ સવાલનો જવાબ આપવો પડતો મુકીને અમથી અમથી વાતોમાં અડધો કલાક કાઢી નાખતા હતા અને કરગરતા સુરે નગીનદાસે ટુંકમાં જ જવાબો આપવાની પ્રાર્થનાનું પુનરાવર્તન કર્યે રાખ્યું હતું. નિમંત્રણ આપીને બોલાવેલા અતિથિઓ સાથે અવિવેક ન કરવો ઘટે એમ માનીને. મોટાભાગના કેટલાક પ્રશ્નકર્તા પણ ચાલાક નિકળ્યા, જવાબ પોતે જાણતા હોય છતા નેતાગણની કસોટી કરવા સવાલ પુંછતા હતા. સંવાદ ક્યાંય નહોતો, હમામમે સબ નંગે જેવો ઘાટ અમને જણાતો હતો. કાન્તિ ભટ્ટે ખિસ્તિ વડાને તાકીને સવાલ કર્યો કે હાલ ઘણા ઇસાઈઓ ઈસ્લામ તરફ વળી રહ્યા છે, આવું કેમ થઈ રહ્યુ છે? રાજકોટથી પધારેલા વલ્લભ કથિરિયાએ સ્વ પરિચય આપીને પ્રશ્ન કર્યો કે એક જ ધર્મ ‘માનવ ધર્મ’ અને બાકી બધા પંથો છે એવું રિઝોલ્યુશન પાસ કરીએ તો કેમ? મુંબઈથી પધારેલા રમેશ ઓઝાએ ક્લેશ ઓફ સિવિલાઈઝેશનને લઈને સવાલ કર્યો. કોઈએ સુફી વડાને પુછ્યુ કે જેહાદ અને કાફિર શબ્દનો અર્થ સમજાવવામાં આવે. જૈન મુનિએ બિશમને પ્રશ્ન કર્યો કે મુંબઈમાં મારી પાસે ઘણી બહેનોએ આવીને જણાવ્યું હતું કે અમને મિશનરી સ્કુલોમાં કપાળે તિલક, હાથમાં બંગડી અને મહેંદી લગાવવા દેવામાં આવતી નથી. જવાબમાં બિશપે આવી કોઈ પ્રથા અસ્તિત્વમાં હોવાનો ઈન્કાર કર્યો હતો અને મુંબઈના વડા સાથે વાત કરીને આ પ્રથા દુર કરવાની બાંહેધરી આપી હતી. મેં પણ એક ચિઠ્ઠિમાં સવાલ લખી મોકલ્યો હતો ઃ બધા ધર્મગૂરૂઓ વારાફરતી તેમના ધર્મમાં ઘુસેલા દુષણો ગણાવે. મારો સવાલ પુંછાયો નહોતો અને સભાનો રંગ જોતા એનો રંજ રાખવા જેવો નહોતો.


સિતારો ચમકી ગયો 


ધર્મસભામાં ધર્મશાળાથી આવેલા બૌધ્ધ ધર્મની વજ્યાન શાખાના વડા પ્રો. સામધોંગ રિમ્પોચ સૌનું દિલ જીતી ગયા. હું અને ધર્મસંવાદ સધાશે એવી આશા લઈને આવેલા લોકો પૈકી મહદઅંશે મારી આ વાત સાથે સંમત હશે. રિમ્પોચે લોકોના હદયને સ્પર્શી ગયા. ધર્મના નામે થતા ડખા વિશે રિમ્પોચેએ કારણ આપ્યુ હતું, ‘મોટાભાગના ડાયલોગ મોનોલોગ બનીને રહી જાય છે. કહેવાવાળો પોતાની વાસના મુંજબ કહેવું છે તે કહી દે છે અને સાંભળવાવાળો વાસના મુંજબ સાંભળી લે છે. બુદ્ધ ઉપદેશ આપતા પહેલા ચેતવણી આપે છે કે હું જે કંઇ કહેવા જઈ રહ્યો છું તેને સુવર્ણની જેમ તપાવીને તપાસીને પરિક્ષણ કરો. વિવેકથી પરિક્ષણ કરીને માનો. એવું નહી કે બુદ્ધે કહ્યુ તેથી સાચુ હશે એમ માની લેવું. કેટલીક શુક્ષ્મ વાતો સરળ શબ્દોમાં રજુ કરતા રિમ્પોચેએ કહ્યુ હતુ કે લાલ, પિળા વસ્ત્રો પહેરેલા વૃદ્ધે કહેલું સાચુ હશે એમ માની નહી લેતા. એ વિવેકશીલનું લક્ષણ નથી. ધર્મહાનિ વિશેનો રિમ્પોચેનો ઉમદા વિચાર ઃ બુદ્ધ મુર્તિઓને તોડી નાખવાથી બૌધ્ધધર્મ નષ્ટ નથી થઈ જતો, મૈત્રી, કરૂણાને તોડવાથી નષ્ટ થાય છે. પોતાના ધર્મમાં પ્રતિષ્ઠિત થઈ ગયા પછી તેને બીજા ધર્મમાં દોષ દેખાતો નથી. ટોલરન્સ નહી, સમભાવ રાખવો જરૂરી છે. ધર્મગૂરૂઓ પુરા દિવસ રોકાતા નહોતા, મોટાભાગના તેમનું ભાષણ પતે એટલે નિકળી જવાનું ઉચીત સમજતા હતા. રિમ્પોચેની વિદાય સાથે ત્રીજા દિવસે ઓડિયન્સની હાજરીમાં પણ ઘટાડો નોંધાયો હતો. ઘણાને તો ખાનગીમાં એમ કહેતા સાંભળ્યા કે રિમ્પોચના જવા સાથે ધર્મ સંવાદ અહી પુરો થાય છે. તાઓ ધર્મના પ્રતિનિધિ ડો. શુ હિકોસાકાએ ભાષણ માટે ૧૨ પાનાનું વૃતપત્ર તૈયાર કર્યુ હતું. એમાં ૧૦ પાના હિરોશિમા અમે નાગાસાકી શહેર ઉપર થયેલા અણુપ્રયોગ અને તેની અસરો વિશેના હતા. બે પાનામાં ધર્મોપદેશ તૈયાર કર્યો હતો. ધર્મો પદેશમાં તેઓ વિવિધ સંતોના અવતરણો અને ફિલસુફી ટાંકીને લાવ્યા હતા. મને અણુપ્રયોગ વિશેના નિબંધમાં રસ પડતા તેમની પાસેથી વૃતપત્રની એક કોપી મેળવી લીધી હતી.

 
છેલ્લો કટોરો...


અંતે વાત ભલે સુગાળવી લાગે તોપણ એ વાત કરવી પડે તેમ છે. કૈલાસ ગૂરૂકુળ માલણ નદીના કાંઠે આવેલું છે અને માલણ નદી મહુવાના શિમાડે સુકી પડી છે. મહુવાથી કૈલાસ ગૂરૂકુળ જતા નદી વળોટવી પડે છે. પહેલા દિવસે નદી વળોટતા જોયું તો મહુવા તરફના નદી તટે રસ્તાની બાજુમાં એક મરેલું કુતરૂ પડ્યું હતું. અતિ દુર્ગંધ વર્તાતી નહોતી તેથી માન્યુ કે કુતરૂ તાજેતરમાં મર્યુ હોવું જોઈએ. ત્રીજા દિવસે ગુરૂકુળ છોડ્યું ત્યારે એ કુતરાનો મૃતદેહ યથાવત ત્યાંજ પડ્યો હતો. એ ક્ષણે એક કંપારી સાથે તીવ્ર વિચાર ઘુમરાયો ઃ બધા ધર્માચાર્યો અને શ્રોતાજનો ધર્મસંવાદ માટે આ રસ્તેથી જ પસાર થાય છે. ત્રણ દિવસના ધર્મસંવાદમાં બધા ધર્માચાર્યોએ એક વાત કોમન કહી હતી કે અમારો ધર્મ પ્રેમ, દયા, કરૂણા, પરોપકાર, મૈત્રી શિખવે છે. અને મુમુક્ષુઓએ આ વાત પર તાળીઓ પાડી હતી. કુતરાના મૃતદેહને ત્રીજા દિવસે એજ સ્થાને પડેલો જોઈને થયુ કે આને ગતિ ન આપી શક્યા તેઓ વૈશ્વિક સિમ્ફની સર્જવાની વાતો કેમ કરે છે? કેમ સાંભળે છે?

शुक्रवार, 2 जनवरी 2009

નેતા સાથે નાતરૂ કર્યા પછી નાગાઈ કેમ?


રાજનેતાઓને ગાળો દેવી આજે અહોભાવની વાત ગણાય છે. આપણા નેતાઓ જાણે ગલીનું રખડુ કુતરૂ હોય એમ બધા કિલોકિલોની ગાળો ફટકારે છે. 

નેતાઓને ભાંડતી વખતે આપણે ભુલી જઈએ છીએ કે નેતાઓ દેશ, સમાજની કરોડરજ્જુ છે. નેતાઓની લાકડીએ આપણે ચાલીએ છીએ કે ચાલવું પડે છે. નેતાઓ કાયદાઓ અને નિતિઓ ઘડે છે. નેતાઓ પ્રત્યે નફરત વ્યક્ત કરીને શું આપણે એવું સિદ્ધ કરવા માંગીએ છીએ કે નેતાઓની આ દેશને જરૂર નથી?

તો પછી દેશ કોને નટનટીઓને હવાલે કરીશું? આપણે સમાજ જાણે કે દુધે ધોયેલો અને નેતા લોક ગામનો ઉતાર હોય એવું દેખાડવું છે? નેતાઓને આપણે બે ગાળો ભાંડીએ એથી સરવાળે એવું સાબિત થાય છે કે આપણે ચાર ગાળના હક્કદાર છીએ એ વાત આપણને કોઈ દેવદુત આવીને સમજાવશે? કુલડીમાં ગોળ ભાંગવાની મથામણ કરતા પહેલા આપણે એ પ્રાચીનસુત્ર ‘યથા રાજ તથા પ્રજા’ કેમ ભુલી જઈએ છીએ? જેવા રાજા તેવી પ્રજા અને જેવી પ્રજા તેવા રાજા બંને વાત સમાંતરે ચાલે છે.
કરોડોના ઘોટાળા ઘપલાઓનો જેમના ઉપર આરોપ છે અને અમરસિંહ જેવા જેમના મિત્રો છે તે અમિતાભ જેવા નટનટીઓ અહી આદર્શ ગણાય છે. તેનું નામ જનજનને મોઢે કંટસ્થ હોય છે. જાત નિચોવીને સેવા કરતા નેતાઓ ઘણા છે પણ તેમાના કેટલા સમાજના આદર્શ છે? અરે ‘નેતા’ શબ્દને જ આપણે તો ગાળ બનાવી દીધો છે.

આપણે બધા દેવના દિધેલા અને નેતાઓ કોઈ પાતાળ લોકમાંથી ફુટી આવેલા અસુરો હોય એવું ચિત્ર આપણે ખડું કર્યુ છે.  જે નેતાએ સેવા માટે ખરા અર્થમાં જાત ઘસી નાખી હશે તે આપણા પ્રતિભાવો મેળવીને કેટલો રિબાતો હશે એની આપણે દરકાર કરી છે કદી?
આપણે નેતાઓને ખાસડા મારીને નટનટીઓને ફુલહાર ચડાવીએ એ પ્રજા છીએ. ચારિત્રહિન અને જેનું સત્વ સાવ ખવાઈ ગયું છે તેવા નટનટીઓને આપણે આપણા આદર્શ બનાવ્યા છે તેના મંદિરો બનાવ્યા છે. તેમના વિશે કલાકો સુધી આપણે રસપ્રદ વાતો કરીએ છીએ. અને નેતાઓને ખાસડા મારવાની, હુતાત્મા ચોકમાં કોરડા ફટકારવાની અને કોઈ કોઈ ક્ષણે માનવબોંબ બનીને ‘નેતા’ જાતને ઉડાવી દેવાની વાત કરીએ છીએ.
સમાજમાં નેતાઓ માટે એટલી નફરત પેદા કરીએ છીએ કે આપણા સંતાનો નેતા શબ્દ સાંભળીને ભડકે છે. નેતા સમાજ માથે શાસન કરે છે, સમાજનો સૌથી શકેિતશાળી વર્ગ છે, તેમને આદર આપવો જોઈએ. નિષ્ઠાવાનોને નેતા બનવા ઉશ્કેરવા જોઈએ. 

કવિ, કલાકાર કે અન્ય કર્મશીલ કરતા નેતા સમાજની વધુ કિંમતી જણસ છે તે વાત સમજાવી જોઈએ. સારા લોકો નેતા બને તેવા વાતાવરણનું નિર્માણ કરવુ જોઈએ. નહી ગમતા નેતા પ્રત્યેનો તિરસ્કાર સમાજને ઠપકો આપીને વ્યક્ત કરવો જોઈએ. નેતા તરફે આંગળી ચિંધતા પહેલા આપણા સમાજ સામે આંગળી ચિંધવી જોઈએ. કારણકે તેના એવા નેતાઓને તે સ્થાને બેસાડનાર સમાજ દોષી છે. અમરસિંહો, નટવરસિંહો, સુખરામોને આપણે આપણા શાસકો તરીકે પસંદ કર્યા હતા. આવી પસંદગી માટે સમાજને હુતાત્મા ચોકમાં કોણ લઈ જશે? આપત્તિને સામે જોઈને શાહમૃગની જેમ રેતીમાં માંથુ છુપાવીને પછી સાધના કરી રહ્યા હોવાનો ડોળ કરવાના વલણમાંથી આપણને કોણ બહાર કાઢે?