सोमवार, 23 अगस्त 2010

હે પ્રભો, બુડથલને બુદ્ધિ દયો



સોમનાથનું વિશેષ વળગણ. ભવ્ય મંદિર, મંદિરના કોટે અફળાતી અફાટ જળરાશિ, શરણાઈ-નગારા-ઝાલરના મધુર ધ્વની સાથેની આરતિ... મને મહાદેવ અને મહાસાગરને પ્રણિપાત કરવા માટેનું કાયમ ખેંચાણ રહે છે. સુર્ય આથમતીવેળાએ એકતરફ સુવર્ણજડિત લાગતા મંદિરના કાંગરાએ અંડિંગો જમાવતા સેંકડો કબુતરોનો મેળો, બીજી તરફ ક્ષિતિજ સુધી નજર નાખો ત્યાં સોનું પથરાયુ હોય તેવો આભાસ કરવતો મહાસાગર(આખો દિવસ મહાદેવના ચરણોમાં માથુ અફાળવાનું આ ઇનામ હશે)... રમણિય દ્દશ્ય જોતા ઘડીભર તમામ જીવનઆંકાંક્ષાઓ કોરાણે મુકાઇ જાય છે, સમય થંભી જાય છે, જીવનસંગીતનો વિખરાયેલો સુર ફરી તાલ સાથે સંગત મેળવી લે છે.


ગયા અઠવાડિયે એકલો સોમનાથ ગયો ત્યારેય બહાર ઘુઘવતા મહાસાગરની જેમ હદયમાં પણ ઉર્મિઓનો સાગર ઘુઘવતો હતો પણ આ વખતે એ મોજાઓનો વેગ અને ઉછાળો જરા મંદ હતા. આમ કેમ થયુ દૈવ.


પિનાકપાણી,
મદિરની શ્વેત દિવાલોના ગર્ભમાં શ્યામ રંગના લિંગને જોવા ટેવાયેલી મારી આંખો સુવર્ણજડિત મંદિરની ભિંતો અને અટ્ટાલિકાઓ તરફ પરાણે દોરવાઈ ગઈ. હાય, મહાદેવ સાથે નજર અનુસંધાન માટે તરસતી મારી આંખોને દિવાલ અને અટ્ટાલિકાઓ કેમ ખેંચી જાય છે. મહાદેવ, મહાદેવ...શું અમગળ થવા બેઠુ છે?
કોઈપણ મંદિરનું કેન્દ્રબિંદુ એના ગર્ભગૃહમાં સ્થાપેલા દેવ જ હોય, એની દિવાલો નહી. સુવર્ણ અલંકારોથી દેવને શણગારવાનો બધો અભરખો મુર્તિ નીચેના પેટાળમાં સોનુ-રૂપુ-નાણુ પધરાવીને પુરો કરવાની છુટ છે પણ દિવાલોને સુવર્ણથી અલંકારિત કરીને દેવ કરતા દિવાલોને વધુ મહત્વ આપવાની ચેષ્ટા મહાદેવ માફ ન કરો. મંદિરની સાત્વિકતાને હણવા તૈયાર થયેલા સોમનાથ ટ્રસ્ટના કારભારીઓને ડારો દયો પ્રભુ અને એમ કરતાય પાછા ન વળે તો અડબોથ જ ચોપડી દેજો.


પ્રભુ આ દાસની એક અરજ છે કે એને ધમકાવતા કે ધોલધપાટ કરતા પહેલા કારભારીઓ સાથે શાંતિમંત્રણા કરજો. અહિંસા પરમો ધર્મ પ્રભુ. એમને કહેજો કે સૌરાષ્ટ્રના મોટાભાગના દેવ-સ્થાનકોમાં સદાવ્રત ચાલે છે. સોમનાથ ટ્રસ્ટ જો મંદિરને સોને મઢવા જેટલુ સમૃદ્ધ થઈ ગયુ હોય તો ગુજરાતી થાળીના 25 રૂપિયા લેવાનું બંધ કરી દે અને વિનામુલ્યે હરિહરનો સાફ પડાવે અને આ ઉજળી પરંપરાને વધાવે.


પ્રભુ, અવિવેક માફ પણ બીજી એક વાતે આપનું ધ્યાન દોરવું છે. મંદિરમાં દાનબારી ખોલી છે તે બંધ કરાવી દો. મંદિરમાં તો માત્ર અને માત્ર દર્શન જ હોય. પ્લીઝ એમને કહો કે દાનનું કાઉન્ટર મંદિરની બહાર રાખે. બહુ ગુસ્સે થયા વગર પ્રેમથી વાત કરજો પ્રભુ, તમારી વાત એ માની જશે. મંદિરમાં સાંસારિક વ્યવહારોને સ્થાન કેવુ? ત્યાં તો ભક્ત અને ભગવાન, આત્મા અને પરમાત્માના મિલન શિવાય કશુ ન ખપો.


આજે તમને અરજ કરી છે ત્યારે ભેળાભેળ ત્રીજી એક નાની પણ અગત્યની વાત આપના કાને નાખ દઉ, પ્રભુ અમને તો એવી સમજણ મળી છે કે મંદિરમાં જવાનો મુખ્ય હેતું માનવને શાંતીના વાતાવરણમાં જાત સાથે સંવાદ સાધવાનો મોકો આપવાનો, આત્મસ્મરણ જગાવવાનો છે. મંદિરમાં ઘોંઘાટને વળી સ્થાન કેવું. પણ મહાદેવ, અહી આ લોકો માઇક ઉપર ધુન-ભજનની કેસેટ લગાવીને નકરો ગોકીરો કરે છે. શાંતિ મેળવવા માટે અને ભિતરી કોલાહલ ઉપર નજર નાખવા તમે અમને મંદિરનો આશ્રય આપ્યો, પણ બહાર કરતા તો અહી માઇક વધુ મોટા અવાજે ઘાંટા પાડે છે.


પિનાકપાણી, એતો અમને ખબર છે કે આપ અમારા દિલમા વાસ કરો છો એ અર્થે અમારે છેક સોમનાથ સુધી લાંબા થવાની જરૂર નથી, પણ પ્રભુ અમારૂ દિલ જ અમને તમારી તમારી કને મજબુરન ખેંચી જાય એનું શું? માવતર વછોયા સંતાન જેમ માવતરને ભેટવાનું સપનું સંજોતા હોય એમ અમે હે જગતપિતા, તારી કને દોડી આવીએ તો એમાં અમારો વાંક ન જોઈશ.


ઓહ પ્રભુ, હું તો મારા દુખને તારી આગળ ગાઈ બેઠો બાકી એ કંઈ તારાથી થોડુ છાનું રહે? ક્ષમા. સોમનાથ ટ્રસ્ટવાળા ડઠ્ઠર દિલના હોય અને તારી વાત ન માને તો એમને બહુ ઘઘલાવીશ નહી પ્રભુ, મને એ બધી અવ્યવસ્થા વચ્ચે રહીને પણ તારૂ આરાધન કરવાનું ગજુ આપી દે જે. બસ પછી... જાગીને જોઉ તો જગત દિસે નહી...જેવો ઘાટ થાય તો ગંગા નાહ્યા.

शनिवार, 24 जुलाई 2010

પ્રિત કી લત તો હે એસી લાગી?


પરમ વિજ્ઞાન એમ કહે છે કે વિશ્વ એ અંતતોગત્વા વિચારોનો સમુહ માત્ર છે. દારૂડિયાના વિચારો સતત નશાની અને દારૂ રિલેટેડ બાબતો અંગેના હોય છે. એટલે એનું વિશ્વ દારૂનું પિઠું, મહેફિલના સાથીદારો, અમલ અને છુપાઈને અમલ કરવા માટેના ઝાડીઝાંખરાવાળા નિર્જન સ્થળો...વગેરે હોય છે. દારૂડિયાને ક્યાંય અજાણ્યા સ્થળે જવાનું થાય તો ત્યાં ટુંક સમયમાંજ તેનું વિશ્વ સર્જાઈ જાય છે.

પત્રકારો, વકિલો, ઉદ્યોગકારો, રાજનિતિજ્ઞો, ગવૈયા-ભવૈયાઓ, પ્રેમીઓ, કામીઓ વગેરેનું પણ આવું જ હોય છે. આમાથી પ્રેમીઓની જાત ઉપર જરા બિલોરી કાચ ફેરવીએ,

તમે તમારા કાને અત્યાર સુધી જે શબ્દો અથડાયા કે તમારી આંખે જે દ્રષ્યો ઝીલ્યા એના આધારે પ્રેમ માટે તમારા મનોવિશ્વમાં એક ચોક્કસ વિજાતિય પાત્ર ઘડ્યુ છે. એનો નાક-નકશો, વાણી-અદા સાથેનું પ્રેમી પાત્રનું શિલ્પ તમારા મનોવિશ્વમાં ઘડી કાઢ્યુ છે. બજારમાંથી તમને આ ક્રાઈટેરિયા ધરાવતું કોઈ મળ્યુ એટલે તમારી અંદર છુપાયેલી પ્રેમમુર્તિ સપાટી ઉપર આવે છે અને તમને શરીરમાં વિજળીક કરંટ પસાર થઈ ગયાનો અનુભવ થાય અને અંદરની મુર્તિનો બહાર પડઘો પાડતી એ વાસ્તવમુર્તિને પામવાના એનકેન પ્રકારે પ્રયત્નો આદરી દો છો. તમે એ પાત્રને જુઓ કે તુરંત તમારી અંદરની નિષ્પ્રાણ પ્રેમમુર્તિમાં એની પ્રતિચ્છાયા પ્રવેશી જાય છે અને તમે અંદરની મુર્તિ સાથે ઇચ્છિત ક્રિયાઓ કરવા લાગો છો, રોમેન્ટિક સંવાદોથી લઈને સહશયનની ક્રિયા. તમારી અંદરની જૈવરાસાયણિક પ્રક્રિયાની બહાર અસર પડે છે અને લોકો કહે છે કે 'બદલે બદલે સે જનાબ નજર આતે હૈ.'

આખરે તમે કોઈ ભિખારી કે અસ્થિર મગજના વિજાતિય પાત્રના પ્રેમમાં કદી નથી પડતા એનું કારણ પણ આ જ છે.

અહી એવું નથી હોતુ કે તમારી મનમુર્તિના સો એ સો ટકા ગુણધર્મો એ વિજાતિય પ્રેમી પાત્રમાં મોજુદ હોય ત્યારે જ દિલની ઘંટી વાગે. શક્ય છે કે હોઠનો મેળ ન ખાતો હોય પણ આંખો અદ્દલ એવી જ હોય. ચાલમાં ન જામતું હોય પણ ગાલ, હડપચી અને હથેળીમાં 99 ટકાની સામ્યતા હોય. 75 - 80 ટકાની સામ્યતા હોય એટલે ચોકઠુ ફિટ થઈ જાય. ચક્કર ચલાવવામાં પનો ટુંકો પડે કે ચક્કર ચલાવ્યા પછી કોઈ વાતે વાંકુ પડે અને પ્રેમભંગ થઈ જવાય તો નો પ્રોબ્લેમ. ગાલ, હડપચી, હથેળી વગેરેને જવા દો, મુર્તિના હોઠ, કૂલા, હાથ, છાતી જેવા અન્ય પરિણામો સાથે મેળ ખાતો હોય એવું પાત્ર મળી જાય એટલે પાછી દિલની ઘંટી વાગશે. અને તમે પહેલામાં ન લપેટાયા એ જ સારૂ થયુ આ બીજુ પાત્ર જ તમારા ખરા પ્રેમને પાત્ર છે એવી સાંત્વના સાથે આગળ વધશો.

ફરી પાછી જૈવ-રાસાયણિક પ્રક્રિયા અને એના બાહ્ય ફેરફારોને કારણે લોક કહેશે કે 'બદલે બદલે સે જનાબ નજર આતે હે.' અને પછી તમે પણ નફકરા થઈને કહેશો કે 'કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહના.'

અલબત્ત આ કેમેસ્ટ્રીમાં વિજાતિય પાત્રની મનોમુર્તિ સાથે તમારો ઘણેઅંશે મેળ ખાવો જરૂરી છે નહિતર એના દિલની ઘંટી નહી વાગે અને તમને ફોગટના ફેરા ખાઈને પગમાં આંટણ પડી જશે. તમે ફ્લેક્સિબલ થઈને કલ્ટી મારવાને બદલે અહી જ ગંગા જમનાનું રટણ ચાલુ રાખશો તો દેવદાસ બનવાનો વારો આવશે. આવી રીતે આજીવન વહેમમાં રખડી ખાનારાઓની તાદાત પણ ઓછી નથી હોં. વળી બધા પ્રેમમાં ઠરીઠામ થયા પછી કાંદો કાઢી લેનારા નથી ઠરતા, આવું કેમ? એ વાત ફરી ક્યારેક. આમાંથી જ એક બીજો આડપ્રશ્ન ઉદ્દભવે છે કે પ્રેમ અને સેક્સ વચ્ચે કેવોક સખ્યભાવ? એ ચર્ચા પણ આજની જેમ ફરી વરસાદ પડે ને મૂડ ચડે ત્યારે માંડશું.

रविवार, 4 जुलाई 2010

ગધેડાઓ સિંહ બચાવોના નારા લગાવે છે

વાઘ બચાવો,
સિંહ બચાવો,
દિપડા બચાવો,
રોઝ-રેડા(કાળીયાર) બચાવો
થોડાક વર્ષો પહેલા સિંહની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થઈ જતા વન્યપ્રાણી હિતરક્ષકોને ભારે ગભરામણ થઈ ગઈ હતી પણ છેલ્લા વર્ષોમાં સિંહની વસ્તીગણતરીમાં સિંહોની આબાદીમાં ઘણો વધારો થયો છે એટલે હવે તેઓ ઘણી શાતા અનુભવે છે. ભાવનગર પાસે કાળીયારનું વિશાળ અભ્યારણ આવેલું છે. એક દાયકા પહેલા વન્યપ્રાણી હિતરક્ષકો શિંગડાવાળું કાળુ હરણ ઉર્ફે કાળિયાર પ્રાણી ટુંક સમયમાં પૃથ્વી ઉપરથી અદ્દશ્ય થઈ જશે એવુ કહીને મ્હો વાળતા હતા. રોઝ અને રેડાના જતન ખાતર એમને સંરક્ષિત પ્રાણી ઘોષિત કરવામાં આવ્યુ એટલે આજે કાળીયાર અભ્યારણમાં રોઝ-રેડાનો ફાલ એટલો તો ફુલ્યો ફાલ્યો છે કે આ સંરક્ષિત પ્રાણીઓ ભાવનગરના છેક છેવાડાના મહુવા તાલુકાના ગામડાઓની સીમમાં લહેરથી આંટા મારે છે, લીલો ચારો ચરે છે.
આ બુડથલ વન્યપ્રાણી હિતરક્ષકોમાં એવો કોઈ મહુવા-તળાજા-ભાવનગરના ગામડાનો ખેડુત નહી હોય, જેની મહિનાઓની મહેનતના પરિણામે લહેરાતો થયેલો પાક એક રાતે રખોપામાં સહેજ ઝોકુ આવી જતા રોઝડાઓએ ખુંદીને જમીનદોસ્ત કરી નાખ્યો હતો.

સિંહ બચાવો કે વાઘ બચાવો ના સુત્ર વાળી ટીશર્ટ પહેરનારાઓની ટોળકીમાં ગીરના નેસનો એ એક પણ આહિર-રબારી નહી હોય જેની રાંકના રતન સમી રૂપિયા પચાસ હજારની કિંમતની ભેંસને સિંહે ફાડી ખાધી હતી.

વાત મારા અનુભવની છે. રોઝની ચામડી ગેંડાની ચામડી જેવી હોય. પુરી તાકાતથી તમે એના વાંસે ધોકો મારો તો ત્યા ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ “આઘાત અને પ્રત્યાઘાતી બળો સરખા અને વિરૂદ્ધ દિશાના હોય છે” લાગુ પડશે. જો તમે સહેજ પણ ગફલતમાં રહ્યા તો ધોકો રોઝની પીંઠ ઉપરથી ઉછળીને તમારે લમણે અફળાશે અને તમારી માલિકીની વાડીમાં ઉભેલું રોઝ તસુભર પણ નહી ખસે અને રોઝને પાડી દેવાનો મનસુબો ધરાવતા ખુદ તમે જમીનદોસ્ત થઈ જશો.

બુલફાઈટનો બુલ લાલ કપડાને જોઈને ભડકે છે એમ રોઝને ભગાડવું હોય તો સફેદ કપડુ ફરકાવો. હું 15 – 17 વર્ષનો હતો ત્યારે અમારી સીમમાં ક્યારેક રોઝ-રેડા ભુલા પડી જતા અને અમે એમને ભગાડી મુકતા. આજે આલમ એ છે કે ખેડુતોએ પાકના રક્ષણ માટે આખી રાત વાડીનું રખોપુ કરવું પડે છે. એકલ-દોકલ રોઝ ભાગ્યે જ હોય, ટોળાના રૂપમાં ત્રાટકે છે. એક રાત ગફલતમાં ગઈ કે ઝોકુ આવી ગયુ તો પાકના નામનું નાહી નાખવાનું. પાડા કરતાય વધુ શક્તિશાળી રોઝને પાકથી દુર રાખવા કાંટાના તારની વાડ પણ કામ નથી આપતી. એવી વાડ એ ઠેકીને તોડી પાડે છે. કેટલાક ખેડુતોએ આનો મજબુત અને ખતરનાક ઉપાય શોધી કાઢ્યો છે. તેઓ રાત્રે કાંટાની તાર સાથે વિજપ્રવાહના વાયરને જોડી દે છે અને સવારે ડિસકનેક્ટ કરી દે છે.

વર્ષ પહેલા વતન ગયો ત્યારે બાળગોઠીયા ખેડુ મિત્રના મોઢેથી એક કિસ્સો સાંભળીને હું ધ્રુજી ગયો, મને રાજ્ય પ્રશાસન અને વન્યપ્રાણી હિતરક્ષકો પ્રત્યે દાઝ ચડી. મારો બાળગોઠિયો મિત્ર મને વાડીમાં રોઝ-રેડાના આંતકની કથની સંભળાવતો હતો. એ દશ્યની સીમનો એક ખેડુત સવારે તારની વાડે આપેલો ઇલેક્ટ્રિસિટીનો વાયર ડિસકનેક્ટ કરવાનું ભુલી ગયો. સવાર સવારમાં એણે ચુલો ફુંકીને ચા બનાવી અને શેઢા પાડોશીને ચા પીવા બુમ મારી. પાડોશી યુવક ચા પીવા આવતો હતો અને વાડ ઠેકવા ગયો અને કરંટ લાગતા ત્યાં જ મૃત્યુ પામ્યો.

સાસણગીરના જંગલમાં ત્રણ દિવસ એક નેસમાં રહેવાનું થયુ. નેસડાના પરિવારો અને સિંહને સાવ નજીકથી જોવાનું બન્યુ હતું. એમની ચરવા ગયેલા ભેંસના ખાડામાંથી એકાદ ડાલામથ્થી સિંહનો શિકાર થઈને ઓછી થાય તો એનો આ નેસવાસીઓને બહુ રંજ નથી, કારણ કે તે મોટા મનના અને સમદર પેટા માનવીઓ છે. પણ...

વાઘ શિંહ કુતરા બિલાડા અને કીડી મંકોડીના અધિકારો માટે મેદાને પડતા એ કમઅક્કલો- પ્રશાસનના સંબંધિત અધિકારીઓ અને વન્યપ્રાણી હિતરક્ષકોને કોઈ એ સમજાવો કે પાંચ ઇન્દ્રિય અને મન-બુદ્ધિ ધરાવતુ મનુષ્ય પ્રાણી પૃથ્વી પરના બધા જ પ્રાણીઓમાં સૌથી કિંમતી પ્રાણી છે.

शनिवार, 5 जून 2010

ગગલા ન થાવ અને અમને કિકલા ન સમજો તો સારૂ

સ્વર્ણિમ ગુજરાતનો વાયરો તેજીથી ફુંકાઈ રહ્યો છે. ચારે કોર જય હો, જય હો, ના નારાઓ ગુંજી રહ્યા છે. ભાટચારણો ગુજરાતમાં રોકાણનું સ્તુતિગાન કરી રહ્યા છે. ગુર્જર ધરા પર રોકાણ કરવા નેનો-મોટો સૌ કોઈ દેવની દુહાઈ દઈ રહ્યુ છે. ભલકારા અને પડકારા દઈ સ્વર્ણિમને ઝળહળતુ રાખવા સૌ કોઈ દેવતાની રાખ સંકોરી રહ્યુ છે. તાન તો અમનેય ચડે છે કે માભોમની સ્તુતિમાં અમેય દુહો લલકારી દઈએ. અમે લહલહતા ડાયરાને પાનો ચડાવવા ઉતાવળે ડેલી બહારા પગ માંડ્યા પણ હાય અમને એએમટીએસે દગો દીધો. ઈ ખુટલની બસોથી અમારૂ સુખ નો જીરવાણુ તો અમે ઇન્કમટેક્સ ભાયાતુને સંગાથ કરવા સ્ટાર બજારના લોકલ બસ ડિપોટે ત્રાહિમામ ગરમીમાં ખરા બપોરે એક કલાલ ઉભા પણ ગધની એકેય બસ અમારી બાજુ નો ફરકી. એએમટીએસના પેટમા તેલ રેડાણુ કે પછી અમારા પેટમાં પાપ હતું? ઇ અમે નો હમજ્યા પણ એક કલાકમાં એકલદોકલ નિકળી(બસ) ઇ ઘુંઘટો તાણીને લાલ દરવાજા અને અન્ય માર્ગે ફંટાઈ ગઈ. અકારૂ તો અમને ત્યારે લાગ્યુ કે અમે 50 નંબરવાળીને જોઈ ન જોઈ ત્યા તો એ સડસડાટ અમારી નજર સામેથી ઓજલ થઈ ગઈ. અમારો પિત્તો ગયો. સાલુ, અમે જ ખુટલના તે જય જય ગાંગર્યા કરીએ, એએમટીએસવાળા અને આ બધાને તો મનમાય નથી.
અમે મુંબઈની 'બેસ્ટ' બસ સેવાની યાદમાં સરકી ગયા. બેસ્ટ અને એએમટીએસ વચ્ચે સ્વર્ણિમ ટાણે જ અમારાથી સરખામણી થઈ ગઈ. મૌલા માફ કરે.
મુંબઈ પાંચ વરહ ગાળ્યા પણ બેસ્ટ બસે અમને ક્યારેય પાંચ મિનિટથી વધારે રાહ જોવડાવી હોય એવું બન્યુ જાણ્યુ નથી. 7:45ની બસ પકડવા 7:47 કલાકે પહોંચો તો બસ નિકળી ગઈ હોય. અહી એએમટીએસે તો અમને કલાક-દોઢ કલાક સુધી અમારા ધૈર્યની પરિક્ષા કરતી હોય એમ રાહ જોવડાવી છે.
બપોરના ગાળામાં બે-પાંચ પેસેન્જરને લઈનેય બેસ્ટની બસો પ્રેમથી દોડતી હોય. અહી પિક-અવર્સમાં પણ અડધો કલાક-કલાકે એક બસ આવે છે. અહી બસની રાહમાં કાયમી ઉતારૂઓની ડોક ખેંચાઇને બગલા જેવી થઈ ગઈ છે એ એએમટીએસના પ્રતાપે જ તો. લોક તો એમ કહે છે કે પ્રેમમાં નેણે હાથના સજા કરીને એટલી તો રાહ જોઈ કે આમની ડોકો લાંબી થઈ ગઈ છે. ગધનું લોક દાઝ્યા ઉપર ડામ દે છે.
બેસ્ટની બસો ભલે વરસો જુની હોય પણ હોય નટી રેખા ગણેશનની જેમ પાછલી ઉંમરેય અપ-ટુ-ડેટ. બસમાં કાટનું નામ નિશાન નહી, સહેજેય રંગ ન ઉખડ્યો હોય, અંદરથી સાવ ચોખ્ખી ચણાક હોય. એનું કારણ એ કે દરેક બસ રોજ કે એકઆંતરા ધોવાઇ જતી હોય. નિયમિત રીતે નવો રંગ ચડાવી દેવામાં આવે. ઝીણી ખરાબીઓને પણ ત્વરીત દુરસ્ત કરી દેવામાં આવે. ફેક્ટરીમાંથી આવેલી એએમટીએસની બસ ભંગારવાડામાં જાય ત્યા સુધી કદી સાફ થતી જાણો ઇનામ મારા તરફથી મફત લઇ જજો.
બેસ્ટ બસનો એવો નિયમ કે સ્ટેન્ડ ઉપર એક ઉતારૂ ઉભુ હોય તોય બસ ઉભી રાખવી, ઉતારૂઓના પેટનું પાણીય ન હાલે એ રીતે બસની બ્રેક મારવી, બે રૂપિયાની ટિકિટમાં સોની નોટ કંડકટરને મળે તો મોઢુ સહેજ પણ કટાણુ કર્યા વગર છુટ્ટા સાથે ટિકિટ આપવી. એએમટીએસની બસ સર્વિસમાં તો આ બધા નિયમોની માને કુતરા પૈણી ગયા છે.
કોક ઇ કમ અક્કલના ઘણી એએમટીએસવાળાઓને હમજાવો કે પરિવહન તંત્ર એ કોઈ પણ શહેરનું/રાજ્યનું કરોડરજ્જુ છે, એના વગર દોડવાની તો વાત દુર ઉભા પણ નહી રહી શકો. કોક એને બે મહિના બેસ્ટના ગેરેજમાં મુકી આવો તો સાલાઓને અક્કલ આપોઆપ આવશે.
સાથે અમારા વતી વાતમાં આટલુ પણ ઉમેરજો કે સ્વર્ણિમ ગુજરાતમાં અમને ગમ નથી પડતી પણ બેસ્ટની હરોળનું પરિવહન તંત્ર અમદાવાદમાં ઉભુ કર્યા વગર અમદાવાદને સ્વર્ણિમ ગણાવતી વાત કરી છે તો તમને ચોસઠ જોગણીની આણ. પાંચ ટકા પ્રજા બાઈક-મોટર્સમાં ફરતી હોય એટલે બાકીના 95 ટકા જાય ભાડમાં એવું વલણ ડાહી પ્રજાનું લક્ષણ નથી હોં.

...અને છેલ્લે, પર્યાવરણની માનેય કુતરા પૈણે, જો આવું જ ચાલ્યુ તો અમારેય પબ્લિક પરિવહન સેવા પડતી મુકીને પ્રાઇવેટ વાહન વસાવવું પડશે.

सोमवार, 1 मार्च 2010

ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અંગે...

શ્રી મોદી,
આપની કુશળતાની કામના સહ જણાવવાનું કે ઘણી ભાષાનો જાણકાર ફાધર વાલેસ ગુજરાતી વિશે કહે છે કે ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જોવા મળે તો તમે નવીન શોધ કરી છે એમ માનજો. એટલે ગુજરાતી ભાષાની શસક્તતા વિશે કંઈ કહેવાપણુ નથી જોતો. પણ એય હકીકત છે કે સંસ્કૃત જેવી વિશ્વશ્રેષ્ઠ ભાષાય આજે નામશેષ થવામા છે. સંસ્કૃત અંગે બ્રિટિશ વિદ્વાન સર વિલિયમ જોન્સ (૧૭૪૬-૧૭૯૪) લખે છે કે સંસ્કૃત ભલે ગમે તેટલી પ્રાચિન હોય, તેનુ બંધારણ અદ્દભુત છે, સંસ્કૃત ગ્રીક કરતા વધુ પૂર્ણ છે, શબ્દ વૈવિધ્યમાં લેટિન કરતાય વધુ સમૃદ્ધ છે અને બીજી કોઈપણ ભાષા કરતા વધુ સુંદર છે.

આવી વિશ્વની સૌથી સુંદર અને સમૃદ્ધ સંસ્કૃત ભાષા વ્યવહારમાંથી મુળ સોતી ઉખડી જવામાં છે તે હકિકત અત્યંત દુખદાયક છે પણ એની સામે એ પણ સમયનો જ તકાદો છે કે સામ્રાજ્યો, અરે આખેઆખી સભ્યતાઓ રેતીના ઢગલામાં પરિવર્તિત થઈ જાય છે. ગોબી, સહરા, થરપારકર... આજે જ્યાં છે ત્યાં એક કાળે વિશ્વની શ્રેષ્ઠ સભ્યતાઓ શ્વસતી હતી.

આટલુ મથાળુ બાંધ્યા પછી મારે રજુ કરવો છે તે મુદ્દો એ છે કે વૈશ્વિકરણના આ યુગમાં જે ભાષા વધુ સમૃદ્ધ હશે તે જીવશે, જે ભાષાની સમૃદ્ધ થવાની પ્રક્રિયા ધીમી હશે કે અટકી જશે તે ભાષાઓ ઝડપથી નાશ પામશે. અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવાનો એક કિમિયો મારી પાસે છે. મારો કિમિયો રજુ કરુ એ પહેલા મારે કેટલાક ગુજરાતી ભાષાવિદ્દોને ઉંધાહાથની એકાદ અડબોથ મારવી છે. ગુજરાતમુંબઇ અને ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં નવી પેઢી વ્યવહારમાં ગુજરાતી કરતા અંગ્રેજીને વધુ પ્રાધાન્ય આપે છે તેથી ક્ષીણ થઈ રહેલી ગુજરાતી ભાષા નાશ પામશે એમ ભાષાવિદ્દો ગોકીરો કરી રહૃાા છે. અક્ષરની માંથે મિંડુ ધરાવતા શબ્દને નાકમાંથી ઉચ્ચારણ કરીને બોલવા ટેવાયેલા, હ્સ્વ અને દિર્ઘ માત્રાને એજ માપે પ્રયત્નપુર્વક સ્વરપેટીમાંથી બહાર ફેંકતા અને પોતે ગુજરાતી ભાષામાં અશુદ્ધિ નહી પ્રવેશવા દઈને ભાષાની રખેવાળી કરી રહૃાા છે અને બાકીના ગુજરાતીને દુષિત કરી રહૃાા છે એવો મત ધરાવતા આ અજ્ઞાનીઓનો નાશ થજો.

અક્કરમીના પડિયા કાણા જેવા ગુજરાતી છાપા મેગેજીનો તો ગુજરાતીને જીવાડવાને બદલે તેનું ગળું દાબવાના પ્રયત્નોમાં લાગ્યા છે. તેના એડિટરોમાલિકો લેખમાં જરાક અઘરો ગુજરાતી શબ્દ ભાળે કે તરત રાતાપિળા થઈને વાચકને સમજાય એવી ભાષામાં લખો, સરળ ગુજરાતીમાં લખો એમ કહીને કેબિન ગજવી દે છે. ગુજરાતી છાપામેગેજીનોમાં સાવ મર્યાદિત શબ્દોના ઉપયોગવાળુ ગુજરાતી વપરાય છે. શ્રી મોદી અને વહાલા ગુજરાતીઓ, ગુજરાતી ભાષા મરે ત્યારે એમાં આ લોકોનોય હિસ્સો હતો એમ જાણજો.

અને હવે રજુ કરુ છું મારો કિમિયો....
ચારણી ભાષા ગુજરાતીની નાની બહેન છે. અદ્દભુત લાઘવ છે ચારણી ભાષામાં. મડદાને બેઠા કરી શકે તેવી બળુકી આ ભાષા છે. ચારણી છે તો ગુજરાતી કુળની જ, ગુજરાતીની નાની બહેન. પણ ગુજરાતી શબ્દ કોશ ભગવદ્વોમંડળમાંથી ચારણી શબ્દો અલોપ છે, ચારણી એકેય ગુજરાતી માધ્યમોમાં દેખાતી નથી, નતો છાપાઓમાં કે ન તો પુસ્તકોમાં. શાળામહાશાળાઓમાંય ચારણીને ક્યાંય સ્થાન નથી. હા, હજુય ચારણીના વિપુલ શબ્દો સૌરાષ્ટ્રની અભણ પ્રજાની જીભે રમે છે. જરા કલ્પના કરો કે આખેઆખો ચારણી શબ્દકોશ ગુજરાતી શબ્દકોશમાં ભળી જાય તો ગરવી ગુજરાતી કેટલી સમૃદ્ધ થઈ જાય! એનો ભાષા વૈભવ દોઢો થઈ જાય! ચારણી ભાષા યુનિવર્સિટી ચાલુ કરો, કમાલની ક્રાંતિ સર્જાશે ગુજરાતી ભાષામાં. ગુજરાતીને ખાંપણ ઓઢાડવાની નોબત આવે એ પહેલા આ કામ થાય તો એનો કોઠો ટાઢો થાય બાકી મા ગુજરાતી મરી રહી છે એવી ચિચિયારીઓ પાડીને જીવતે જ એના નામના છાજીયા લેવાથી તો કાંઈ દી વળવાનો નથી. ભાષાને લાંબુ જીવાડવા માટે ભાષા શુદ્ધિ નહી, ભાષા સમૃદ્ધિની જરુર છે. ભાષાનું નદી જેવું છે એ એના સ્વરુપ બદલતી રહે છે અને ક્યારેય અશુદ્ધ થતી નથી.
આપનો અનુરક્ત,
હિંમત કાતરિયા.

(ઘણા ઉત્સાહથી વેબસાઇટ www.narendramodi.in પર શેર ધ આઇડિયા વિભાગ માટે લખેલો પણ તકનિકી કારણોસર સબમિટ ન થઈ શકેલો આ વિચાર અંતે અહી મુકવો પડ્યો. શ્રી મોદી તેની વેબસાઇટ ઉપર વિચારો સબમિટ કરી શકાતા નથી તે બાબતની તપાસ કરાવડાવે. આ તો ઘણુ ખરાબ કહેવાય. વચાર ૧૦૦૦ અક્ષરનો માંગતા હતા અને હું મારા વિચારને સંક્ષિપ્ત કરતો છેક ૫૦૦ શબ્દો સુધી લઈ ગયો, માગ્યા પ્રમાણેના ફેરફારો કરીને અડધો કલાક મથતો રહૃાો પણ હું આ વિચાર www.narendramodi.in ઉપર ન ચડાવી શક્યો.)

शुक्रवार, 19 फ़रवरी 2010

ક્યા ભલા ક્યા હૈ બુરા

લગે રહો મુન્નાભાઇ ફિલ્મ ચાલતી હતી ત્યારે મોટાભાગના વિચારકોએ અને મોટાભાગના નાગરિકોએ ફિલ્મની સામાજીક નિસ્બતને લઇને નવાજી હતી અને હવે થ્રીઇડિયટને માંથે ફુલ ચડાવી રહૃાા છે. ડુક્કરોને એ ગમ નથી કે સોશ્યલ મેસેજની માને કુતરા પૈણે અરે, અમદાવાદમુંબઇમાં આ ફિલ્મના પાપે જ તો છેલ્લા બેએક મહિનામાં બેએક ડઝન જેટલા સગીરવયના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. ભડવાઓ એ તો જરી વિચારો કે આ જાન્યુઆરીફેબુ્રઆરી મહિનામાં નથી તો કોઈ વાર્ષિક પરિક્ષાના પરિણામ આવ્યા કે નથી કોઈ વાર્ષિક પરિક્ષાઓ લેવાઈ તોય બાળવિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓ છાપામાં કેમ ચમકવા માંડ્યા છે? જાન્યુઆરીફેબુ્રઆરીમાં બાળવિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય એવું કોઈ વર્ષે બન્યુ છે? ફિલ્મ જોવાની મનાઇ હોવી જોઈએ એવું નહી પણ એને મનોરંજન પુરતું જ મર્યાદિત રાખો. ફિલ્મોની અસર દારુ જેવી છે, જેટલી જલ્દી મગજ ઉપરથી ઉતરી જાય એટલી મગજની હાનિ ઓછી. એની ચર્ચાઓ છેડીને એને સમાજ સાથે ભેળવવીને મિમાંસા કરવાનું ડહાપણ કેમ સુઝે છે? એમાં તો નકરી હાનિ જ હાનિ છે.

કેમ સમજાવુ તમને? મને મારુ બાળપણ અને ગામમા આવતી ભવાઇ મંડળીઓ બરાબરની યાદ છે. ઢોલ ટિપાવીને ખેલની જાહેરાત થાય. નાયક ગામના આગેવાન પટેલ, મહાજનના ખોરડે આમંત્રણ આપવા જાય ત્યારે ગમે તેટલો ઉમદા અભિનય કરી જાણતો હોય તો પણ તેણે ડેલીમાં પ્રવેશ ન મળે. નટ મંડળી સાથે આભડછેટ રાખવામાં આવે. અમે પણ વડિલોના કહેવાથી ભવૈયા અમારા શરીરને સ્પર્શ ન કરી જાય તેની કાળજી રાખતા. પાદશાહ અકબરને સાક્ષાત પ્રથમી પર પરગટ કરી જાણે એવો પાણીદાર અભિનય કરતો નટ પણ આદર પામતો નહી. ખેલ પુરો થાય એટલે દાણોપાણી મળે તે લઈને તુરત ગામ છોડી દેવાનું. આવો કટ્ટર ઉપેક્ષાભાવ કેમ? એનો જવાબ મહાત્મા ગુર્જિયેફે લખેલા ગ્રંથ બેલ્ઝેબુબ ટેલ્સ ટૂ હિઝ ગ્રાન્ડસનમાંથી મળે છે. કાચની કેબિનમાંથી દુનિયાને જોતો કોઈ રેંજીપેંજી કટારલેખક નહી, અપાર કષ્ટો વેઠીને આધ્યાત્મિક રહસ્યોનો ઉકેલ મેળવવા દુનિયાઆખીના દુર્ગમ પ્રદેશોમાં રઝળપાટ કરનારો આ મહર્ષિ લખે છે, આ નટ મંડળીઓ સૌથી મોટા વાઇસેકર્સ છે, વસ્તુનું અસલ સ્વરુપને તેની કલ્પનાઓના રંગોથી રંગીને જુઠ્ઠા સ્વરુપે રજુ કરતા હોવાથી તેમનુ મટિરિયલ હલકી ગણવત્તાનું હોઈ તેમનાથી અંતર રાખવું, તેઓને રોટલો આપી તેનાથી દુર રહેવું સમાજના હિતમાં જોવાતું હતું. તેમના માટે વપરાતો ભાંડભવાયા શબ્દ પણ હલકો છે.


ખેલ, નાચગાન અને ભવાઈને પહેલા આદરથી નહોતા જોવાતા. તેમને પ્રોત્સાહન નહોતું અપાતું એટલે જ ગમે તેટલો ઉત્તમ નટ હોય, તેને અસ્પૃષ્ય જ ગણવામાં આવતો પણ આજે બંદરછાપ મુખમુદ્રા ધરાવતો નટ રાજાના મહેલને આંટે અને રાજવૈભવને ઝાંખો પાડે એવો વૈભવ ધરાવતો થયા છે. બહુ જાજો સમય નથી ગયો, બેત્રણ દાયકા પહેલા અભિનય કરવા કોઈ તૈયાર નહોતું થતું એટલે નાટકચેટકમાં સ્ત્રીની ભુમિકા પણ પુરુષે અદા કરવી પડતી હતી. આબરુદાર ઘરનો યુવાન કે યુવતી નટનટી બની શકે એવું તો સપનેય કલ્પી શકાતું નહોતું. આજે ગલીનો કુત્તોય જાણે છે કે રુપેરી પડદે ચમકવું હોય તો બિસ્તર ગરમ કરવાના અનેક રિટેક આપ્યા પછી તેના પર દ્દશ્ય ફિલ્માવવાનો, ફિલ્મ નટી બનવાનો અવસર મળે છે.

માનવમનનું આજકાલથી નહી, ઉત્પત્તિકાળથી જ એવું વલણ રહૃાુ છે કે અમલમાં મુકવામાં સરળ હોય તેવી બાબતો ઝડપથી આત્મસાત કરી લે છે. આત્મહત્યાનો નિર્ણય લઈને હિરો બની જવાનું સહેલું છે. બસ, મોત તરફનું એક જ પગલું માંડો અને કામ તમામ. લગે રહો મુન્નાભાઇ જોઈને એક પણ વ્યક્તિ ગાંધી નહી બને પણ ધૂમ જોઇને સેંકડો, હજારો બાઇકર્સની ગેંગો તૈયાર થઈ ગઈ છે. ઢાળમાં વસ્તુને વચ્ચે મુકો તો તે ઉપરની તરફ નહી જાય, તેની ગતિ નીચે તરફની જ રહેશે.

સમાજ વ્યવસ્થાને શું લકવો લાગી ગયો છે કે આજે જ્યા નજર નાખો ત્યાં નટનટીઓના પ્રશંશકોની કતારો લાગી છે. મલ્ટિપ્લેક્સની વાત કરીએ તો મેં તો જોયુ છે કે ત્યા મોટાભાગે કન્યાઓ નટીઓની અદાઓ મારતી હોય છે અને કુંવરો કોઈ નટ જેવા નખરા કરે છે.
થ્રિઇડિયટ્સ જોઈને બહાર નિકળતો હતો ત્યારે દાદરમાં જોયેલુ એક દ્દશ્ય, ભારતના યૌવનધનની દશા અને દિશાના પ્રતિક સરીખુ એ દ્દશ્ય આંખો સામે તરવરે છે. ઉચ્ચભૂ્ર વર્ગની એક યૌવના તેની જોડે ચાલી રહેલી સહેલીને કહેતી હતી, માન ગયે આમિર કો. હી કેન ડુ એવરીથિંગ. હિ ઇઝ એ જિનિયસ. આમિરખાને એના અંતરાત્મા ઉપર કબજો જમાવી લીધો હોય એમ આંખોમાં અતિઅતિ લજ્જાના ભાવ આ બોલતી વખતે આવી ગયા હતા.

મારા વ્હાલા ગુર્જિયેફ અને જેણે ઉત્તમ પરંપરાઓ ઘડી હતી તે સહસ્ત્રો પુર્વજો હું તમને સલામ ભરુ છું. અને વ્યવસાયે પત્રકાર હોવા છતા મેં ભાંડભવાઇ કે ફિલ્મોના કોઈ ભાગને મારા સર્જનમાં કે મસ્તિસ્કમાં પ્રવેશવા નથી દીધો એ વાત સાદર રજુ કરુ છું.

बुधवार, 29 जुलाई 2009

ઉત્ક્રાંતિની માને પૈણે કુતરા

અમુક સદીઓ પહેલા જગતનો વહેવાર ‘બાર્ટર’ પદ્ધતિથી થતો હતો. એક વસ્તુના સાટે બીજી વસ્તુ આપવાની. પરસ્પર વસ્તુઓના આદાનપ્રદાનથી સંસાર રથનું ગાડું ગબડતું હતું. ત્યારે પૈસાનું મહત્વ નહોતું એટલે સંઘરાખોરી શક્ય નહોતી. (જોકે અત્યારે તો રૂપિયાના નોટસિક્કા પણ મહત્વ ગુમાવી રહ્યા છે, પ્લાસ્ટિક મની આવતા) આ જુની ‘બાર્ટર’ પદ્ધતિ હું નાનો હતો ત્યારે અમારા ગામમાં ઘણે અંશે પ્રચલનમાં હતી એને દેશી ભાષામાં ‘વાટકી વહેવાર’ કહેવાતો. ઘઉંનો લોટ ન હોય અને બાજરાનો લોટ ઘરમાં હોય અને આગંતુક મહેમાનોને લાપસી જમાડવાની હોય તો પાડોશમાંથી તપેલી ઘઉંનો લોટ લઈ આવવાનો. બદલામાં તેને તપેલી ભરીને બાજરાનો લોટ આપી દેવાનો.

ખેતર ખેડવા નિંદવામાં જરૂર પડ્યે બીજાના બળદ બેચાર દિ લઈ આવવાના અને કામ થઈ ગયા પછી ગણતરી પ્રમાણે આપણા બળદ બેચાર દિ તેમનું ખેતર ખેડવા આપવાના. નિંદામણ માટે સગા ખેડુતના ચાર માણસો ચાર દિ લઈ આવ્યા અને હવે તમારે ઢાલ (ઋણ) ચુકવવાનો વારો આવ્યો અને તમે બે માણસ જ છો તો? કશો વાંધો નહી, આઠ દિવસ તેના ખેતરે મહેનત કરી આવવાની.

‘બાર્ટર’ પદ્ધતિને પુળો મેલવા કોઈ હરામખોર માણસે ચલણને અમલમાં મુક્યું. બસ ત્યારથી મારૂ-તારૂની બોલબાલા છે. ત્યારથી સંઘરાખોર સંપત્તિવાનોનો આતંક ચારે કોર ફરી વળ્યો અને ઉત્ક્રાંતિનો ગધો ખિણમાં ગયો.