गुरुवार, 26 मार्च 2009

આ લોકો સમાજસર્જકો કે સમાજ વિધ્વંસકો?




ખબર નહીં કેમ ઉત્સવો આવે એટલે ચળવળવાદીઓ અતિગંભીર થઈ જાય છે. ગઈ ઉત્તરાયણમાં રાબેતા મુજબની ખિટખિટ પિટપિટ સંભળાતી હતી, પતંગ ચગાવવાથી પંખીની પાંખો કપાઈ જાય છે, રાહદારીઓનાં ગળાં કપાઈ જાય છે.’ હમણાં હોળી ગઈ ત્યારે પણ પર્યાવરણવાદીઓ અને ચળવળવાદીઓ સળવળ્યા અને અનુરોધ કરવા લાગ્યા કે માત્ર ગુલાલનું તિલક કરીને હોળી ઊજવો. રંગોથી હોળી રમવામાં રંગો દૂર કરવા વધુ પાણીનો વપરાશ થશે. લાખો ગૅલન પાણીનો બગાડ અટકાવવા રંગોથી હોળી રમવાનું છોડી દેવું જોઈએ. હોલિકાદહન વિશે કહે છે કે હાલના સમયમાં હોલિકાદહનનું પ્રમાણ ઘટ્યંુ હોવા છતાં એકલા અમદાવાદમાં આ વર્ષે હોલિકાદહનમાં ૧૦ હજાર ટન લાકડું બળી જશે. આટલો વસવસો કર્યા પછી હોલિકાદહનમાં વધુ લાકડા ન બાળવાની સલાહ આપી જ દીધી. આ લોકો દિવાળીના તહેવાર વખતે પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે માટે ફટાકડાઓ ફોડવાની ના પાડે છે.

પોતાને સમાજના હિતૈષી અને સમાજ માટે ચિંતિત ગણાવતા આ ચળવળકારો હજારો વર્ષોથી ચાલી આવતી અને ખાસ ઉદ્દેશો સાથે બનાવવામાં આવેલી આપણી ઉત્સવપ્રણાલી ઉપર ઘા કરે છે અને સમાજને ગંભીર આંતરિક નુકસાન કરે છે. તેથી આવા લોકોનાં મોંએ તાળાં મારવાં જરૂરી બને છે.

આવો આપણે આપણી એ મૂલ્યવાન અને દૂરંદેશીવાળી પરંપરાઓને એકબે દાખલા સાથે સમજીએ.
ઉતરાયણમાં આખો દિવસ અગાશીએ પતંગ ચગાવવાના બે મોટા ફાયદા છે, બીજાનો પતંગ કાપીને આપણી અંદર પડેલાં ક્રોધ, ઈર્ષા જેવા તમસ તત્ત્વોનું કૅથાર્સિસ થઈ જાય છે. બીજાને કે જાતને નુકસાન પહોંચાડ્યા સિવાય આનંદિત રહીને. બીજો ફાયદો એ કે વર્ષમાં એક આખો દિવસ સૂર્યની રૂબરૂ રહેવાનું થાય છે. સૂર્ય ઊર્જાનો ભંડાર છે અરે, જગતની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. બીજો કશો આહાર લીધા સિવાય માત્ર સૂર્યઊર્જાના સહારે જીવનઊર્જા મેળવી શકાય છે એના જીવંત દાખલાઓ આપણી આસપાસ મોજૂદ છે. એવામાં ઉત્તરાયણમાં સૂર્યઊર્જામાં આખો દિવસ નહાવા મળતાં ચામડીના ઘણા રોગો નાશ પામે છે અને સૂર્ય પાસેથી સકારાત્મક ઊર્જા મળે છે. કહોને કે ઉત્તરાયણના દિવસે આખો સમાજ શરીરશુદ્ધિ કરે છે. પતંગબાજોને વારંવાર ટપારીને ચળવળકારો આ હેતુને મારવા ઊભા થયા છે. 

હોલિકાદહનના કિસ્સામાં હું મહાત્મા ગુર્જિયેફે દુનિયાભરના પરિભ્રમણ, પ્રયોગો અને અભ્યાસના નિચોડરૂપે લખેલા પુસ્તક ‘મિટિંગ વિથ રિમાર્કેબલ મૅન’માં તેમણે લખેલો એક અનુભવ ટાંકીશ.
ગુર્જિયેફ દર્વિશ જાતિના ગંદા લાગતા અને ભિખારીનું જીવન જીવતા નાનકડા સમૂહના સંપર્કમાં આવ્યા હતા. આ લોકો કદી પાણીથી સ્નાન કરતા નહોતા. તેમના શરીરે મેલના થર જામ્યા હોય અને માથામાં જીવાતો રમતી હોય. આ લોકોમાં ગુર્જિયેફે અસાધારણ તત્વ એ જોયું કે તેઓ આટલા ગંદાગોબરા હોવા છતા ક્યારેય બીમાર નહોતા પડતા. ગુર્જિયેફે તેઓના બિમાર ન પડવા પાછળની તપાસ આદરી તો ખબર પડી કે તેમના દરેકના ઘરે એક મોટા ચુલા ઉપર થોડી ઉંચાઈએ એક બેઠક બનાવી હોય. ચુલામાં તાપ કરીને દર્વિશ બેઠક ઉપર બેસી જતો. તેમાં અમુક અૌષધિઓલાકડાઓ નાખતા હતા. તાપ અને ધુમાડાથી તેના શરીરનાં છિદ્રો ખૂલી જતાં અને ગુર્જિયેફે તેમના માથામાંથી જીવાતો કૂદીને ભાગી જતી જોઈ. ગુર્જિયેફને આ અગ્નિસ્નાનમાં રહસ્ય જણાતાં તેમણે પણ સ્નાન લીધંુ અને લખ્યંુ કે, ‘એ સ્નાન લીધા પછી મારા શરીરમાં શક્તિનો ધોધ વહેવા લાગ્યો. મેં ઘણા દિવસ સુધી શરીરમાં એ શક્તિધોધને વહેતો અનુભવ્યો.’ મારા ગામમાં હોલિકાદહન વખતે મેં પણ આવું જ કંઈક જોયું છે. ૭૮ માળના મકાનને આંબે એવડી ઊંચી હોલિકાની જ્વાળા અને એના ફરતે સમસ્ત ગામના લોકો ૭, ૧૧, ૫૧ કે ૧૦૧ આંટા ફરતા. બને એટલા આગની જ્વાળાઓની નજીક આંટા ફરવાના. શરીર ધગેલા ત્રાંબા જેવું થઈ જાય. નાના બાળકો તાપથી દાઝવાના કારણે રડારડ કરતાં હોય તો પણ માતાઓ કે વડીલો બાળકોને પરાણે હોળી ફરતે સાત ફેરા ફેરવતા અને બાળકના આખા શરીરને ફેરવીફેરવીને તપાવે. પછી બાળકને છાનાં રાખતાં કહે કે, ‘હવે, તને આખંુ વર્ષ બીમારી નહીં અડે.’ મેં હોળી ફરતે ફરતાં મારા શરીરમાં શક્તિસંચારને અનુભવ્યો છે. એટલે અનુભવે કહું છંુ કે આ શરીર શુદ્ધિની એક પારંપરિક પ્રક્રિયા હોવી જોઈએ. હવે આપણે ધુળેટીનો એક પ્રસંગ ટાંકીને વાત કરીએ.

વર્ષભરમાં ધુળેટીમાં લોકો શારીરિક રીતે પરસ્પર વધુ નજીક આવે છે. રંગવા જતાં એકબીજાને ચોળીચીમળી નાખે છે. આમાં ઊર્જાનું આદાનપ્રદાન થતું હોય છે. જિસસને શૂળીએ લટકાવ્યા હતા ત્યારે તેમના છ શિષ્યોએ પરસ્પર એકબીજાના શરીરનું માંસ તોડીને ખાધંુ હતું. આપણને એ ક્રૂરતા લાગે છે, પણ એ વાસ્તવમાં એકબીજામાં ભળી જવાની વિધિ હતી. અસ્તુ.

એમ તો કૅમિકલની ફૅક્ટરીઓમાંથી રોજનો કરોડો ગૅલન રાસાયણિક કચરો પર્યાવરણમાં ઠલવાય છે. એનું કંઈ નહીં? ધુળેટીના રંગોથી અને દિવાળીના ફટાકડાઓથી પર્યાવરણને નુકસાન જાય તે આ લોકોને દેખાય છે, નિર્દોષ આનંદ અને બીજા જીવનોપયોગી તત્ત્વોની પુરવણી થાય છે તે નથી દેખાતું. એ તેમનું અને તેમના માર્ગે જતા સમાજનું દુર્ભાગ્ય છે. બીજંુ શું.

તમે લોકતંત્ર સાથે છો કે લોકજુવાળ સાથે?



આઈપીએલની આગામી બીજી સિઝનમાં સિક્યૉરિટીના મુદ્દે મામલો ઘોંચમાં પડ્યો છે. દેશ માટે ચૂંટણી અને ચૂંટણી વખતની સુરક્ષા સૌથી વધુ અગત્યની બાબત છે તો બીસીસીઆઈ માટે દૂઝણી ગાય સમાન આઈપીએલની બીજી સિઝન રમાડવી અને તેય પાછી સમયસર રમાડવી એ પૈસા અને પ્રતિષ્ઠાનો જંગ છે.

વાતના મૂળમાં જતાં પહેલાં જરા આઈપીએલની બીજી સિઝનની તૈયારીથી થોડા વાકેફ થઈ જઈએ તો આ વખતે પ્રથમ સિઝન કરતાં વધુ ૭૩ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કુલ ૨૬૩ ખેલાડીઓને લીધા છે. એટલે આ વર્ષે ફ્રેન્ચાઇઝી પાસે ખેલાડીઓની પસંદગીનો અવકાશ વધ્યો છે. દરેક ટીમ પાસે એવરેજ ૨૫ ખેલાડીઓ છે. ૫૬ ખેલાડીઓ કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે છે અને તે સૌથી વધુ છે. અને સૌથી ઓછા દિલ્હીની ટીમમાં (૨૪) છે. બીજી સિઝનમાં કૉન્ટ્રાક્ટની આવક ૧૦,૦૦૦ કરોડ કરતાં વધારે રહેશે. જે ગયા વર્ષની સરખામણીએ ૧,૭૨૫ કરોડ રૂપિયાનો વધારો સૂચવે છે. આખી દુનિયા મંદી સામે ઝઝૂમી રહી છે ત્યારે આને કહેવાય મંદીમાં જૅકપૉટ. ગયા વરસે ૫૯ વિદેશી ખેલાડીઓ હતા તેમાં વધારો થઈને આ વર્ષે ૧૨૪ થયા છે. 

પણ એક મહિનાની રકઝક પછીય ટૂર્નામૅન્ટ અંગે સ્થિતિ સ્પષ્ટ નહીં થતાં અકળાયેલા ક્રિકેટ અધિકારીઓએ ૨૨ માર્ચે મુંબઈમાં આપાતકાલીન બેઠક બોલાવીને નિર્ણય લઈ લીધો કે ટૂર્નામૅન્ટ ભારત બહાર ઈંગ્લૅન્ડ કે આફ્રિકામાં રમાડવામાં આવશે. વિદેશમાં ટૂર્નામૅન્ટ રમાવાથી ભારતીય ક્રિકેટ બૉર્ડની કમાણીમાં ૭૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડશે એ વાતનો અફસોસ પણ લલિત મોદીએ વ્યક્ત કર્યો. બીસીસીઆઈના પ્રમુખ શશાંક મનોહરે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે ટૂર્નામૅન્ટ માટે સુરક્ષા પૂરી પાડવાની અક્ષમતા દાખવનાર સરકારોની શું આલોચના કરવી તે માટેના શબ્દો મળતા નથી. લો, કર લો બાત!

એકાદ વરસ પહેલાંથી લોકસભાની ચૂંટણીઓ એપ્રિલ-મે, ૨૦૦૯માં આવશે એવી બીસીબીઆઈને ખબર હતી. અરે, આ વાતની લોકોને સુધ્ધાં ખબર હતી, તેમ છતાં બીસીસીઆઈ એપ્રિલ-મે, ૨૦૦૯ના સમયગાળામાં જ આઈપીએલની બીજી સિઝન રમાડવાનું આયોજન કરે? માની લઈએ કે બીસીસીઆઈને પૈસા સિવાય બીજી કોઈ વાતની તમા હોતી નથી અને બીસીસીઆઈ વેળાસર ૧૦,૦૦૦ કરોડ રૂપિયા અંકે કરી લેવા માગતી હોય જેથી ૨૦૧૦ના વર્ષમાં ત્રીજી સિઝન પણ વેળાસર રમાડી શકાય. એમ પણ માની લઈએ કે આઈપીએલની ટૂર્નામૅન્ટમાં એક મહિનાનો વિલંબ કરવાથી ઉપરોક્ત ગણતરીએ ૮૦૦-૧,૦૦૦ કરોડ રૂપિયાનું નફામાં નુકસાન જતું કરવાનું શરદ પવાર આણિ મંડળીને ન પરવડતું હોય તો તેમણે સરકાર સમક્ષ આઈપીએલ ટૂર્નામૅન્ટના મૂળ શિડ્યૂલની સાથે ચૂંટણી બાદની તારીખોનું બીજંુ વૈકલ્પિક શિડ્યૂલ મંજૂરી માટે મૂકવાની સમજદારી દાખવવાની જરૂર હતી. વાત માત્ર પૈસા પૂરતી ન રહેતાં પ્રતિષ્ઠાની પણ હોત તો આમ થયું હોત, પણ બીસીસીઆઈના આકાઓએ પહેલેથી નક્કી જ કરી રાખ્યંુ હશે કે સરકારનું નાક દબાવીને કે ગમે તેમ કરીને શિડ્યૂલ મંજૂર કરાવી લેવામાં આવશે અને જો શિડ્યૂલ મંજૂર નહીં કરવામાં આવે તો સરકાર સામે કાદવ ઉછાળવામાં આવશે. બાકી પ્રથમ વખત ભારત સરકારના ગૃહમંત્રાલયે બીસીસીઆઈને શિડ્યૂલ બદલવાનું સૂચન કર્યું ત્યારે બીસીસીઆઈએ આઈપીએલ ટૂર્નામૅન્ટનું નવું શિડ્યૂલ લોકસભાની ચૂંટણી પછીનું બનાવવું એવો શિડ્યૂલ નામંજૂર કરવા પાછળનો સરકારનો કળી શકાય તેવો છૂપો નિર્દેશ હતો. છતાંય ફરીફરીને બીસીસીઆઈએ ટૂર્નામૅન્ટની પૂર્વનિર્ધારિત તારીખ (૧૦ એપ્રિલથી ૧૪ મે)નું શિડ્યૂલ ફરીફરીને પાઠવ્યા કર્યું.

૭ માર્ચ, ૨૦૦૯ના રોજ બીસીસીઆઈએ કેન્દ્રીય ગૃહમંત્રાલય સમક્ષ આઈપીએલની ટૂર્નામૅન્ટના આયોજનની મંજૂરી માટે ટૂર્નામૅન્ટનું શિડ્યૂલ મોકલ્યું હતું જેમાં તારીખ ૧૦ એપ્રિલથી ૨૪ મે દરમિયાન ૫૯ મૅચો રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈપીએલની ગત સિઝનની જ્યાં ફાઇનલ મૅચ રમાઈ હતી તે મુંબઈના ડીવાય પાટીલ સ્પૉર્ટ્સ એકૅડેમી સ્ટેડિયમમાં બીજી સિઝનની ઉદ્ઘાટન અને સમાપન વિધિ યોજાશે એવી પણ મોદીએ અગાઉ જાહેરાત કરી દીધી હતી. કેટલું બાલિશ! બીસીસીઆઈને એટલી તો ખબર હોવી જોઈએ કે અત્યારે ક્રિકેટ રમવાનો સમય નથી. મૅચો કરતાં ચૂંટણીઓ ઘણી મહત્ત્વની છે. ખુદાન ખાસ્તા આઈપીએલમાં એકાદ વિદેશી ખેલાડી હુમલામાં હણાઈ જાય તો ન પૂરી શકાય એવી ખોટ સર્જાશે. ગયા વર્ષે કોઈ ચૂંટણી નહોતી ત્યારે પણ જયપુરમાં બાઁબબ્લાસ્ટ થયા હતા, જ્યારે આ વખતે સિક્યૉરિટી ફોર્સનું ધ્યાન ચૂંટણી ઉપર કેન્દ્રિત રહેશે. એવામાં ભારત સરકાર ખુદ પણ જડબેસલાક સુરક્ષાની ખાતરી આપી શકે તેમ નથી. વળી વર્લ્ડ કપ માથા ઉપર છે અને આપણે તેમાં સહઆયોજક છીએ ત્યારે આઈપીએલની નાની સરખી દુર્ઘટના મોટી હેરાનગતિ ઊભી કરે.

એક સાદી સમજની વાત કરીએ. આ દેશમાં ક્રિકેટને લોકો ધર્મ ગણે છે. ક્રિકેટને દિલોજાનથી ચાહે છે. ત્યારે બીસીસીઆઈ ચૂંટણી વખતે દેશહિતને ઠેબે ચડાવીને ‘ક્રિકેટ ક્રેઝ’ની રોકડી કરી લેવા તત્પરતા દાખવતું જોવા મળ્યું છે. બીસીસીઆઈની આ હરકતથી તે ‘રોકડી’ કરી લેવા માટે કેટલી નીચી કક્ષાએ જઈ શકે તેનો અંદાજ મળે છે. આઈપીએલ ટૂર્નામૅન્ટના આયોજનના સમગ્ર વિવાદની સ્ટોરીમાં આપણને દેખાય છે તે લલિત મોદી કે શશાંક મનોહર તેના પટકથાલેખક નથી. આઈપીએલ વિવાદ કથાના પટકથાલેખક મરાઠી માનુસને વડા પ્રધાન બનાવવાની જીદે ચડેલા, કૃષિમંત્રી કમ અને ક્રિકેટમંત્રી વધારે એવા શરદ પવાર છે. આ માણસમાં કૃષિ કરતાં ક્રિકેટનું કલ્યાણ કરવાની ભાવના વધારે હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે તે ખેતીવાડીવિષયક બાબતે પ્રકાશમાં આવે છે તેના કરતાં વધારે ક્રિકેટને લઈને મીડિયામાં છવાયેલો રહે છે. તેની ‘નેકસ્ટ વડા પ્રધાનપદે તો મરાઠીમાનુસ જ’ની જીદને લઈને તેઓ સરકારને નીચાજોણું કરાવવા તત્પર બન્યા જણાય છે. આ બંદો એવો તો ખંધો રાજકારણી છે કે પોતે પ્રકાશમાં નથી આવતો અને તેના ઇરાદાઓ આઈપીએલ ચૅરમૅન લલિતચંદ્ર મોદીની પછવાડે ધરી રાખે છે. જુઓને ખૈરનારે આ માણસ વિશે જ સરાજાહેર કહ્યંુ હતું કે તેને દાઉદ ઇબ્રાહીમ સાથે સંબંધ છે. છતાં આજે ખૈરનારને કોણ પૂંછે છે? અને આ માણસ? એ તો વિદ્વાન રાજનેતાઓની પંગતમાં જઈ બેઠો. વડા પ્રધાન બનવાનાં સપનાંઓ જોઈ રહ્યો છે.

ખેર! આપણે ખૈરનાર પ્રકરણ ઉપર ન ભટકતાં આઈપીએલ વિવાદ ઉપર જ કેન્દ્રિત થઈએ. લલિત મોદી અને ચિદમ્બરમ્ની સરખામણી કઈ રીતે કરીશું? લલિત મોદી અને મનોહર જેવા લોકોને સુરક્ષાની અને નીતિરીતિની સરકાર કરતાં વધારે ખબર પડે છે કે તેઓ કહે છે કે ટૂર્નામૅન્ટ માટે સુરક્ષા પૂરી પાડવાની અક્ષમતા દાખવનાર સરકારોની શું આલોચના કરવી તે માટેના શબ્દો મળતા નથી. આ લોકો દેશની સુરક્ષામાં લાગેલા જવાનોને પોતે આયોજિત કરેલા ખેલ પાછળ ફાળવવા માગતા હતા જેમાં એને ‘ના’ સાંભળવા મળતાં હવે તેમની પાસે આલોચના કરવાના શબ્દો મળતા નથી. બીસીસીઆઈ અધિકારીઓના આ ગુસ્સામાં ટૂર્નામૅન્ટના આયોજક ઉદ્યોગજગતની ઊર્જા ભળી છે, કારણ કે આઈપીએલમાં ફ્રેન્ચાઇઝી, પ્રસારણથી માંડીને સ્પોન્સરશિપ પાછળ ઉદ્યોગજગતે ઘણો પૈસો રોક્યો છે. એટલે તેમણેે ટૂર્નામૅન્ટ નિર્ધારિત સમયમાં ભારતમાં જ રમાય એ માટે બીસીસીઆઈ ઉપર ઘણું દબાણ ઊભંુ કર્યું હોઈ શકે.

આપીએલ ટૂર્નામૅન્ટ સુરક્ષાના મુદ્દે વિદેશમાં ખસેડવી પડી તેથી ભારતનું નાક કપાયંુ છે એવું માનનારાને વિદિત થાય કે ક્રિકેટ કરતાં ચૂંટણીનું મહત્ત્વ દેશ માટે અનેકગણું વધારે છે. ટૂર્નામૅન્ટ રદ થાય તો થાય પણ ચૂંટણીમાં ગેરરીતિ કે તોફાનોને અવકાશ ન રહે તે માટે સમગ્ર ધ્યાન લોકસભાની ચૂંટણી ઉપર કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે આખરે ક્રિકેટ એ રમત છે અને ચૂંટણી એ દેશના શાસકો નક્કી કરવાની પ્રક્રિયા છે. ટૂર્નામૅન્ટ વિદેશમાં ભલે રમાય પણ અહીં દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણી ઉપર ૧૦૦ ટકા ધ્યાન આપવું જરૂરી બની જાય છે, ચીટિંગ અને બોગસ વોટિંગના વર્તમાન સમયમાં તો ખાસ.

વળી ચેન્નાઈમાં ઈંગ્લૅન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ દરમિયાન ગત વર્ષે નવેમ્બરમાં મુંબઈ ટૅરરઍટેકની ઘટના બની હતી. એ પછી લાહોર ઍટેકમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ આતંકવાદીઓની બંદૂકોનું નિશાન બની તેથી સુરક્ષાના મુદ્દે સરકારે વધુ સાવચેતી દાખવીને ચૂંટણી વખતે ટૂર્નામૅન્ટના આયોજનની ના કહેવી તેમાં ખોટું શું છે?


ધારો કે ટૂર્નામૅન્ટના આયોજનને અહીં મંજૂરી આપી દેવામાં આવે અને આતંકવાદી હુમલો થાય તો? તો વિશ્વ આખાને એ સંદેશો જાય કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા સવા કરોડની આબાદીના દેશમાં ચૂંટણી ચાલી રહી હતી ત્યારે જ સરકાર એક ખેલ ટૂર્નામૅન્ટને મંજૂરી આપે? બેદરકારીનો બીજો આનાથી મોટો નમૂનો કયો હોઈ શકે? તો ભારતનું નાક ચોક્કસ કપાય. ચૂંટણી વખતે સુરક્ષાના મુદ્દાને લઈને રમતના આયોજનને વિદેશમાં ખસેડવું પડે એ ઘટનાને અને ભારતનું નાક કપાય એ ઘટના વચ્ચે કોઈ વાતે મેળ નથી બેસતો. જો બીસીસીઆઈને ૧૦ હજાર કરોડ રૂપિયા કરતાં ભારતના નાકની વધારે કિંમત હોય તો તે આઈપીએલ ટૂર્નામૅન્ટ વિદેશમાં ખસેડવાને બદલે ટૂર્નામૅન્ટ રદ કેમ નથી કરતું? ચિદમ્બરમે લોકો સમક્ષ આવીને કહેવું પડે કે રમતને રમતની રીતે જોવાવી જોઈએ, પણ આઈપીએલ રમતથી કંઈક વિશેષ છે. રમતમાં રાજકારણ ઘૂસ્યંુ છે. આ વાત બીસીસીઆઈની અંદરબહાર રજૂ કરે છે.

गुरुवार, 19 मार्च 2009

રત્નકલાકાર, ચિંથરે વિંટ્યુ રતન



એમને ‘રત્નકલાકાર’ના નામે શિક્ષિતોએ નવાજ્યા પણ એમને એ રાજ ન આવ્યું અને એમણે ‘હિરાઘસુ’ના નામે ઓળખાવવાનું વધુ પસંદ કર્યુ. આજે ગુજરાતમાં હિરાઘસુઓ હડેહડે થયા છે ત્યારે...
 

એક વર્ષ સુધી સુરતમાં હિરાઘસુઓનો રૂમપાર્ટનર હતો. ઘણી વખત હિરાઘસુ મિત્રો સાથે કારખાને ઘંટી નીચે પગ ભરાવીને સુઈ જતો હતો, પગે પ્લાસ્ટિકની કોથળી વિંટાળીને. કારણ કે ઉઘાડા પગ ઉંદર ફોલીને ખાઈ જતા હતા. જો કે આટલી તકેદારી વચ્ચે પણ બેએક વાર ઉંદરોએ મારા પગની પાનીઓ કરડી ખાધી હતી. સવારમાં મિત્રો સાથે કારખાનાના ખુણાની ખુલ્લી કંુડીમાં હરહર મહાદેવ કર્યુ છે. હિરાઘસુઓના મુડને પારખ્યો છે, તેમની ચિંતા, દર્દ અને બેફિકરાઈ, રઘવાટ અને રખાવટ, વરિયાળી ભાગોળની વિઝીટ અને પરિવાર સાથેનું આત્મિક સંધાન, ગંડસ્થલના ઘા અને જીંદાદીલી...ને મેં ઝીલ્યા છે.

દમ હતો ત્યા સુધી એમણે પંડ્યના પાથરણા કર્યા છે. જાત સામુ કદી જોયું નથી. રોજ ૧૧ કલાક એક લાકડાના ફુટ બાટ ફુટના ટેબલ ઉપર તશરિફ રાખીને ઘંટીએ હીરા ઘસવાના અને રાત પડ્યે એજ ઘંટી નીચે પગ ભરાવીને સુઈ જવાનું. હું હજારો હિરાઘસુઓને મળ્યો, આટલી આકરી મહેનત છતા એકપણના ચહેરા ઉપર જીવનને વેંઢારતા હોય એવો ભાવ ન જોયો. ૧૫ વર્ષ પહેલા હિરાની મજુરીનો ભાવ હતો એટલો જ આજે છે, હિરા ઘસવામાં એને ભલે ઘરના બે છેડા ભેગા ન થતા હોય, કારખાનેદારએ મોટી હવેલીઓ બાંધી લીધી, પ્રાઈવેટ વિમાનો ખરીદી લીધા અને મુશ્કેલ કાળમાં પોતાને રસ્તે રઝળતા મેલી દીધા છતા એને સરકાર કે માલિકો પ્રત્યે મનમાં રત્તિભારની નફરત નથી. પોતે હજુ એની એજ પટ્ટાવાળી લુંગી પહેરીને ઘંટીએ બેસે અને એની નજર સામે ‘માલિકો’ મહાલયો બંધાવી રહ્યા હતા છતા એમને એની ઈર્ષા નહોતી. શાકબકાલાવાળી મોબાઈલ લઈને ફરતી હોય પણ ‘માલિકો’ એમની પાસે હજુ હમણા સુધી બાઈક, ફોન હોય તો તેમને કારખાનેથી છુટ્ટા કરતા. એવુ માનીને કે નક્કી તેમણે હીરા ચોર્યા હશે (કે બદલાવ્યા હશે) નહીતર મોબાઈલ, બાઈક ખરીદવાનું સામ્યર્થ ક્યાંથી આવે?!

ચપટીભર શેઠિયાઓએ લાખો હિરાઘસુઓ ઉપર જોહુકમી કરી અને તેમણે ચલાવ્યે રાખી. નાના ગુનામાં કે ગુનાના શક બદલ તેમની ચામડી ઉતરડી લેવાઈ, કોઈ કિસ્સામાં તો ઉંચા માળની અટારીએથી નીચે ફેંકી દેવાયા. ના, તેઓ કંઈ ગભરૂ પ્રજા નથી. શેઠિયાને નહી મારવાનું એના એથિક્સમાં નહી આવતું હોય એટલે બાકી તાપીના પુર સુરતમાં ઘસી આવ્યા ત્યારે સુવાવડી બાઈને વેણ ઉપડતા માથાડુબ પાણીમાં ખાટલા સોતી દવાખાને લઈ ગયા હતા ત્યારે સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટરે એડવાન્સમાં મોટી રકમ માંગી અને પછી જ દર્દીને હાથમાં લેવાનું કહ્યું હતું. એની ૧૦ મિનિટમાં હિરાઘસુઓનું વિરાટ ટોળુ ઘસી આવ્યું અને ત્રણ ફોર વ્હિલર સહિત આખેઆખા દવાખાનાને આગ ચાંપી દીધી. દવાખાના સાથે જોડાયેલું ડોક્ટરનું ઘર પણ બળીને ખાખ થઈ ગયું હતું. ડોક્ટરને અગાઉ ઘટનાનો અંદાજ આવતા ભાગી છુટ્યો હતો, નહિતર કદાચ એમનેય બળતામાં પધરાવી દીધો હોત.

બીજો દાખલો વરાછાની પ્રસિદ્ધ ક્રિષ્ના ડેરીનો, એક બાજુ તાપીનો કેર અને બીજી બાજુ કિષ્ના ડેરીના મારવાડી માલિકનો. દુધની ભારે અછત. બાળકોને પાવા માટેનું દુધ કિષ્ના ડેરીમાં લેવા આવે ત્યારે અછતનો ફાયદો ઉઠાવીને દુધમાં એજ તાપીનું ગંદુ પાણી મેળવીને કાળાબજારે વેચવા માંડ્યું. દુધનો રંગ સફેદ ન રહ્યો. હિરાઘસુઓએ આખેઆખી ડેરી ફુંકી મારી હતી. 

હિરાઘસુઓના મહોલ્લામાં એ આખા મહોલ્લાને ઓળખે અને આખો મહોલ્લો એને. તેઓ પરસ્પરના મદદગાર. ગાંઠે બે પૈસા હોય તો ભાંગ્યાનો ભેરૂ થવામાંય એ વાર ન લગાડે.  

તેમના જીવનના કાયદાઓ અને રસમો સાવ નોખા. આમ સાવ દરિદ્ર પણ લાખોનો વહિવટ ચિઠ્ઠિની લેવડદેવડ ઉપર થાય તોય ઈરાદનો પાક્કો. વહેવાર તોડવા કરતા જીવ આપી દેવાનું વધુ પસંદ કરે. ખાવાનું ભલે પ્રાઈમસે ચડતું પણ મહેમાનગતિમાં એને કોઈ ન પુંગે. મહેમાનગતિમાં અટ્ટારીઓવાળાને એ ટપી જાય. એમાંય ઉંચુ ભણેલો કોઈ એનો મહેમાન બને ત્યારે તો પાણીપાણી. દુનિયા જંકફુડ અને ફાસ્ટફુડને રંગે રંગાતી હતી ત્યારે તેઓ ફ્રુટની લારીએ ટોળે વળતા હતા. ફ્રુટ ખાવામાં અને ખરીદવામાં હિરાઘસુઓને કોઈ ન પોગે. વરાછા વિસ્તારમાં રોજના ૧૦ હજારના કેરી, તરબુચ વેચી નાખનારા લારીવાળાના દાખલા તમે એક માંગો હજાર મળે. હિરાઘસુઓની સાથે આજે એય નવરા થઈ ગયા. એમને મહેનતથી વધુ કંઈ ખપતું નથી. એટલે ઘર ચલાવવામાં મહેનત ઓછી પડે તો દિવાળી વેકેશનમાં ખેતીકામે લાગી જતા. ચોક્ખાચણાક અને ફુલફટાક બનીને મહાલવું એમને ગમે પણ સમય આવ્યે ધુળમાં ધુળ બની જતાય વાર ન લાગે. એકલપંડ્યે આખા પરિવારનો ભાર ખેંચતો હતો છતાય એના વર્તનમાં જરીકેય અભિમાન ન મળે. 

પંદરવીસ ચોપડીના ભણતર પછીય નોકરીની સલામતિનો પ્રશ્ન લોકોને સતાવતો હોય પણ અભણ હિરાઘસુઓ જાણે કે કમ્મરતોડ મજુરી અને શ્વાસનળીમાં ઘસાયેલા હિરાની રજકણ ભરાઈ જતા અકાળે વૃદ્ધત્વ આવી જશે, ૪૫ વર્ષની ઉંમર પછી અંગુર કટોરાને હાથ અને આંખો સપોર્ટ નહી આપે છતા બેફિકરાઈ એના બાપની.

આ સ્થિતિમાં આમતો એને પાઈપાઈની બચત કરીને જીવવું જોઈતું હતું પણ એણે પાઈનીય બચત કરવાનું મુનાસિબ ન ગણ્યું. જે વખતે જેટલી કમાણી થઈ તેનું તુરત દાન અને મહા પુણ્ય. આજે જે સ્થિતિ આવી છે તેનો અણસાર તેને વર્ષોથી હતો. પણ હતો જરા અલગ અંદાજમાં. તેઓ માનતા કે નજીકના ભવિષ્યમાં જ એક સમય એવો આવશે કે હિરાની ખાણો ખુટી પડશે કે હિરાની ‘ડિમાન્ડ’ તુટી પડશે ત્યારે આપણે બધા ‘નવરા’ થઈ જવાના. ભલે અલગ કારણોથી પણ એમનો ભય સાચો ઠર્યો. 

હિરા ઉદ્યોગને ગ્રહણ લાગવાથી હિરાઘસુઓના ગણિત ખોરવાઈ ગયા, વહેવારો અટકી ગયા. કરોડો કમાઈ બેઠેલા શેઠિયાઓને એની કોઈ બળતરા નથી?!

અને આમાં દિલને રાહત આપે એવી વાત એ છે કે હિરાઘસુઓએ આજની તારીખે કોઈની કને મદદની ઘા નથી નાખી. એના માલિકોને મદદની જરૂર હોય તો હોય, હિરાઘસુઓને પડી નથી. ‘દેવાવાળો હજાર હાથવાળો છે એ કીડીને કણ અને હાથીને મણ દઈ રે છે’ એવી એમની મુળ માનસિકતા. હિરાના કારખાનામાં મજુરી કરતા હતા તે હવે ખેતરવાડીએ કરશે. વર્તમાનમાં જીવવાવાળી આ પ્રજા અપરિગ્રહમાં માનતી. ખાવુંપિવું અને પરિવારને ખુશ રાખવો એ એની પ્રાથમિકતા. અને વળી એકલો માણસ આખા પરિવારની ધુંસરી કાંધે ઉપાડીને ચાલતો હોય ત્યારે એની પાસે પૈસો ક્યાંથી હોય. ચારેકોર દંભપાખંડકૃત્રિમતાની બોલબાલાની વચ્ચે હિરાઘસું આટલો સરળ કેમ રહી શક્યો હશે? 

બે કારણો હશે એની પાછળના. એને ભણતર બહુ ચડ્યુ નહી અને મુળે એ ગામડાની મિટ્ટીનો માણસ, ધરતીપુત્ર.

सोमवार, 9 मार्च 2009

ડગલું ચાલતા ગોઠીંમડું ખાઈ જનારા રાજકારભાર ચલાવે છે





૫૩ વર્ષના તેલુગુ અભિનેતા ચિરંજીવીએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યુ છે. ગયા વર્ષના અંત ભાગે તેણે ‘પ્રજા રાજ્યમ્ પાર્ટી’ના નામે આંન્ધ્રપ્રદેશમાં નવો સ્થાનિક પક્ષ રચ્યો હતો. લોકસભાની ચુંટણીઓ નજીક આવી ચિરંજીવ ઉપરાછાપરી રેલીઓ કાઢી રહ્યો છે અને તેલુગુ ફિલ્મોનો સુપરસ્ટાર છે એ નાતે તેની સભાઓમાં સૈલાબની જેમ લોકો ઉમટી પડે છે. કારણ કે દક્ષિણમાં સુપરસ્ટાર અભિનેતાને લોકો ભગવાનના ઠેકાણે બેસાડે છે.

ના, મારે ચિરંજીવીની લોકપ્રિયતા વિશે, ઉપલબ્ધિઓ વિશે કે તેના નવા પક્ષની ખાસિયતો વિશે કંઈ કહેવું નથી. 

મારે કહેવું છે તેના ૫૩ વર્ષે રાજકારણમાં પ્રવેશ વિશે. 
રાજકારણ સમાજને સૌથી વધુ અસર કરતું પરિબળ છે. ફિલ્મ, મિડિયા, બ્યુરોક્રસી, બિઝનેસ...આ બધા ક્ષેત્રનવિશો સમાજ ઉપર પ્રભાવ પાડી શકે છે એ કરતા સમાજ ઉપર અનેક ગણો વધારે પ્રભાવ રાજનેતાનો પડે છે. છતાય, તમારે આઈઆઈએમ, નિફ્ટ જેવી સંસ્થાઓમાં એડમિશન લેવું હોય તો આકરી કસોટીઓમાંથી પસાર થવાનું અને એય પાછુ ૩૦૩૨ વર્ષની નીચેને ઉંમર સુધીમાં, પણ રાજકારણમાં પ્રવેશ માટેની કોઈ નિશ્ચિત વયમર્યાદા નહી? રાજકારણમાં તમે ૫૦ વર્ષે પ્રવેશ મેળવી શકો અને ૮૨ વર્ષે પ્રધાન (વડાપ્રધાન ઓલ્સો) પણ થઈ શકો. અન્ય કોઈ ક્ષેત્રમાં જોઈએ એ કરતા રાજ ચલાવવામાં વધારે આવડતની જરૂર પડે છે એ વાતની આપણને બધાને ખબર હોવા છતા વનપ્રવેશ કરી ચુકેલાને આઈઆઈએમમાં નહી ને રાજકારણમાં એન્ટ્રી કેમ આપવામાં આવે છે? કહું છુ કે મોટી ઉંમરનાઓને રાજકારણમાં પ્રવેશનિશેધ ફરમાવશો અને આઈઆઈએમ જેવી પ્રિમિયર શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ આપશો ચાલશે. કારણકે એક પ્રધાનનું બળ હજાર અધિકારી જેટલું જાણજો. 

આપણે સંસ્કારી સમાજ હોવાની ડિંગ હાંકીએ છીએ તે વનપ્રવેશ કરી ગયેલાને રાજકારણમાં પ્રવેશ આપીએ છીએ એમાં આપણુ સંસ્કારીપણુ ઝળકે છે? શરીરમાં ગેસ અને બદહજમીએ કબજો જમાવી લીધો હોય એનામાં રાજ્યનું કલ્યાણકારી વિચારો સ્ફુરે એવી આશા ઠગારી નહી નિવડે? ૨૦૨૫ વર્ષે જીવનમાં કંઈક કરી દેખાડવાનો જે જુસ્સો હોય છે તે ૫૦ વર્ષે નથી રહેતો, આદર્શોને વળગીને ચાલવાની ધખના હોય છે તે મોટેભાગે ખતમ થઈ ગઈ હોય છે. વંડીઓ ઠેકી જતો હતો તેને ચાર ડગલા ચાલવામાં હાંફ ચડી જાય છે. કરમદા, બોર કાચાપાકા ઝાપટી જતો હતો તેને કાયમ ચુર્ણ અને મધુપ્રમેહને અંકુશમાં રાખવાની ગોળીઓ ખાવી પડે છે. જીવનની અડધી સદી ઓળંગ્યા પછી માણસ સેટિંગો પાડતા શિખી જાય છે. જીવનમાં આદર્શો જેવું કશું હોતું નથી એવી તેને ખબર પડી જાય છે. ટુંકમાં, માણસ રીઢો બની જાય છે. એક ગરીબડા પ્રજાજનની ઘા એના ડઠ્ઠર જેવા થઈ ગયેલા હદય સુધી પહોંચતી નથી એટલો રીઢો. એને તમે પરિપક્વ પણ કહી શકો. આ ઉંમરે આપણે તેને નેતા બનાવીએ છીએ. અને પછી રાજકારણમાં નિચ, ગંદા, ગલીચ લોકો ભરાયા છે એવી ફરીયાદ કરીએ છીએ. પચાસ વર્ષે રાજકારણમાં પ્રવેશીને લોકપ્રિયતાની રોકડી કરી મુખ્યપ્રધાન બની જતા નેતાઓને અને પછી ૮૦ વર્ષે જરા જોરથી ડગલું ચાલવામાં ગોઠીંમડું ખાઈ જવાય એવી સ્થિતિએ પણ રાજકારભાર નહી છોડતા સત્તાલાલચુઓ આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે?

આ સ્થિતિનું નિર્માણ આપણે જ કર્યુ છે. તેથી નેતાઓ સામે એક આંગળી ચિંધીશું તો ચાર આંગળી આપણી તરફ તકાયેલી રહેશે. 

(તા.ક. આમાં બાજપેયી, અડવાણી જેવા વૃદ્ધોને વાચકો ન સમાવે. કારણ કે તેઓ યુવાવસ્થાથી જ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા.)

शनिवार, 7 मार्च 2009

કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના


મહાત્મા ગાંધીજીએ વાપરેલી વસ્તુઓ ન્યુયોર્કમાં હરાજીમાં મુકવા જઈ રહી છે અને એ વસ્તુઓ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હોવાના નાતે તેની હરરાજી થતી અટકાવવી જોઈએ એવી વાતો આખા અઠવાડિયા સુધી આપણી આસપાસના વાતાવરણમાં આમતેમ ફંગોળાતી હતી. આખરે વિજ્ય માલ્યા ઈંગ્લાંન્ડમાંથી ગાંધીજીના જુતા, લોટો, ચશ્મા ૧૦ કરોડ રૂપિયા ખર્ચીને ભારત લઈ આવ્યો. ગાંધીજીના પૌત્ર તુષાર ગાંધીએ પણ માલ્યાએ લાજ રાખી એવી મતલબના વિધાનો કર્યા. 


ગાંધીજીએ વાપરેલી વસ્તુઓની હરાજી વખતે રોકકળ કરી મુકનારા મોટાભાગના ‘જીવન ક્ષણભંગુર છે’ અને ’નામ તેનો નાશ છે’ એવી પણ કબુલાત કરતા ફરતા હશે. આ વખતે મને મહુવામાં મોરારીબાપુએ યોજેલી ‘વિશ્વધર્મ સંવાદ’ પરિષદમાં ધર્મશાલાના બૌધવડા પ્રોફેસર સામ ધોંગ રિમ્પોચેએ કહેલી વાત યાદ આવે છે. રિમ્પોચેએ કહ્યુ હતું, ‘બુદ્ધ મુર્તિઓ તોડવાથી બૌદ્ધ ધર્મ નષ્ટ નથી થઈ જતો, બુદ્ધે પ્રયોજેલા મૈત્રી, કરૂણા, મુદિતા.. વગેરે વ્રતને તોડવાથી નષ્ટ થાય છે.’

ગાંધીજીના જૂતા, ચશ્મામાં અટવાયેલા લોકોને જોતા રિમ્પોચે અને તેમના વિચારો સાથે સંમત લોકોને કરૂણા ઉપજી હશે. આ થોડુ યુરોપ અમેરિકા છે કે અહી મુદ્દાઓ અને સમસ્યાઓ નહી મળતા લોકોએ ‘સમથિંગ ફોર અ ચેન્જ’ માટે આવા મુદ્દાઓ પકડવા પડે?

ગાંધી જણસ વિશે ચિવટથી હાથ ઉછાળી ઉછાળીને વાતો કરતા લોકોને જોતા થતું, ‘કહેતા ભી દિવાના અૌર સુનતા ભી દિવાના.’
માલ્યાએ પૈસા ફેંકીને ગાંધીજીનો મુદ્દામાલ તો ઠીક, વાતવાયડાઓનો વાતનો મુદ્દો ઝુંટવી લીધો.