बुधवार, 29 जुलाई 2009

ઉત્ક્રાંતિની માને પૈણે કુતરા

અમુક સદીઓ પહેલા જગતનો વહેવાર ‘બાર્ટર’ પદ્ધતિથી થતો હતો. એક વસ્તુના સાટે બીજી વસ્તુ આપવાની. પરસ્પર વસ્તુઓના આદાનપ્રદાનથી સંસાર રથનું ગાડું ગબડતું હતું. ત્યારે પૈસાનું મહત્વ નહોતું એટલે સંઘરાખોરી શક્ય નહોતી. (જોકે અત્યારે તો રૂપિયાના નોટસિક્કા પણ મહત્વ ગુમાવી રહ્યા છે, પ્લાસ્ટિક મની આવતા) આ જુની ‘બાર્ટર’ પદ્ધતિ હું નાનો હતો ત્યારે અમારા ગામમાં ઘણે અંશે પ્રચલનમાં હતી એને દેશી ભાષામાં ‘વાટકી વહેવાર’ કહેવાતો. ઘઉંનો લોટ ન હોય અને બાજરાનો લોટ ઘરમાં હોય અને આગંતુક મહેમાનોને લાપસી જમાડવાની હોય તો પાડોશમાંથી તપેલી ઘઉંનો લોટ લઈ આવવાનો. બદલામાં તેને તપેલી ભરીને બાજરાનો લોટ આપી દેવાનો.

ખેતર ખેડવા નિંદવામાં જરૂર પડ્યે બીજાના બળદ બેચાર દિ લઈ આવવાના અને કામ થઈ ગયા પછી ગણતરી પ્રમાણે આપણા બળદ બેચાર દિ તેમનું ખેતર ખેડવા આપવાના. નિંદામણ માટે સગા ખેડુતના ચાર માણસો ચાર દિ લઈ આવ્યા અને હવે તમારે ઢાલ (ઋણ) ચુકવવાનો વારો આવ્યો અને તમે બે માણસ જ છો તો? કશો વાંધો નહી, આઠ દિવસ તેના ખેતરે મહેનત કરી આવવાની.

‘બાર્ટર’ પદ્ધતિને પુળો મેલવા કોઈ હરામખોર માણસે ચલણને અમલમાં મુક્યું. બસ ત્યારથી મારૂ-તારૂની બોલબાલા છે. ત્યારથી સંઘરાખોર સંપત્તિવાનોનો આતંક ચારે કોર ફરી વળ્યો અને ઉત્ક્રાંતિનો ગધો ખિણમાં ગયો.

गुरुवार, 23 जुलाई 2009

હોમો સેપિયન્સની પ્રજાતિ ‘હોમો’ કેમ?

‘ઝાલરટાણુ’ બ્લૉગની શરૂઆત ‘હોમો સેપિટન્સની પ્રજાતિ ‘હોમો’ કેમ?’ નામની પોસ્ટથી કરી હતી. આજે ફરજ પડતા ફરી એ જુની પોસ્ટમાં ૪૫ લીટી નવી ઉમેરીને રજુ કરૂ છું.

માનસશાસ્ત્રના નિષ્ણાત મિત્ર સાથે હોમોસેક્સના વધતા ચલણ વિશે વાત થઈ. તેમણે ૨૦ હજાર જેટલી વસતિ ધરાવતા ગામની વાત કરી. આ ગામમાં 1૦૦ કરતા વધારે હોમોસેક્સમાં રાચતા લોકો અસ્તિત્વ ધરાવે છે. આ આંકડો પ્રગટ લોકોનો છે. પ્રચ્છન્ન રીતે સજાતીય સંબંધ ધરાવતા લોકોનો આમાં સમાવેશ નથી. સજાતીય સંબંધોમાં માનતી જાતિના ‘ઍક્ટિવ’ અને ‘પૅસિવ’ એમ બે પ્રકાર હોય છે તેનાથી વાચક વિદિત હશે જ. ઉપલક રીતે ફોડ પાડીએ તો સજાતીય સમાગમમાં સક્રિય રોલ અદા કરે (ઉપર) તેને ઍક્ટિવ અને નિષ્ક્રિય અર્થાત્ નીચેનો રોલ અદા કરે તે પૅસિવ. ટૂંકમાં દાતા તે ઍક્ટિવ અને સ્વીકારતા તે પૅસિવ. મિત્રના ગામે એક સજાતીય સંબંધોનું પ્રચારક જાણીતું પાત્ર છે, એને આપણે ‘ફલાણો’નામ આપીએ. આ ફલાણાનો ગામમાં હોમો સમુદાય વિકસાવવામાં મોટો ફાળો છે. તે હજામતનો વ્યવસાય કરે છે અને ગામમાં તેની દુકાન એવી મોકાની છે કે ગામમાં આવતા જતા દરેક છોકરા ઉપર તેની નજર સામેથી પસાર થાય. ફલાણો ઍક્ટિવ અને પેસિવ એમ બંને રોલ અદા કરી જાણે છે. આ ત્રીજા પ્રકારનો હોમો સમુદાય છે તે તો જણાવવાનું રહી જ ગયું. ફલાણો કુમળી વયના છોકરાઓને તેની આગવી ટ્રિકથી પકડી લે છે અને તેની સાથે સજાતીય સંબંધ બાંધે છે. જો છોકરો દુર્બળ હોય તો તેને ‘પૅસિવ’ બનાવીને પોતે ‘ઍક્ટિવ’ બની જાય છે અથવા છોકરો સબળ હોય તો ફલાણો પૅસિવ રોલમાં આવી જાય છે. સજાતીય સંબંધોને કાયદા તરફથી છૂટ મળી ગયા પછી ફલાણો હવે ૧૦ ગણા વેગથી નવા ‘હોમો’નું સર્જન કરવા માંડશે એમાં બેમત નથી. ‘હોમો’ની હિસ્ટ્રી મેળવવામાં આવે તો મોટા ભાગના કેસમાં તેમણે કિશોરકાળમાં સજાતીય સંબંધ બાંધ્યો હોવાનું જાણવા મળશે. સેક્સના આવેગો કુદરતી છે, સહજ છે તેથી તેને ખાળી શકાતા નથી કે સેક્સને ગાળો ભાંડી શકાતી નથી.


આટલું મથાળું બાંધ્યા પછી મારે અહીં સમાજ જેને ખતરનાક ગણે છે એવી વાત મૂકવી છે. સજાતીય સંબંધોમાં અસ્પૃશ્ય રહી ગયેલા મુદ્દા ઉપર મારા વિચારો રજૂ કરવા છે. મારે કહેવું છે કે આપણા પૂર્વજોના ૧૪૧૫ વર્ષની ઉંમરે સંતાનને પરણાવી દેવાના નિર્ણયમાં ડહાપણ હતું.


આપણે અને આપણા કાયદાએ આપણા પૂર્વજોના કિશોરવયે લગ્ન કરવાની પ્રથાની અવગણના કરીને હોમોસેક્સને ફૂલવાફાલવાનો અવસર આપ્યો છે. સમાંતરે લેસ્બિયન સંબંધને પણ, પરિણામે આજે સમાજમાં ‘ગે સોસાયટી’ બંધાઈ રહી છે. કોઈકોઈ દલીલ કરશે કે સજાતીય સંબંધો તો પરાપૂર્વથી ચાલ્યા આવે છે, આજકાલના નથી. સજ્જનો અને સન્નારીઓ આ દલીલને હું વજૂદ વગરની બનાવીશ.


પૂર્વે કિશોરવયે લગ્ન થઈ જતાં હતાં તેના બેચાર મોટા ફાયદા ગણાવીને પછી મુખ્ય વિષય પર પાછા ફરીએ. એકંદરે ગ્રહો, નક્ષત્રો અને ગૅલેક્સીઓ કોઈ અજ્ઞાત આકર્ષણ બળને લીધે એકબીજા ફરતે ફરે છે. જરા ધારીને જોશો તો જણાશે કે આખી પૃથ્વીના લોકો સેક્સ ફરતે ફરે છે. દરેક પ્રવૃત્તિમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે સેક્સ જ ઝળકે છે; અર્થાત્ સંસારી જીવો માટે જીવનઆનંદની સૌથી મોટી ચીજ સેક્સ છે. આ વાતને કોઈ સંસારી નકારે તો એને દંભી ગણજો. આ વાસ્તવિકતા વચ્ચે આપણે છોકરાઓને ૩૦૩૫ વર્ષના થાય ત્યાં સુધી વાંઢા રાખવાને વાજબી ઠરાવીએ તે ક્યાંનો ન્યાય? જરા વધુ ઊંડે ઊતરીએ, તમે ત્રીશી વટાવી ચૂક્યા હો તો જરા અંદર ઝાંખીને જવાબ આપજો કે તમારી અંદરનું રોમાન્સનું, પ્રેમનું તત્ત્વ કઈ ઉંમરે સૌથી વધુ ઊછળતું હતું તે કહેશો? ઉતાવળે જવાબ નથી જોતો, જરા એકાગ્ર થઈને ફ્લેશ બૅકમાં જાવ અને પછી પ્રામાણિક જવાબ શોધો. એ ઉંમર હશે ૧૬૧૭ વર્ષની. તમને ૩૦૩૫ વર્ષે પરણાવ્યા ત્યારે તમે કિશોરકાળનો જીવનરસ જાળવી શક્યા હતા? તમને પરણ્યા પછી જીવનસાથીના એક સ્પર્શથી ૩૩ કરોડ રોમરાઈ જાગી ઊઠી હોય એવું થતું હતું? રોમેરોમે શરણાઈઓના સૂરો સંભળાતા હતા? હાલ તો રોમાન્સના આ વાક્યો પણ તમને ચોખલિયાવેડા લાગતા હશે.


કારકિર્દી ઘડવાની મથામણમાં એથી અનેકગણા કીમતી એવા પ્રેમ, રોમાંસને ધરાઈને માણવાનું થાળે પડી ગયું. તમે અફલાતૂન કારકિર્દી ઘડી પછી પૂછવાનું કે તમને જે કિશોરકાળે પ્રેમ રોમાંસમાંથી મળતો હતો તેટલો જીવનરસ કારકિર્દીમાંથી મળે છે ખરો? ખેર! પ્રેમરોમાંસને ધરાઈને માણ્યો જ નથી એ સંજોગોમાં સરખામણીય તમે કેમ કરશો? અહીં મુદ્દાની વાત આટલી હતી કે લગ્ન પછી કારકિર્દીનો વિકલ્પ હોવો જોઈતો હતો તેની જગ્યાએ આપણે તેને પહેલાં ઘુસાડી દીધો. મારા પિતા ૨૦ વર્ષની ઉંમરે નદીના તટે કબડ્ડી રમતા હતા, કારકિર્દીની ખેવના રાખ્યા વગર. તેમને આજે જીવનની ઢળતી સંધ્યાએ જીવન પ્રત્યે કે કારકિર્દી પ્રત્યે કંઈ ફરિયાદ નથી.


ત્રીશી પછી લગ્ન થાય તેવામાં કેટલીક અનિચ્છનીય માનસિક ગ્રંથિઓ બંધાઈ જાય છે. માઇન્ડની મેમેરીનો મોટો હિસ્સો સેક્સ અને રોમાન્સ અંગેના ખ્યાલોથી ભરાઈ જાય છે. પછી બહુ થોડી ખાલી મેમરીથી ચલાવવાનું રહે છે. આપણે કારકિર્દી બનાવવા લગ્નથી તો દૂર રહ્યા પણ મગજમાં વિજાતીય પાત્રો અને તે સંબંધેના વિચારોનો જમેલો તો કાયમ વધતો જાય એનું શું? નાની ઉંમરે લગ્ન કરી લીધાં હોય તો જિજ્ઞાસા અને એષણાઓથી તૃપ્ત મગજ વ્યવસાયલક્ષી વિચારવાને વધુ ફ્રી થાય. આવેગોને અટકાવીને કારકિર્દી પ્રતિ મન પરોવો તો આવેગો એમ અટકવાના છે કંઈ? એ તો સરળતાથી ઉપલબ્ધ સજાતીય માર્ગે વળી જશે.


પૂર્વે ગણિકાઓ, વેશ્યાઓનાં આલખો નગર મધ્યે હતાં. આજે આપણા બંધારણે દેહવ્યાપારને ગેરકાનૂની ઘોષિત કર્યો છે. તેવામાં મફતનું અને સરળતાથી ઉપલબ્ધ સજાતીય શરીર હાજર સો હથિયાર બની જાય છે. જોકે પૂર્વે જે ગણિકાની કોઠીએ થતો હતો તે દેહવ્યાપાર આજે કૉર્પોરેટ ઑફિસોમાં પણ થાય જ છે. પણ આ મુદ્દે આપણે અહીં ચૂપ રહીશું; નહીંતર તમે વળી મુદ્દાથી ભટકી જવાનું આળ ચડાવશો.

ઇક તરફ મંદિર, ઇક તરફ મયકદા


દારૂબંધી અને દારૂમુક્તિ બંને વિષયના લોકો પોતાના મતને વાજબી ઠરાવવા વિવિધ દલીલો કરતા રહે છે.
બંને પક્ષની દલીલો પ્રસ્તુત છે. તમારે કોને મત આપવો તે તમે નક્કી કરો.



દારૂમુક્તિની તરફેણમાં...


આખંુ જગત દારૂ પીએ છે અને પશ્ચિમમાં વિશેષ દારૂ પિવાય છે છતાં બધા ત્યાં અનુશાસનમાં વર્તે છે. ત્યાં કોઈ વાતે ઊણપ નથી.


આપણે દંભી છીએ તેથી આપણે છડેચોક નહીં પણ છાને ખૂણે દારૂ પીવામાં માનીએ છીએ. એટલે આપણે દંભનો અંચળો ફગાવીને રાજ્યની દારૂબંધી ફગાવી દેવી જોેઈએ.


ગુજરાતમાં દારૂની રેલમછેલ છે, માગો ત્યારે અને માગો તેટલો દારૂ મળે છે તો પછી ખોખલી દારૂબંધી શા કામની? આનાથી ગુજરાત સરકારની તિજોરીને વર્ષેદહાડે અમુક કરોડ રૂપિયાનું નુકસાન જાય છે. પોલીસ અને બુટલેગરો અબજોમાં આળોટે છે. દારૂબંધીથી માફિયાગીરી ઘટવાને બદલે પોલીસ અને બુટલેગરોની ગઠજોડના કારણે માફિયાગીરી વધે છે. દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો સરકારને કરોડો રૂપિયાનો ટૅક્સ બૅનિફિટ મળે, પોલીસબુટલેગર્સ વચ્ચેની સાઠગાંઠ ખતમ થાય તો સુરક્ષાતંત્ર વધુ મજબૂત થાય.


દુનિયા આખી મનફાવે ત્યારે દારૂ પી શકતી હોય અને અહીં લોકતંત્રમાં માનતા દેશનો હું નાગરિક મને પીવાનું મન થાય તો પણ ગુજરાતમાં દારૂ પી ન શકું તેમાં મારા મૂળભૂત માનવીય અધિકારોનું હનન થાય છે તેનું શું? તેમ છતાં સરકારને દારૂબંધી જ મંજૂર હોય અને મારી વાત નામંજૂર હોય તો મને મારા અધિકારોના હનન બદલ તેનું કમ્પેન્શેસન મળવું જોઈએ.


આપણે ઉદ્યોગસાહસિક પ્રજા ભલે રહી પણ મૂલતઃ આપણે ડરપોક પ્રજા છીએ એટલે નવા પરિવર્તનને ઝટ આવકારી શકતા નથી અને પરિવર્તનને લઈને જાતજાતની અશુભ શંકાઓ વ્યક્ત કરવા માંડીએ છીએ. એટલે આગુસે ચલી આતી દારૂબંધીને આપણે બિનજરૂરી રીતે આગળ ખેંચ્યે જઈએ છીએ.


સેંકડોહજારો દારૂ પીનારા સજ્જન લોકો ગુજરાતમાં વસે છે એટલે દારૂને દૂષણમાં ખપાવી દેવું ઠીક નથી. ‘અતિ સર્વત્ર વર્જ્યતે’ કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે એમ દારૂ નહીં પણ દારૂનો અતિરેક નુકસાનકારક છે.


દારૂબંધીને કારણે ઘણી બહારની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવતા અચકાય છે. દારૂબંધી હટાવવામાં આવે તો ગુજરાતનો અૌદ્યોગિક વિકાસ વધુ થશે.


દારૂબંધીની તરફેણમાં...



દારૂમુક્તિ માણસને પરિવારકેન્દ્રી ઓછો અને સ્વકેન્દ્રી વધુ બનાવે છે. કેમકે દારૂ પીનારો મજૂરવર્ગ કમાણીનો મોટોભાગ દારૂ પીવામાં વેડફી નાખે છે. ક્યારેક તો પત્નીની મજૂરીના પૈસાનું પણ ઢીંચી જવામાં અચકાતો નથી.


વાતે વાતે પશ્ચિમી દેશોમાં દારૂમુક્તિનો હવાલો આપીને અહીં પણ એવું વાતાવરણ ઝંખતા લોકોને માલૂમ થાય કે પૂર્વ અને પશ્ચિમનો કોઈ વાતે સંગમ કરી શકાય તેમ નથી, કેમ કે એક તો એ બરફીલો પ્રદેશ છે, ત્યાંની પ્રજાની તબિયત માટે દારૂ નુકસાનકારક કરતાં લાભદાયક વધુ છે. આપણે ગરમ પ્રદેશમાં રહીએ છીએ અને એમાંય પેટમાં લાય પેદા કરતો દારૂ પધરાવશું તો ફેફસાં ફાટી જવા સિવાય શું ભલું થશે? બીજંુ કે એ પશ્ચિમી દેશોને દારૂ પીવો આર્થિક રીતે પોસાય તેમ છે, ત્યાં ડ્રિન્ક ભર્યા પેટના ચાળા છે. જ્યારે આપણે ત્યાં દેશની ૫૦ ટકા વસ્તી ગરીબીરેખા નીચે જીવતી હોય, બે ટંકના રોટલા માટે નસીબ સાથે માથા પછાડતી હોય ત્યારે આપણે કયા મોઢે દારૂમુક્તિની અને તેમાંથી રાજ્યની કરકમાણીની વાતો કરીશું?


હિન્દુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ... આ બધા ધર્મો ઘણી બાબતે જુદા પડે છે, પણ એક વાતે સંમત છે, બધા ધર્મોમાં દારૂબંધી ફરમાવવામાં આવી છે. મંદિરની દીવાલોએ ‘કામસૂત્ર’નાં નગ્ન શિલ્પો કોતરાવવાની ઉદારતા દાખવી શકતો ધર્મ મદ્યપાનની છૂટ નથી આપતો તે કંઈ સાવ અમસ્તંુ જ!

મૂળભૂત માનવીય અધિકારના હનનની વાત કરનારા એ વાત સમજે કે દારૂબંધીના પ્રતાપે બહેનદીકરીઓ હજુય ગુજરાતમાં મોડી રાત્રે એકલી બહાર નીકળી શકે છે. એ તમારા અધિકારહનનનું વળતર ગણશો.


ગુજરાતના કોઈ પણ શહેરમાં મોડી રાત્રે સ્ત્રીઓ ડર વગર બજારમાં નીકળી શકે છે. મદ્રાસમાં રાત્રે સાત વાગ્યા પછી કોઈ મહિલા રસ્તા ઉપર જોવા નહીં મળે. ત્યાં રાતે કામવશાત્ પણ એકલી નીકળેલી મહિલા સાથે ‘ક્યાંક દારૂડિયાઓ છેડતી કરી બેસશે’ એવા ભયથી આ પ્રથા પડી છે.


દારૂ મુક્તિવાળાં રાજ્યોમાં શેરીના નાકે આવેલી દારૂની દુકાનેથી વડીલોની ફરમાશથી દારૂ લેવા જવું પડતું હોવાથી ટીનેજ અવસ્થા સુધીમાં મોટા ભાગના છોકરાઓએ દારૂનો ટેસ્ટ કરી લીધો હોય છે અને ઘણાને દારૂનું વ્યસન પણ થઈ જાય છે જે એના ચારિત્ર ઘડતરમાં બાધક બને છે.


દારૂબંધી છતા ગુજરાતમાં છડેચોક બેફામ દારૂ પિવાય છે એવી દલીલ કરનારાઓને કહેવાનું કે દારૂબંધી ઉઠી જાય પછી હાલ પિવાય છે એના કરતા સેંકડો ગણો વધારે પિવાશેે.


નાની રકમની બચત કરીને વેપારી બનવાનું સપનું જોતા અનેક ગુજરાતી યુવકો છે. તેમનું મન એક જ દિશામાં કેન્દ્રિત હોય છે. દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો નાની બચત પણ નહી થાય અને એક લક્ષ્ય પ્રતિ મન કેન્દ્રિત પણ નહી થાય. ગુજરાત દાયકાઓથી વેપારવણજમાં દેશદુનિયામાં પંકાતું રહ્યંુ છે તેમાં અહીંની દારૂબંધીનો પણ ઘણો ફાળો છે.